
Mahakumbh 2025: પ્રયાગરાજમાં હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે. જેને લઈ ગુજરાત સરકાર દ્વારા શ્રધ્ધાળુઓ માટે ટ્રેન, બસો સહિતની સુવિધા ઉભી કરી છે. ત્યારે આજે વધુ એક જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે. ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરુ કરવામાં આવશે. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતીઓ માટે મહાકુંભમાં સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી છે.
રાત્રે રહેવાની સુવિધા
સુરત તથા રાજકોટથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરાશે. શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
ક્યાથી કેટલું ભાડું?
પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 ભાડું વસૂલ કરવામાં આવશે.
ઓનલાઈન બુકિંગ
આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજથી 02/02/2025ના રોજ સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.