
VBSA Bill Controversy: ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં એક મોટો અને મહત્વનો ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર ‘વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન (VBSA) વિધેયક, ૨૦૨૫’ લાવી રહી છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ અત્યાર સુધી અલગ-અલગ કામ કરતી ત્રણ મહત્વની સંસ્થાઓ – યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ને એકીકૃત કરીને ‘VBSA’ નામની એક સર્વોચ્ચ સંસ્થા સ્થાપિત કરવાની યોજના છે. આ વિધેયકનો ઉદ્દેશ્ય શિક્ષણ ક્ષેત્રમાં સુધારા લાવવાનો હોવાનો સરકારે દાવો કર્યો છે, પરંતુ આ પ્રસ્તાવ રજૂ થતાની સાથે જ દેશભરમાં વિવાદોનું વાવાઝોડું ફૂંકાયું છે. ભાજપના સાંસદ ડી. પુરંદેશ્વરીની અધ્યક્ષતામાં સંયુક્ત સંસદીય સમિતિ આ વિધેયકની તપાસ કરી રહી છે, જેની સામે રાજ્ય સરકારો અને પ્રમુખ યુનિવર્સિટીઓએ આકરી આપત્તિ વ્યક્ત કરી છે.
સંઘીય માળખા પર તરાપ અને રાજ્યોની ચિંતા
આ વિધેયક સામે સૌથી મોટો વિરોધ ભાજપ શાસિત અને સહયોગી રાજ્યો તરફથી જ આવ્યો છે, જે દર્શાવે છે કે આ મુદ્દો માત્ર રાજકીય નથી પણ વહીવટી અને બંધારણીય છે. આંધ્રપ્રદેશની એન. ચંદ્રબાબુ નાયડુની સરકાર, જે એનડીએનો ભાગ છે, તેણે સ્પષ્ટ કહ્યું છે કે આ કાયદો રાજ્યોની શૈક્ષણિક સ્વાયત્તતા છીનવી શકે છે. રાજ્ય સરકારને ખાસ કરીને વિધેયકની ‘કલમ ૧૧’ સામે વાંધો છે, જે નિયામક પરિષદને સીધી ડિગ્રી આપવાની સત્તા આપે છે. આ જોગવાઈ ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ‘બંધારણીય ટકરાવ’ ઊભો કરી શકે છે. તેવી જ રીતે, મધ્યપ્રદેશ અને મેઘાલય જેવા રાજ્યોએ પણ એવી ચિંતા વ્યક્ત કરી છે કે આટલા મોટા ફેરફારો કરતી વખતે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે કોઈ ચર્ચા-વિચારણા કરી નથી. રાજ્યોની માંગ છે કે શિક્ષણ ક્ષેત્રે કોઈપણ નિર્ણય લેતા પહેલાં કેન્દ્રએ રાજ્યોના અભિપ્રાયને પ્રાથમિકતા આપવી જોઈએ.
કેન્દ્રીકરણનો ભય અને લોકશાહીની મર્યાદાઓ
કોંગ્રેસ શાસિત તેલંગાણા સરકારે આ વિધેયકની ટીકા કરતા કહ્યું છે કે આ માત્ર શિક્ષણમાં સુધારો નથી, પણ કેન્દ્ર સરકારની તાનાશાહી છે. તેલંગાણા સરકારે ‘કલમ ૪૫’ ને સૌથી વધુ જોખમી ગણાવી છે, જે શિક્ષણ ક્ષેત્રે તમામ અંતિમ નિર્ણયો લેવાની સત્તા કેન્દ્રને આપે છે. આ કલમથી રાજ્યોની યુનિવર્સિટીઓ પોતાની સ્વતંત્રતા ગુમાવી શકે છે અને શૈક્ષણિક ફીમાં પણ મનસ્વી વધારો થઈ શકે છે. બીજી તરફ, મેઘાલય સરકારનું માનવું છે કે માનક અને માન્યતા (એક્રેડિટેશન) ના અધિકારો કેન્દ્ર પાસે હોવા જોઈએ, પરંતુ સંચાલન, સ્ટાફની ભરતી અને આર્થિક વ્યવસ્થાપન જેવી બાબતો રાજ્યોના હાથમાં જ રહેવી જોઈએ. સ્પષ્ટ છે કે વિધેયકનું જે રીતે ડ્રાફ્ટિંગ કરવામાં આવ્યું છે, તેમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ સાવ નજીવું હોવાથી તેમની ચિંતાઓમાં તથ્ય જણાય છે.
