
■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન
■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે.
(દિલીપ પટેલ દ્વારા)
અમદાવાદ, 17 માર્ચ 2026
Loss to farmers: ઈરાન સામે ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાતમાંથી બટાકાની નિકાસ ન થતાં ગુજરાતના બટાકાના ભાવમાં 60 ટકાનો ઘટાડો થયો છે. એક ચોકલેટ કરતા પણ ઓછી કિંમતે રૂ. 3ના કિલો બટાકાની ખેડૂતોને ભાવ મળી રહ્યો છે છતાં માર્કેટમાં આ જ બટેટા રૂ 22ના કિલો વેચાઈ રહયા છે,આ ખેડૂતો પાસેથી રૂ.2 કે 3 ના ભાવે પણ હવે વેપારીઓ ખરીદવા તૈયાર નહિ હોવાથી હવે મફત આપવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
2025-26માં કૃષિ વિભાગની ધારણા હતી કે, 1 લાખ 69 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર અને ઉત્પાદન 54 લાખ 47 હજાર 810 ટન થવાનું હતું. એક હેક્ટરે 32 હજાર 238 ટન પાકવાના હતા. છતાં કોઈ પગલાં ભરાયા નથી. રૂ. 163 કરોડ 43 લાખ 3 રૂપિયે કિલો પ્રમાણે ભાવ થાય છે.
5447810 ટન ઉત્પાદન પ્રમાણે ભાવ ગણવામાં આવે તો રૂ. 1634 કરોડ 34 લાખના બટાકા 3 રૂપિયા પ્રમાણે થાય છે,જો તેનો ભાવ એક કિલોના રૂ. 15 ગણવામાં આવે તો એ હિસાબે રૂ. 8171 કરોડ 71 લાખની આવક થવી જોઈતી હતી,આમ ખેડૂતોને હાલના બજાર ભાવ પ્રમાણે તે તમામ વેચી નાખવામાં આવે તો રૂ. 6537 કરોડ 37 લાખની ખોટ થાય છે.
2024-25માં 1 લાખ 56 હજાર હેક્ટરમાં વાવેતર હતું. આ વર્ષે 2025-26માં 10 હજાર હેક્ટર વધારે વાવેતર થયું છે. 3 વર્ષનું સરેરાશ વાવેતર 1 લાખ 40 હજાર 832 હેક્ટરમાં થાય છે. પ્રોગ્રેસીવ વિસ્તાર 2025-26માં 1 લાખ 68 હજાર 163 હેક્ટર થવાની ધારણા બની હતી. ખરેખર વાવેતર 2025-26માં (2-2-2026ના છેલ્લા વાવેતરના આંકડા પ્રમાણે 1 લાખ 68 હજાર 163 હેક્ટરમાં વાવેતર હતું જેમાં છેલ્લા 3 વર્ષની સરેરાશ કરતાં 119.41 ટકા વાવેતર હતુ.) આમ 12 હજાર 163 હેક્ટર વધારે વાવેતર થયું હતું. 8 ટકા વધારે વાવેતર થતાં અને નિકાસ અટકી જતાં ભાવ તૂટી ગયા છે.
■કયા વિસ્તારમાં વાવેતર
રાજ્યના કુલ વાવેતર 1 લાખ 68 હજાર 200 હેક્ટરમાંથી ઉત્તર ગુજરાતમાં 1 લાખ 60 હજાર હેક્ટરમાં વાવેતર હતું, જેમાં 53 હજાર 600 હેક્ટર, સાબરકાંઠામાં 40 હજાર 300 હેક્ટર, (ખેડૂતોના અંદાજ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં 64,948 હેક્ટર વિસ્તારમાં બટાટાની ખેતી થઈ હતી.) અરવલીમાં 23 હજાર 500 હેક્ટર, ગાંધીનગરમાં 18 હજાર 600 હેક્ટર, વાવ-થરાદ જિલ્લામાં 11 હજાર 300 હેક્ટર, મહેસાણામાં 11 હજાર 300 હેક્ટર, પાટણમાં 1 હજાર 700 હેક્ટમાં વાવેતર હતું. આણંદમાં 1000 હેક્ટર, ખેડામાં 5100 હેક્ટર અને દ્વારકામાં 700 હેક્ટર વાવેતર થયા હતા.
