
- અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને વ્હારે આવ્યા નીતિન પટેલ; કહ્યું- તેઓ ગુનેગાર નથી
અમેરિકાનું પ્રમુખ પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવાનું કામ શરૂ કર્યું છે. આ હેઠળ આજે 33 ગુજરાતી સહિત 205 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું હતું. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોમાં 33 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાના છે.
આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ‘અમેરિકાથી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર નહીં પણ આપણાં ગુજરાતી છે.’
તેઓ આપણા ભાઈઓ છે કોઈ ગુનેગારો નથી
અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓના પરત ફરવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘આપણા ગુજરાતીઓ અમેરિકા પોતાની રીતે ગયા છે, ત્યા તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકાના કાયદાને માન આપીને કામ કરે છે. પરંતુ અત્યારે તેમને અમેરિકન સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે પરત મોકલ્યા છે, તે મારી દ્રષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે. મારી બધાને વિનંતી છે આવા લોકો પાછા આવે ત્યારે તેમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે, પરદેશમાં કમાવવા ગયા હતા.’
આ પણ વાંચો- અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો પહોંચ્યો પાતાળ લોકમાં; 25 પૈસા ઘટીને 87.37 પર
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘આખી દુનિયામાં ભારતીય સદીઓથી પહોંચેલા છે. ગુજરાતીઓએ વિદેશમાં વર્ષોથી વસી મહેનત કરી અબજો રૂપિયા જે કમાયા તે ભારત કે ગુજરાતમાં પરત મોકલ્યા છે. તેમણે આપણા ગામો અને વિસ્તારોને ખૂબ મદદ કરી છે. એમના કારણે ગુજરાતની પ્રગતિ પણ ઘણી થઈ છે. મારી બધાને વિનંતી છે કે આરોપી તરીકે ન જોવા જોઈએ.’
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ 27મી જાન્યુઆરી 2025ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પરત વતન બોલાવવા નિર્ણય ભારતે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજ મુજબ, અમેરિકામાં આશરે 18000 ભારતીયો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે.
આ પણ વાંચો- સોનાના ભાવમાં રૂપિયા 1500 રૂપિયાનો ધરખમ વધારો; 87300ની રેકોર્ડ ટોચે