
Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું કહું ત્યાંથી જ તેલ ખરીદે,ટ્રમ્પે ટેરીફ ઘટાડાની સોશ્યલ મીડિયા ઉપર જાહેરાત કરી છે અને દાવો કર્યો કે મોદી સાથે વાત થઈ અને તેઓ રશિયા પાસેથી તેલ નહિ ખરીદે અને અમારી પાસેથી અને વેનેઝુએલાનું તેલ ખરીદવા સંમત થયા છે.
જોકે,ભારતના વિદેશ મંત્રાલય કે મોદી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ફોડ પાડ્યો નથી,તો શું ભારત ટ્રમ્પના કહેવા પર જુના સાથી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે,ચાલો જોઈએ કે ભારત રશિયા પાસેથી કેટલું તેલ ખરીદે છે, તેને શું ફાયદો થાય છે અને જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે તો તેની દેશ પર કેવી અસર પડી શકે છે.
■ જાણો, વેપાર કરારની વાટાઘાટો ક્યાં સુધી પહોંચી? ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે?
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર માટેની વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી હતી. ત્રણ દિવસ પહેલા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે શનિવારે આ જાહેરાત કરી હતી, અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નજીકના ભવિષ્યમાં આ મોરચે સારા સમાચાર મળશે,ત્યારબાદ સોમવારે, ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને 25% થી ઘટાડીને 18% કરી દીધો તે વાત સામે આવી છે.
■ ટ્રમ્પે પોતાનું તેનું તેજ વલણ પુનરાવર્તિત કર્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2025માં ઓક્ટોબરમાં પણ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને તેમને એક મહાન અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા હતા. તે સમયે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, ” ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે,તેનાથી હું ખુશ નથી, પરંતુ વડા પ્રધાન મોદીએ મને ખાતરી આપી છે કે ભારત હવે આવું નહીં કરે.” જોકે, ત્યારબાદ પીએમ મોદી કે ભારતીય સરકારના કોઈ અધિકારીએ એવી કોઈ ચોખવટ નહોતી કરી કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરી રહ્યું છે.
આવું ટ્રમ્પ ઘણીવાર કહી ચુક્યા છે પણ મોદીએ ક્યારેય કોઈ ખુલાસો નથી કર્યો આ વખતે પણ એવું જ થયું છે કે સોમવારે ટ્રમ્પ અને મોદી વચ્ચે વાત થઈ ટેરીફ ઘટ્યો અને શરત એ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બિલકુલ બંધ કરવાનું છે પણ હજુસુધી આ મુદ્દે ભારતની પ્રતિક્રિયા સામે આવી નથી.
■ ગ્લોબલ એનર્જી ડિપ્લોમસી
રશિયા ભારતનો ક્રૂડ ઓઇલ આયાતનો સૌથી મોટો સ્ત્રોત છે. જો ભારત ખરેખર રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરવાનું વચન આપે છે, તો તે વૈશ્વિક ઊર્જા ડિપ્લોમસીમાં એક મોટો વળાંક હોઈ શકે છે, કારણ કે અમેરિકા લાંબા સમયથી રશિયા-યુક્રેન યુદ્ધને રોકવાના બહાને રશિયન તેલ ખરીદીને સંપૂર્ણપણે બંધ કરવા માટે વાતાવરણ બનાવી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફથી અવિચલિત ભારતે તટસ્થ નીતિ અપનાવી, જેની રશિયાએ પોતે પ્રશંસા કરી છે. અમેરિકા સાથે લાંબી વાટાઘાટો અને ટ્રમ્પના ટેરિફ ધમકીઓ વચ્ચે, ભારતીય નિયમનકારી સંસ્થાઓ અને દેશની મુખ્ય તેલ રિફાઇનરીઓએ રશિયા પાસેથી તેલ મેળવવાના જોખમો અને વિકલ્પોની તપાસ કરી છે. આનો અર્થ એ છે કે નવી દિલ્હીમાં રશિયન તેલનો ઉપયોગ કરવાના ફાયદા અને ગેરફાયદાનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