■બે બાજુ લૂંટ
વેપારીઓ રૂ. 600માં 20 કિલો બટાકા લેવા તૈયાર નથી. ખેતરોમાં બટાકાના ઢગલા ખડકાયા છે. તમામ કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે. ગયા વર્ષના બટાકા પણ શીતાગારોમાં પડી રહ્યાં હતા. હવે ખેડૂતોને બટાકા રાખવાની જગ્યા નથી. જો 15 દિવસમાં નિકાલ નહીં થાય તો લાખો ટન બટાકા ખરાબ થઈ જશે.
માર્કેટયાર્ડમાં ફક્ત 2થી 3 રૂપિયા કિલોએ ભાવ મળતા હોવા છતાં ખેડૂતોને બટાટા કૃષિ બજારમાં વેચવા જવું આવક કરતાં ખર્ચ વધારે થઈ જાય છે, કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ કરાવવા માટે બટાટાને ખેતરોમાંથી ભાડું ખર્ચીને લઈ જવું પોષાય તેમ નથી.
■એક વીઘે ખર્ચ
ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે ઉત્તર ગુજરાતના ખેડૂતો જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ખેડૂતોની કમર તોડી રહ્યો છે એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ. 30 હજારથી 35 હજાર આવે છે. જેની સામે માંડ રૂ. 20 હજારની આવક થઈ રહી છે.
■2025માં ભાવ
2025ના વર્ષે 20 કિલો (એક મણ)ના ભાવ રૂ. 250થી 450 સુધી મળતા હતા. સરેરાશ ભાવ રૂ. 300 હતા. 15 રૂપિયે કિલો વેચાણ ભાવ હતા. જે 2026માં સરેરાશ એક કિલોના રૂ. 3 રૂપિયાની આવે છે.
■બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં બટાટાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરોમાં બટાટાના ઢગ ખડકાઈ રહેતા ખેડૂતો બટાટા 2 થી 3 રૂપિયે કિલોના ભાવે વેચવા મજબૂર બન્યા છે. બજારમાં ગ્રાહકોને બટાટા 20 થી 22 રૂપિયે કિલોના ભાવે મળી રહ્યા છે.
પ્રતિ કિલોએ 2-3 રૂપિયા મળે છે. બટાટાના ભાવ પ્રતિ કિલોએ 2-3 રૂપિયા જેટલા ખેડૂતોને મળતા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને રાત ઉજાગરા કરીને બટાકાનું વાવેતર કર્યું હતું, કિલો બટાટાના 3 રૂપિયા ભાવ લખીને વેચવા માંગતા હોવા છતાં પણ કોઈ જ વેપારી બટાટા ખરીદવા આવતા નથી. ખેતર બહાર લઈ જવાની મજૂરોની મજૂરી પણ પોસાય તેમ નથી.
■ખેડૂતોએ કાળી મજૂરી કરીને બટેટા પકવ્યા હતા.
પાલનપુર શાકભાજી બજારમાં વેપારીઓ છૂટક બટાટા 20 રૂપિયે કિલોનું બોર્ડ મારીને વેચી રહ્યા હતા. વચ્ચેના 17 થી 20 રુપિયા કોના ખિસ્સામાં જતા રહ્યા? ન ખેડૂત સુખી છે, ન ગ્રાહકને બટાટા સસ્તા મળી રહ્યા છે. વચેટિયાની લૂંટ ચલી રહી છે.
બટાટાને અનાજની જેમ ન તો ગ્રેડિંગની જરૂર છે, ના એમાં કાંકરા છે કે ના એમાં કોઈ ખાસ બગાડ જોવા મળે છે. તો પછી 2 રૂપિયાના કિલો બટાકાનું એવું તો શું વેલ્યુ એડિંગ થયું કે તેનો ભાવ સીધા જ 22 રૂપિયા થઈ ગયો? આર્થિક પાયમાલીની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બટાકાનું વાવેતર કરતા ખેડૂતો રાજ્ય સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે જેથી તેમને આર્થિક નુકસાનમાંથી થોડી રાહત મળી શકે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









