
ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી ઉપર થયેલા રેપ કેસના પરિવાર સાથે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મુલાકાત કરીને સાત્વના આપી હતી. આ પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતુ કે, બાળકી સાથે થયેલી ઘટના ખુબ જ શરમજનક અને નિંદનીય છે.
ઉલ્લેખનિય છે કે, 16 ડિસેમ્બરે ભરૂચના ઝઘડીયા વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગંભીર ઈજા સાથે મળી આવી હતી. તેના ગુપ્ત ભાગ પર ગંભીર ઈજા હતી. મોઢાના ભાગે ઈજા હતી અને ખૂબ લોહી વહી ગયું હતું. બાળકીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
શક્તિસિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ કે, બાળકીના પરિવાર સાથે મળ્યો, હાલ બાળકી વેન્ટીલેટર ઉપર છે. ડોક્ટરોની ટીમ દ્વારા તેને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત શક્તિ સિંહ સરકાર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, આ સમય રાજનીતિ કરવાનો નથી પરંતુ આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનું છે. જોકે, ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી દિકરીના પરિવારને મળવા આવ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે.
બાળકીનાં આંતરડાં સુધી સળીયા જેવી તીક્ષ્ણ વસ્તુ ઘુસાડી દેવામાં આવી હતી. છેક આંતરડાં સુધી ઘાવ હતા. ઈજાની આ વિગતો અમને ડૉક્ટર પાસેથી મળી ત્યારે અંદાજ આવી ગયો હતો કે, બળાત્કારની આ ઘટના અત્યંત ગંભીર છે.” આ શબ્દો અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝાના છે.
શક્તિસિંહે ઘટનાની ગંભીરતાને જોતા સરકાર ઉપર પણ આક્ષેપ કરતાં કહ્યું હતુ કે, એક વર્ષમાં 169 બાળકીઓ પર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે. કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં આવતા નહતા. ભાજપ આવા ગુનેગારોને સાથે લેવાને લીધે કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ.