
sabarkantha: ભાજપ પાર્ટીના નેતાઓના કાંડ સૌ કોઈ જાણે છે. તે જમીન, રુપિયા પડાવવા, ચૂંટણીઓ જીતવા કઈ હદે જઈ શકે તે આપ સૌ હવે જાણી ગયા છો. ત્યારે હવે ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરાની મોટી ખુલ્લી પડતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ઈડરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનીને ખેતીની જમીનો ખરીદવાના ગંભીર વિવાદમાં ફસાયા છે. ભળતા નામનો લાભ લઈ ખોટા ખેડૂત ખરાઈના દાખલા મેળવી, ગાંધીનગરના પાલેજ અને ઈડરના દાવડ ગામમાં મોટા પાયે જમીનો ખરીદવાના આક્ષેપો તેમની સામે ઉઠ્યા છે.
આ મામલે સ્થાનિક અરજદાર રાજેન્દ્રકુમાર પટેલે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી, ધારાસભ્ય સામે ફોજદારી કાર્યવાહી અને જમીનો સરકાર હસ્તક લેવાની માંગ કરી છે. આ ઉપરાંત, અરજદારે દસ્તાવેજો ન આપવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે રાજ્યનું મહેસૂલ તંત્ર હરકતમાં આવ્યું છે.
ખોટા ખેડૂત દાખલાનો આક્ષેપ
આરોપ છે કે રમણ વોરાએ પોતાના અને પિતાના ભળતા નામ (રમણભાઈ ઇશ્વરભાઈ)નો ઉપયોગ કરી, વોરા અટકનો ઉલ્લેખ કર્યા વિના, ખેડૂત ખરાઈનો દાખલો મેળવ્યો. આ દાખલાના આધારે તેમણે ગાંધીનગરના પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી. આ જમીનો પાછળથી તેમના અંગત માણસને વેચી દેવાઈ, જે બાદ નોન-એગ્રીકલ્ચર (એનએ)માં ફેરવીને રમણ વોરાના પુત્રો ભૂષણ અને સુહાષના નામે ટ્રાન્સફર કરવામાં આવી. આ જમીનોની આજે બજાર કિંમત કરોડો રૂપિયામાં અંદાજવામાં આવે છે. આ ઉપરાંત, ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં સર્વે નંબર 584, 549, 551 અને 581ની ખેતીની જમીનો, કુલ 8 હેક્ટર, ખોટા દસ્તાવેજોના આધારે ખરીદવામાં આવી હોવાનો આક્ષેપ છે.
અરજદારની ફરિયાદ અને આત્મવિલોપનની ચીમકી
અરજદાર રાજેન્દ્રકુમાર પટેલે આક્ષેપ કર્યો છે કે રમણ વોરા બિનખેડૂત હોવા છતાં ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત ખાતેદાર બનીને જમીનો ખરીદી રહ્યા છે. તેમણે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત અરજીમાં જણાવ્યું કે, “ધારાસભ્ય રમણ વોરા સામે ગણોતધારા કલમ મુજબ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, દંડ ફટકારવામાં આવે અને આ ખેતીની જમીનો સરકાર હસ્તક લેવામાં આવે.” અરજદારે એમ પણ આક્ષેપ કર્યો કે રાજકીય દબાણને કારણે ઈડરના નાયબ કલેક્ટર અને મામલતદાર જમીનના દાખલા અને ખેડૂત ખાતેદારની માહિતી આપવામાં ટાળમટોળ કરી રહ્યા છે. આખરે, ન્યાય ન મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી, જેના કારણે આ મામલો ગંભીર બન્યો છે.
તંત્રની હરકત અને મામલતદારની બદલી
અરજદારની ફરિયાદ અને આત્મવિલોપનની ચીમકી બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે નાયબ કલેક્ટરને આ મામલે તાત્કાલિક તપાસ અને કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, રાજ્યના મહેસૂલ વિભાગે ઈડરના મામલતદારની તાત્કાલિક બદલી કરી દીધી છે, જે આ મામલાની ગંભીરતા દર્શાવે છે. રાજકીય દબાણના આક્ષેપો વચ્ચે આ બદલીને નોંધપાત્ર ગણાવાઈ રહી છે.
ભાજપના આંતરિક વિવાદ અને પૂનમ મકવાણાનો મોરચો
આ મામલે ભાજપના સ્થાનિક કાર્યકરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રમણ વોરા સામે પાર્ટીના જ કેટલાક નેતાઓ અને કાર્યકરો શિંગડાં ભેરવી રહ્યા છે, જેના કારણે ઈડરનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને, ભાજપના જ એક સમયના સાથી અને ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો છે. મકવાણાએ ગાંધીનગર જિલ્લા કલેક્ટરને પત્ર લખી, પાલેજની જમીનોના ખરીદ-વેચાણના પુરાવા માંગ્યા છે. ગાંધીનગર કલેક્ટરે ઘાટલોડિયા મામલતદાર પાસે ખેડૂત ખાતેદારની વિગતો માંગી છે, જેના કારણે આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
ફરિયાદો પીએમઓ સુધી પહોંચી, હાઈકોર્ટમાં PILની તૈયારી
આ વિવાદની ગંભીરતા એ હદે વધી છે કે રમણ વોરા સામેની ફરિયાદો વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવાની તૈયારી પણ ચાલી રહી છે. ખોટા દસ્તાવેજોના આધારે ખેતીની જમીનો ખરીદવાનો આ મામલો રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ બની શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ખેડૂતોના હિતોની વાતો રાજકીય પક્ષો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવે છે.રમણ વોરાનો રાજકીય પ્રવાસરમણ વોરા લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને ઈડર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. તેમણે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી છે. જોકે, આ વિવાદે તેમની છબીને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોના હકની વાતો કરતા રાજકારણી પર ખોટા દસ્તાવેજોના આધારે ખેતીની જમીનો ખરીદવાનો આક્ષેપ ગંભીર પ્રકારનો છે, જેની તપાસ હવે રાજ્યના મહેસૂલ વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો:
Delhi: હાઇ સ્પીડ થારે બે રાહદારીઓને કચડ્યા, લાશ કલાકો સુધી પડી રહી
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો