
- નાસા ક્રૂ-10ના સભ્યોને જોઈને સુનિતા વિલિયમ્સ ખુશીથી નાચી ઉઠ્યા; જૂઓ વીડિયો
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોર હવે આગામી થોડા દિવસોમાં પૃથ્વી પર પાછા ફરશે. તેમને પાછા લાવવા માટે નાસા અને સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરાયેલા ક્રૂ-10 ના સભ્યો અવકાશમાં તે કેન્દ્ર પર પહોંચી ગયા છે. ક્રૂ-10ના સભ્યો સ્પેસ સેન્ટર પહોંચ્યા કે તરત જ સુનિતા વિલિયમ્સ તેમને સામે જોઈને ખુશીથી ઉછળી પડ્યા હતા. તેમણે ખાસ કેન્દ્રમાં આવેલા ચારેય અવકાશયાત્રીઓનું ગળે લગાવીને સ્વાગત કર્યું.
તમને જણાવી દઈએ કે 5 જૂન, 2024 ના રોજ, સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે ઉડાન ભરી હતી. તેમની અવકાશ યાત્રા 8 દિવસ સુધી ચાલી હતી. બંનેને 10 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરવાનું હતું. આ મિશન દરમિયાન સુનિતા અને બુચને અવકાશ મથક પર 8 દિવસમાં સંશોધન અને ઘણા પ્રયોગો કરવા પડ્યા હતા. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશયાનની અવકાશયાત્રીઓને અવકાશ મથક સુધી લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતા સાબિત કરવાનો હતો.
પરંતુ સ્ટારલાઇનર અવકાશયાનના થ્રસ્ટરમાં ખામીને કારણે તેમના પાછા ફરવામાં વિલંબ થયો હતો. નાસાએ જણાવ્યું હતું કે અવકાશયાનના સર્વિસ મોડ્યુલના થ્રસ્ટરમાં એક નાનો હિલીયમ લીક થયો હતો. 25 દિવસ પછી અવકાશયાન કેપ્સ્યુલમાં 5 હિલીયમ લીક થઇ ગયાના સમાચાર સામે આવ્યા હતા. તે પછી 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સ્ટારલાઇનર અવકાશયાનના થ્રસ્ટરમાં ખામી સુધારવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ આ સમસ્યાનું નિરાકરણ શક્ય નહોતું. આ કારણે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં વિલંબ થયો હતો.
ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ જ્યાં ફસાયા છે એ ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ (ISS) અંતરિક્ષમાં સતત ગતિશીલ રહેતું માનવનિર્મિત અંતરિક્ષ મથક છે. અંતરિક્ષયાત્રીઓ ત્યાં જઈને રહે છે અને પ્રયોગો કરે છે. ત્યાંનું જીવન પૃથ્વીથી સાવ અલગ છે. ત્યાંનો દિવસ ફક્ત 45 મિનિટનો હોય છે અને 24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવા મળે છે!
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી 408 કિલોમીટર દૂર છે. એ સ્થિર નથી રહેતું, સતત ગતિશીલ રહે છે, પૃથ્વીની આસપાસ ફરતું રહે છે. તે 28163 કિલોમીટર (17500 માઈલ) પ્રતિ કલાકની અધધધ ઝડપે ફરે છે. પૃથ્વીનું કદ (વ્યાસ 12,742 કિમી) અને સ્પેસ સ્ટેશનનું પૃથ્વીથી અંતર (408 કિમી) એ બે ફેક્ટરને આધારે ISS ની ઝડપ નક્કી થાય છે.
खुशी से झूम उठी सुनीता विलियम्स 😇🔥
अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन पर 9 महीने से फांसी सुनीता विलियम्स ज्यादा लौटेंगे धरती पर 🙏 pic.twitter.com/tVEFXiSiCZ— Yati Sharma (@yati_Official1) March 17, 2025
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પાંચ બેડરૂમના ઘર (અથવા બે બોઇંગ 747 વિમાન) જેટલું મોટું છે. તેના તમામ છેડાઓને સમાવીને માપવામાં આવે તો તેનો પથારો ફૂટબોલના મેદાન જેટલો થાય. તેમાં 6 લોકોની ટીમ અને અમુક મર્યાદામાં મહેમાનો રહી શકે છે. હાલ સ્પેસ સ્ટેશનમાં 8 લોકો છે. પૃથ્વી પર સ્પેસ સ્ટેશનનું વજન અંદાજે 420000 કિલોગ્રામ થાય.
45 મિનિટનો દિવસ અને 45 મિનિટની રાત
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની ઝડપ એટલી વધારે છે કે એને પૃથ્વીનું એક ચક્કર કાપતાં ફક્ત 90 મિનિટ લાગે છે. એમાંના અડધો સમય એટલે કે 45 મિનિટ ISS સૂર્યપ્રકાશમાં વિતાવે છે અને બાકીની 45 મિનિટ પૃથ્વીના પડછાયામાં વિતાવે છે. તેથી ISS પર હાજર અંતરિક્ષયાત્રીને 45 મિનિટના દિવસ અને 45 મિનિટની રાતનો અનુભવ થાય છે. મતલબ કે, 90 મિનિટમાં એક આખો દિવસ પૂરો!
24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત
દરેક પરિભ્રમણ દરમિયાન ISS જ્યારે અંધકારમાંથી અજવાળા તરફ સંક્રમણ કરે છે ત્યારે સ્પેસ સ્ટેશન પર સવાર અંતરિક્ષયાત્રીને સૂર્યોદય જોવા મળે છે. એ જ રીતે ISS જ્યારે અજવાળામાંથી અંધકાર તરફ સંક્રમણ કરે છે ત્યારે સ્પેસ સ્ટેશન પર સવાર અંતરિક્ષયાત્રીને સૂર્યાસ્ત જોવા મળે છે. 24 કલાક ÷ 90 મિનિટ = 16, એવું સાદું ગણિત માંડીએ તો જાણવા મળે છે કે પૃથ્વી પર 24 કલાક વિતે એટલા સમયમાં ISS પૃથ્વીની 16 પરિક્રમા કરી નાંખે છે. એટલે અંતરિક્ષયાત્રીને 24 કલાકમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોવા મળે છે.
ISS ક્યારે બનાવાયું હતું?
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર, 1998માં લોન્ચ કરવામાં આવ્યો હતો. એ એક રશિયન મોડ્યુલ હતું જેને ‘ઝાર્યા’ નામ અપાયું હતું. એના બે અઠવાડિયા પછી ‘યુનિટી નોડ’ અંતરિક્ષમાં મોકલાયું હતું અને અંતરિક્ષયાત્રીઓએ બંને ભાગને સફળતાપૂર્વક જોડ્યા હતા. આગામી બે વર્ષમાં સ્પેસ સ્ટેશનમાં વધુ હિસ્સા જોડવામાં આવ્યા હતા. 2 નવેમ્બર, 2000થી ત્યાં માનવ વસવાટ શરૂ થયો હતો. નાસા અને વિશ્વભરના તેના ભાગીદારોએ મળીને 2011 માં સ્પેસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ કર્યું હતું.
સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે આવશે?
અંતરિક્ષમાં ફક્ત થોડા દિવસો માટે ગયેલાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂન, 2024થી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. તેમને અંતરિક્ષમાં લઈ જનાર બોઈંગ સ્ટારલાઈનરમાં તકનીકી સમસ્યાઓ સર્જાતા બંને અંતરિક્ષયાત્રીઓ ISSમાં ફસાઈ ગયા હતા. નાસાએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે બંને અંતરિક્ષયાત્રીઓને પૃથ્વી પર લાવવામાં હવે ઝાઝો વાર નહીં લાગે, ફ્લોરિડાના સમુદ્રમાં મંગળવારે સાંજે 5:57 વાગ્યે (ભારતીય સમય અનુસાર બુધવારે 3:27 વાગ્યે) તેમને ઉતારવામાં આવશે. આશા કરવામાં આવી રહી છે કે, આ કામમાં હવે કોઈ મુશ્કેલી આવશે નહીં.