
- કેજરીવાલના સૌથી વિશ્વાસુ સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી
- CCTV કેમેરા લગાવવાના પ્રોજેક્ટમાં કૌભાંડનો આરોપ
- ભાજપ સરકાર આવતાં દિલ્હીમાં AAP ફસાઈ?
Satyendra Jain: દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ અનેક રાજકીય સમીકરણો બલાઈ રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન પીડબ્લ્યુડી મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન જબરજસ્ત મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલના સૌથી વિશ્વાસુ સાથીઓમાંના એક જૈન સામે ACBએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. 571 કરોડ રૂપિયાના સીસીટીવી પ્રોજેક્ટમાં 16 કરોડ રૂપિયાના દંડ (લિક્વિડેટેડ ડેમેજ) માફ કરવા માટે તેમણે 7 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે.
આખો મામલો શું છે?
દિલ્હી સરકારે 2019માં 70 વિધાનસભા મત વિસ્તારોમાં 1.4 લાખ CCTV કેમેરા સ્થાપિત કરવા માટે 571 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને તેના કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યો હતો. જોકે સમયસર કામ પૂર્ણ ન થવાને કારણે દિલ્હી સરકારે BEL અને કોન્ટ્રાક્ટરો પર 16 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પરંતુ હવે ACB ને ફરિયાદ મળી છે કે આ દંડ કોઈ ચોક્કસ કારણ વગર માફ કરવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે બદલામાં સત્યેન્દ્ર જૈનને 7 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી, જે કોન્ટ્રાક્ટરોએ લાંચ આપતા BEL તરફથી આગળનું કામ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Nagpur Violence: વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સામે FIR
મીડિયા રિપોર્ટ દ્વારા ACB ને માહિતી મળી
ACB ને આ કથિત કૌભાંડ વિશે સૌપ્રથમ એક મીડિયા રિપોર્ટ દ્વારા ખબર પડી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BEL ને ચૂકવવામાં આવેલ દંડ એક મોટા ભ્રષ્ટાચારના કેસના ભાગરૂપે માફ કરવામાં આવ્યો હતો. જ્યારે ACB અધિકારીઓએ આ મામલાની તપાસ કરી ત્યારે BEL ના એક અધિકારીએ આ આરોપોની પુષ્ટિ કરી અને સંપૂર્ણ વિગતો આપી હતી. આ પછી ACB એ PWD અને BEL પાસેથી જરૂરી દસ્તાવેજો લઈને તપાસ શરૂ કરી હતી.
ACB એ FIR દાખલ કરવાની પરવાનગી લીધી
ફરિયાદીના જણાવ્યા મુજબ આ લાંચ અલગ અલગ કોન્ટ્રાક્ટરો દ્વારા આપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટરોને BEL તરફથી CCTV કેમેરાના નવા કન્સાઇનમેન્ટ માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા અને તેમના ઓર્ડરની રકમને જાણી જોઈને વધારી દેવાઈ હતી. આ વધેલી રકમમાંથી 7 કરોડ રૂપિયાની લાંચની વ્યવસ્થા કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં મંત્રી હોવાથી ACBએ તેમની સામે FIR નોંધવા માટે પહેલા સરકારની મંજૂરી લેવી પડી હતી. આ મંજૂરી મળ્યા બાદ ACB એ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ FIR નોંધી છે. અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે
ACB એ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ FIR નંબર 04/2025 નોંધી છે. આ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની કલમ 7 અને 13(1)(એ) અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 120 બી હેઠળ નોંધવામાં આવ્યો છે. એસીબી હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી જાણવા મળશે કે તેમાં બીજું કોણ સંડોવાયું છે. ફરિયાદમાં જાણાવાયું છે કે સીસીટીવી પ્રોજેક્ટ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો ન હતો. ઘણા કેમેરા શરૂઆતથી જ ખામીયુક્ત હતા અને તેમની ગુણવત્તા પણ ખૂબ જ નબળી હતી.
આ મામલે આગળ શું થશે?
ACB હવે આ કેસમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની તપાસ કરશે, જેમાં PWD અને BEL અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરાશે. તપાસ બાદ ACB નક્કી કરશે કે સત્યેન્દ્ર જૈન અને અન્ય આરોપીઓ સામે આગળ શું કાનૂની કાર્યવાહી કરવી. આ મામલો દિલ્હીના રાજકારણમાં મોટું તોફાન મચાવી શકે છે, કારણ કે આમ આદમી પાર્ટીની સરકાર હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોવાનો દાવો કરતી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ કેસમાં વધુ શું ખુલાસો થાય છે અને ACB તપાસ કઈ દિશામાં જાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital
આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો