
Rajkot: અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થતાં સમગ્ર રાજ્ય સાથે રાજકોટ શોકમગ્ન બન્યું છે. આજે રાજકોટમાં તેમના સન્માનમાં અડધા દિવસ માટે ધંધા-રોજગાર બંધ રાખવામાં આવશે, જ્યારે શહેરની આશરે 650 ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવશે અને પોલીસ અથવા સૈન્ય દળો દ્વારા બંદૂકની સલામી આપવામાં આવશે. અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત મંત્રીમંડળના સભ્યો, વહીવટી અધિકારીઓ અને અન્ય પ્રમુખ હસ્તીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. સામાન્ય લોકો માટે તેમના પાર્થિવ દેહને ભાજપના મુખ્ય કાર્યાલય ‘કમલમ’ અથવા રાજ્ય સરકારની કોઈ મહત્વની ઇમારતમાં શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે અડધા દિવસનું બંધ પાળવાની અપીલ
રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સે શોકના ભાગરૂપે આજે અડધા દિવસનું બંધ પાળવાની અપીલ કરી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, અને સચિવાલય સહિત સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ આપી હતી શ્રદ્ધાંજલિ
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીના પત્ની અંજલીબેન અને પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે લખ્યું, “વિજયભાઈની વિદાય મન માની શકે તેમ નથી. વર્ષોથી તેમની સાથે નજીકનો સંબંધ રહ્યો. અનેક પડકારોમાં અમે સાથે મળીને કામ કર્યું. સરળ, મહેનતુ અને પક્ષની વિચારધારા પ્રત્યે સમર્પિત વિજયભાઈએ નીચેથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધીની સફર કરી હતી.”
આ પણ વાંચો:
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