■ રશિયન તેલ ખરીદી ડેટા
2022 માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી, ભારતે રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર સસ્તા ક્રૂડ તેલ ખરીદવાનું શરૂ કર્યું. તે સમયે જો બિડેન યુએસ પ્રમુખ હતા. તત્કાલીન વ્હાઇટ હાઉસ વહીવટીતંત્રને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા સામે કોઈ ખાસ વાંધો નહોતો. પરિણામે, રશિયા ભારતનો ક્રૂડ તેલ આયાતનો સૌથી મોટો સ્ત્રોત બન્યો. એપ્રિલ 2022 થી જૂન 2025 સુધી, ભારતે દરરોજ 1.7-1.9 મિલિયન બેરલ રશિયન ક્રૂડ તેલ ખરીદ્યું. આનાથી ભારતને 17 અબજ ડોલરની બચત થઈ. ભારતીય કંપનીઓએ પણ નોંધપાત્ર નફો કર્યો, તેમની બેલેન્સ શીટમાં વધારો થયો. જોકે,ત્યારબાદ બાયડન ગયા અને ટ્રમ્પ આવ્યા તેઓએ ભારતને રશિયા પાસેથી તેલ નહિ ખરીદવા અલ્ટીમેટમ આપ્યું પણ તે સિલસિલો ચાલુ રહ્યો અને આખરે ટ્રમ્પે ઓગસ્ટમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો.
પરિણામે ભારતીય નિકાસને મોટો ફટકો લાગ્યો.
■ ભારત પહેલા કરતા ઓછું તેલ ખરીદી રહ્યું છે
રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કર્યું છે. જોકે, આ માટે અમેરિકાના દબાણને જવાબદાર ગણવામાં આવ્યું નથી પરંતુ આ માટે સરકાર નહિ પણ ભારતીય તેલ એજન્સીઓના સ્વતંત્ર નિર્ણયને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.
રોઇટર્સના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત રશિયન તેલની આયાત ઘટાડીને દૈનિક 1 મિલિયન બેરલ (bpd) થી નીચે કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરી 2026 માં, રશિયાથી ભારતની તેલની આયાત લગભગ 1.2 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતી. ફેબ્રુઆરીમાં આ ઘટીને દૈનિક 1 મિલિયન બેરલ અને માર્ચમાં દૈનિક 800,000 બેરલ થવાનો અંદાજ હતો.
ભારતીય વિશ્લેષકો માને છે કે તેઓ નજીકના ભવિષ્યમાં રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે, પરંતુ ભારતની તેલ રિફાઇનરીઓ બિન-મંજૂરીકૃત તૃતીય-પક્ષ મધ્યસ્થી દ્વારા રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખશે.
■ દેશની તિજોરી પર કેટલી અસર પડશે?
જો ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું બંધ કરે તો તેને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એ પણ સાચું છે કે ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ દરે સસ્તું ક્રૂડ તેલ ખરીદીને અબજો ડોલર બચાવ્યા છે. તેથી, રશિયા પાસેથી તેલ ખરીદી પર સંપૂર્ણ રોક લગાવવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે.
લગભગ ત્રણ મહિના પહેલા, ફોર્ચ્યુન ઇન્ડિયાના એક અહેવાલમાં જણાવાયું હતું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરે, તો તેને દરરોજ આશરે 280 મિલિયનથી 560 મિલિયન રૂપિયાનું આર્થિક નુકસાન થઈ શકે છે,આમ, ટ્રમ્પે છ મહિનામાં બીજી વખત એવો દાવો કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે.
જોકે, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી,જેના કારણે ટ્રમ્પનું નિવેદનનું સસ્પેન્સ પહેલાની જેમજ યથાવત રહ્યું છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા






