
Rajkumar Jatt case Ganesh : ગોંડલના ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત પ્રકરણમાં હાઈકોર્ટના આદેશ બાદ ફરીથી તપાસનો ધમધમાટ શરુ થયો છે.
આ કેસની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ કેસની તપાસ આગળ નહિ વધતા હવે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ સુરેન્દ્રનગર SP, IPS પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવતા ગોંડલનાં પૂર્વ MLA જયરાજસિંહનાં પુત્ર ગણેશ જાડેજા સહિત 13 લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
તમામને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં બોલાવી SP પ્રેમસુખ ડેલુ ઉપરાંત ધ્રાંગધ્રાના DySP જે.ડી. પુરોહિતે ગણેશ ગોંડલ સહિત ૧૩ આરોપીઓની આકરી પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર પોલીસ મથકે ગણેશ ગોંડલ સહિતના તમામ વ્યક્તિઓના નિવેદનો દિવસભર નોંધવામાં આવ્યા હતા. રાજકુમાર જાટના મોતનું સત્ય બહાર લાવવા પોલીસ ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓની પણ ચકાસણી કરી રહી છે. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અત્યંત સાવચેતીપૂર્વક તપાસ આગળ વધારી રહી છે.
હાલમાં ગોંડલ બી ડિવિઝન અને કુવાડવા પોલીસ મથકે કુલ ત્રણ ફરિયાદ નોંધાયેલી છે જેમાં ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજકુમાર જાટના ગુમ થયા અંગેની ફરિયાદ અને ત્યારબાદ એનસી ગુનો નોંધાયો હતો જ્યારે રાજકોટમાં તેની હત્યા અંગે અલગ ગુનો પણ નોંધાયો છે.
હાઈકોર્ટે ત્રણેય કેસોની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને સોંપતા, પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.તપાસનીશ અધિકારી પ્રેમસુખ ડેલુ આગામી 10 ડિસેમ્બરે હાઈકોર્ટમાં આ તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરશે, અને આવનારા દિવસોમાં વધુ લોકોની પૂછપરછ થાય તેવી શક્યતા છે.
હાઈકોર્ટના આદેશ મુજબ, તમામ શંકાસ્પદ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તપાસ ટીમ ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાઈકોર્ટે 10 તારીખ સુધીમાં કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ કરીને વિગતવાર રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગોંડલના આ હાઈપ્રોફાઈલ કેસની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલના ગાયત્રીનગર ખાતે રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, ‘ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થતા હતા તે સમયે ત્યાં તેઓ બન્નેને અટકાવી ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો અને ઘરે પરત આવ્યો જ નહીં.
આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી. ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કુવાડવા નજીક રાજ કુમારની લાશ મળી હતી તેનું વાહન અડફેટે મોત થયાનું પોલીસે નોંધ્યું હતું.
જેમાં રાજકોટ SOG) ની ટીમે આ કેસમાં મહાસાગર ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી તે સમયની પોલીસ તપાસમાં જૂનાગઢથી અમદાવાદ જતી મહાસાગર ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે જ રાજકુમાર જાટને અડફેટે લીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનુ જણાવ્યું હતું.
દરમિયાન ગોંડલમાં રાજકુમાર જાટ (Rajkumar jat case) ના મોતના કેસમાં ફોરેન્સિક PM રિપોર્ટમાં પોલીસના દાવા કરતા અલગ જ દાવો સામે આવ્યો છે. તેમાં રાજકુમાર જાટની અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા વહેતી થઈ હતી. જેમાં રાજકુમાર (Rajkumar jat case) ના શરીર પર લાકડીથી મારના નિશાન મળી આવ્યા છે. લાકડીથી માર માર્યા હોવાના 4-4 સેમીના ઇજાના નિશાન મળ્યા છે. રાજકુમારના ગુદામાં 7 સેમી ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઇજાઓ અકસ્માત નહીં પણ હત્યા થઇ હોવાની શંકા ઉપજાવતા હતા.
ફોરેન્સિક PMમાં પ્રથમ ભાગમાં કુલ 24 મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે. તથા બીજા ભાગમાં કુલ 31 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવતા કેસમાં અનેક સવાલો ઉઠતા મામલો તપાસનો વિષય બની ગયો હતો.
ગોંડલ શહેરના રહેવાસી મૂળ રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના શંકાસ્પદ મોત બાદ પરિવારજનોએ અનેક સવાલો ઉઠાવ્યા છે જેમાં રાજકુમારના શરીર પર 42 ઇજાનાં નિશાન હોવાનું સામે આવ્યું હતું અને આ પછી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા આ રિપોર્ટની અંદર પણ અનેક શંકાઓ ઊભી થઇ છે
રાજકુમાર જાટના પરિવારજનોના આક્ષેપ અને તેમના વકીલ દ્વારા સવાલો ઉઠ્યા છે તેમાં મુખ્યત્વે તેઓના નીચે મુજબના સવાલો રહ્યા હતા.
■રાજકુમાર જાટના પરિવારે જેતે સમયે ઉઠાવેલા આ સવાલો ચર્ચામાં રહયા હતા.
●2 માર્ચના રોજ રતનલાલ જાટ અને તેના પુત્ર રાજકુમાર જાટ સાથે ગણેશ ગોંડલ વગરે દ્વારા મારપીટ કરવામાં આવી ત્યારે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રતનલાલ જાટ ફરિયાદ કરવા ગયા તો પોલીસે તેમની ફરિયાદ કેમ નોંધી નહી?
●રાજકુમાર ગોંડલથી નીકળી અને તરઘડિયા પહોંચે ત્યાં સુધીમાં 3 વખત કપડાં બદલાઇ જાય છે.
એમાંય એક જગ્યાએ તો કપડાં વગરના સીસીટીવી સામે આવ્યા છે આ બધું શુ છે ? તેની તપાસ કેમ નહિ ? પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બોડીનું ઇન્કવેસ્ટ પંચનામું તેમજ સ્થળ પરના વીડિયો ફોટા તે વખતે કેમ નહોતા અપાયા ?
●પોલીસનું કહેવું છે કે બસથી અકસ્માત થયો છે તો ગુદામાં સાત સેન્ટિમીટરનો ચીરો કેવી રીતે પડ્યો? અને શરીર ઉપર 42 ઇજાનાં નિશાન કેવી રીતે થયાં?
તેમાંય શરીરમાં હાથ, પગ, આંખ અને માથાના ભાગે અલગ અલગ ઇજાનાં નિશાન છે એ કેવી રીતે થયા ?
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં ઇજાનાં નિશાન તાજા છે અને શરીરમાં અલગ અલગ ઇજાનાં નિશાન છે તે 4-4 સેન્ટિમીટરના ઇજાનાં નિશાન છે જે કોઈ દિવસ અકસ્માતમાં શક્ય નહી હોવાનું તેઓનું કહેવું છે.
● પરિવારજનોના જણાવ્યા મુજબ રાજકોટ પોલીસ 7 માર્ચના રોજ એવું કહેવામાં આવ્યું કે, તમારો દીકરો ટ્રેસ થઇ ગયો છે એની માનસિક સ્થિતિ સારી નથી.
નશેડી છે અમે એને લઇ આવીએ છીએ, આગળ તમે એનો ખ્યાલ રાખજો અને તે બાદ બે દિવસ સુધી યુવાનનો પત્તો કેમ ન લાગ્યો?
●4 માર્ચના રોજ મૃતદેહ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં પહોંચી ગયો હતો તો પછી રાજકોટ શહેર જિલ્લા અને ગુજરાતના મિસિંગ પોર્ટલમાં કેમ આપવામાં ન આવ્યું?
●જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી પોલીસે જાહેર કર્યા પરંતુ અધૂરા કર્યા હોવાનો આરોપ લાગ્યો છે અને પૂરા સીસીટીવી કેમ જાહેર ન કર્યા?
આમ,ઘણી વિસંગતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે અને હવે પછીના ઘટનાક્રમમાં ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી આંચકી લઇને સુરેન્દ્રનગર SPને સોંપાઈ છે. રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું હતું.
યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યા હતા. આ કેસની સંયુક્ત તપાસ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને ધાંગધ્રાનાં ડી.વાય.એસ.પી જે.ડી. પુરોહિત કરી રહયા છે.
આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવનાર છે ત્યારે ફરી એકવાર આ હાઇ પ્રોફાઇલ કેસ ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે










