
Surat Ghee Ice Cream Adulteration: સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ અભિયાન દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાંથી કુલ 6 સેમ્પલ ગુણવત્તાના ધોરણે નિષ્ફળ જાહેર કરવામાં આવ્યા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના ચોંકાવનારા રિપોર્ટમાં કેટલાક સેમ્પલને “અનસેફ” એટલે કે ખાવા માટે અસુરક્ષિત અને કેટલાકને “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ સુરતના નાગરિકોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે દૈનિક વપરાશમાં આવતી વસ્તુઓમાં થતી આ ભેળસેળ સીધી રીતે ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.
ન્યુ આદિનાથ ડેરીના ઘીમાં ટ્રાન્સફેટનું જોખમી પ્રમાણ મળ્યું
આરોગ્ય વિભાગની તપાસમાં સૌથી મોટો ખુલાસો કોસાડ વિસ્તારમાં આવેલી ન્યુ આદિનાથ ડેરીના ગોડાઉનમાં થયો છે. અહીંથી લેવામાં આવેલા ઘીના ચાર સેમ્પલ એકસાથે ફેઈલ જાહેર થયા છે. લેબોરેટરી રિપોર્ટ મુજબ, ત્રણ સેમ્પલમાં ટ્રાન્સફેટનું પ્રમાણ ખૂબ જ જોખમી સ્તરે નોંધાયું છે, જે માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. વધુમાં, એક સેમ્પલમાં બીટા-સિટોસ્ટેરોલ મળી આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે ગાયના શુદ્ધ ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ કરવામાં આવી રહી હતી. ટ્રાન્સફેટનું આવું ઊંચું પ્રમાણ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને શરીરમાં કોલેસ્ટ્રોલ વધારવા માટે મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે.
જાણીતા આઈસ્ક્રીમ પાર્લરોમાં પણ મિલ્ક ફેટની ઉણપ
ભેળસેળનો આ સીલસીલો માત્ર ઘી પૂરતો મર્યાદિત નથી, પરંતુ આઈસ્ક્રીમ અને જીલાટોમાં પણ જોવા મળ્યો છે. સુરતના પોશ ગણાતા સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ કૃપા આઈસ્ક્રીમ પાર્લરનો વેનિલા આઈસ્ક્રીમ અને ઉધના-મગદલ્લા રોડ પર આવેલા ફ્રેંકો જીલાટોનો મલાઈ પિસ્તા આઈસ્ક્રીમ પણ ટેસ્ટમાં ફેઈલ થયો છે. આ સેમ્પલોમાં દૂધના કુદરતી ફેટ (Milk Fat) નું પ્રમાણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો કરતા ઘણું ઓછું મળી આવ્યું છે. આ મામલે શિવ કૈલાસ આઈસ્ક્રીમ પાર્લરના સંચાલક વિકી સૈનીએ સ્વીકાર્યું છે કે તેમના વેનિલા આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ આવ્યા છે અને તેઓ હવે ઉત્પાદક પાસેથી આ બાબતે સ્પષ્ટતા માંગી સાવચેતી રાખશે તેવું જણાવ્યું છે.
ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાર્યવાહીની તૈયારી
ખાદ્ય પદાર્થોમાં થતી આ ભેળસેળને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા હવે કડક એક્શન મોડમાં આવી છે. આરોગ્ય વિભાગે શહેરભરમાં ઘી અને આઈસ્ક્રીમ વેચતા એકમો પર તપાસ તેજ કરી દીધી છે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ફૂડ સેફ્ટી એક્ટ ૨૦૦૬ (Food Safety Act 2006) ના કડક નિયમો હેઠળ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ બજારમાંથી વસ્તુ ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખે અને કોઈપણ શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જણાતા તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. આવી ભેળસેળ રોકવા માટે જનજાગૃતિ અને તંત્રની સજાગતા બંને અનિવાર્ય બની ગયા છે.
આ પણ વાંચો:







