
- શિંદેની સરકાર બદલવાની ચિમકી; મને હળવાશ ન લો, મેં 2022માં ખેલ બદલી નાંખ્યો
મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં રહેલા વિવાદ ધીમે-ધીમે સપાટી ઉપર આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં બધું ઠીક ચાલી રહ્યુ નથી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ થઇ ગયું છે કે મહાયુતિ સરકારમાં નવા-જૂની થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. શુક્રવારે એકનાથ શિંદેએ ફરી એકવાર બે દિવસ પહેલા આપેલા તેમના ‘ટાંગા પલટના’ નિવેદને દોહરાવ્યું હતું.
નાગપુરમાં પત્રકારોએ શિંદેને તેમના નિવેદન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘આ તો મેં પહેલા જ કહ્યું છે, જેમણે મને હળવાશથી લીધો છે. હું એક કાર્યકર છું, એક સામાન્ય કાર્યકર છું.’ પણ હું બાલા સાહેબ અને દિઘે સાહેબનો કાર્યકર છું. દરેક વ્યક્તિએ મને આ ધ્યાનમાં રાખવો જોઈએ અને એટલે જ્યારે મને હલકામાં લીધો તો 2022માં ખેલ બદલી નાંખ્યો. સરકારને બદલી નાખી અને અમે સામાન્ય લોકોની ઇચ્છાઓની સરકાર લાવ્યા. એટલે મને હળવાશથી ન લો, આ ઈશારો જેમને સમજણમાં આવે, તેઓ સમજી જાય.’
શિંદેએ વધુમાં જણાવ્યું હતુ કે, ‘ વિધાનસભામાં મારા પહેલા ભાષણમાં મેં કહ્યું હતું કે, દેવેન્દ્ર ફડણવીસજીને 200થી વધુ બેઠકો મળશે અને અમને 232 બેઠકો મળી.’ એટલે મને હળવાશથી ન લો, જે લોકો મારા આ ઈશારાને સમજવા માંગે છે કે, તેઓ તેને સમજી લે અને હું મારું કામ ચાલુ રાખીશ.’
આ પણ વાંચો- ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિમંત્રણા; લાઇન ઓફ કંટ્રોલ પર 75 મિનિટ ચાલી ફ્લેટ મીટિંગ
ત્રણ મહિના પછી શાસક મહાયુતિમાં ભંગાણની ચર્ચા શરૂ થઈ
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે હાલમાં સીએમ ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં સામેલ થતા નથી. જેના કારણે બંને વચ્ચે ટકરાવની અટકળો શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા આ ત્રિપક્ષીય ગઠબંધન (ભાજપ, શિવસેના, એનસીપી) એ વિધાનસભા ચૂંટણીમાં 288 માંથી 230 બેઠકો જીતીને અને તેમના હરીફોનો લગભગ સફાયો કરી દીધો હતો અને તેના ત્રણ મહિના પછી શાસક મહાયુતિમાં ભંગાણની ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને કોઈ સ્પષ્ટીકરણ અથવા દાવો આ અટકળોનો અંત લાવવામાં મદદ કરી રહ્યો નથી.
ગયા નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ્યારે ભાજપના નેતા ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી તેમના સંબંધોમાં કડવાશ શરુ થઈ છે. શિવસેનાના વડા શિંદેને નાયબ મુખ્યમંત્રી પદથી સંતોષ માનવો પડ્યો. ઘણી સમજાવટ પછી તેઓએ આ પદ સ્વીકારવા સંમત થયા હતા.
એ પછી દેવેન્દ્ર ફડણવીસે શિંદે સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કેટલાક કરાર રદ કર્યા અને કેટલાક પ્રોજેક્ટ્સની તપાસનો આદેશ આપ્યો હતો, જે પછી તણાવ ખૂબ વધુ વધી ગયો. હવે જિલ્લાઓની સંરક્ષક મંત્રીઓની નિમણૂકને લઈને મતભેદ હોય કે વિવિધ પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવા માટે અલગ મેડિકલ સેલ અને ‘વોર રૂમ’ની અલગ સમીક્ષા બેઠકો હોય, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બનતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો- ગુજરાત બન્યું દેવાદાર; રાજ્યનું જાહેર દેવું ₹3,77,963 કરોડને પાર