યુનિવર્સિટીઓનું વલણ: એકેડેમિક સ્વાયત્તતાનું સંકટ
માત્ર રાજ્ય સરકારો જ નહીં, પરંતુ દેશની નામાંકિત યુનિવર્સિટીઓ પણ આ વિધેયકને લઈને ચિંતિત છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) એ સમિતિ સમક્ષ રજૂઆત કરી છે કે VBSA નું માળખું અત્યંત કેન્દ્રીકૃત છે. જો કેન્દ્ર સરકાર કોઈ સંસ્થાને પોતાના આદેશોનું પાલન કરાવવા માટે બાધ્ય કરે, તો તે સંસ્થાની સ્વતંત્ર વિચારધારા પર રોક લાગી શકે છે. આસામ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની અનેક યુનિવર્સિટીઓએ આ પ્રસ્તાવને ‘કાર્યપાલિકાના ગુલામ’ બનાવનારો ગણાવ્યો છે. ખાસ કરીને ‘કલમ ૪૭’ હેઠળ કેન્દ્રને જે સત્તા મળી રહી છે, જેના દ્વારા તે જરૂર પડે તો આ આયોગને જ ભંગ કરી શકે છે, તે સંસ્થાની સ્થિરતા માટે મોટું જોખમ છે. યુનિવર્સિટીઓ માને છે કે આ સંસ્થા ભવિષ્યમાં શૈક્ષણિક સંસ્થા બનીને રહેવાને બદલે ‘સરકારનું અંગ’ બનીને કામ કરશે, જેનું પરિણામ શિક્ષણની ગુણવત્તા પર પડી શકે છે.
સંસદની અંદર અને બહાર વિરોધનો સૂર
સંયુક્ત સંસદીય સમિતિમાં રહેલા વિરોધ પક્ષના સભ્યો, જેમ કે ટીએમસી સાંસદ સાગરિકા ઘોષ અને આરજેડી સાંસદ સંજય કુમાર ઝાએ આ વિધેયકના મૂળમાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે. સાગરિકા ઘોષના મતે, આયોગના અધ્યક્ષની નિમણૂક કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અપારદર્શક છે. સર્ચ કમિટીમાં કેન્દ્ર સરકારના મળતિયાઓનું વર્ચસ્વ હશે, જેમાં શિક્ષકો, ન્યાયપાલિકા કે રાજ્ય સરકારોનો કોઈ યોગ્ય અવાજ નહીં હોય. આ ઉપરાંત, દિગ્વિજય સિંઘે એવો બંધારણીય પ્રશ્ન ઉઠાવ્યો છે કે શિક્ષણ એ સમવર્તી સૂચિનો વિષય છે, તો પછી કેન્દ્ર સરકાર કયા આધારે રાજ્ય સરકારોના અધિકારો પર અતિક્રમણ કરી રહી છે? આ પ્રશ્નો સરકાર માટે આગામી સમયમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
સરકારનો બચાવ
આ તમામ આક્ષેપો અને વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રાલયે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે આ ફેરફારો વર્તમાન સમયની જરૂરિયાત છે. મંત્રાલયે દલીલ કરી છે કે જે સત્તાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તે સત્તાઓ તો UGC અને AICTE ના વર્તમાન કાયદાઓમાં પણ મોજૂદ છે જ. સરકારનું કહેવું છે કે કટોકટીમાં સંસ્થાને સુપરસેસ કરવાની સત્તા એ માત્ર એક સુરક્ષાત્મક વ્યવસ્થા છે, જેનો દુરુપયોગ કરવામાં આવશે નહીં. મંત્રાલયના દાવા મુજબ, VBSA ઉચ્ચ શિક્ષણને વધુ પારદર્શક અને જવાબદાર બનાવશે. જોકે, શિક્ષણ જગતના નિષ્ણાતો આ તર્કને પચાવી શકતા નથી, કારણ કે ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે જ્યારે પણ કેન્દ્રીકરણ થયું છે ત્યારે સ્વાયત્ત સંસ્થાઓની સ્વાયત્તતા જોખમાઈ છે.
લોકશાહીમાં સંવાદની અનિવાર્યતા
અંતે, VBSA વિધેયક ૨૦૨૫ એક એવા તબક્કે છે જ્યાં સરકાર અને શિક્ષણ જગત વચ્ચે મોટું અંતર છે. શિક્ષણ એ રાષ્ટ્રના ભવિષ્યનો પાયો છે, અને જો તે પાયામાં કોઈ પણ પ્રકારના રાજકીય કે કેન્દ્રીય અંકુશના બીજ રોપાય, તો તેનું પરિણામ આવનારી પેઢી ભોગવશે. વિપક્ષી સાંસદો, રાજ્ય સરકારો અને સ્વયં યુનિવર્સિટીઓની આશંકાઓને નજરઅંદાજ કરવી યોગ્ય નથી. લોકશાહીમાં ‘ચેક્સ એન્ડ બેલેન્સ’ એટલે કે નિયંત્રણ અને સંતુલનની જાળવણી અત્યંત જરૂરી છે. જો સરકાર ખરેખર શિક્ષણમાં સુધારો ઈચ્છતી હોય, તો તેણે હઠાગ્રહ છોડીને રાજ્યો અને શિક્ષણવિદો સાથે ખુલ્લા મને સંવાદ કરવો જોઈએ. આ વિધેયક કાગળ પર ભલે અત્યાધુનિક લાગે, પણ વાસ્તવિકતામાં તે સંઘીય માળખાને મજબૂત કરવાને બદલે તેને નબળું પાડી રહ્યું છે, જેને સુધારવું અનિવાર્ય છે.
આ પણ વાંચો:
Urban Flooding in India: વરસાદે ખોલી ભારતીય શહેરોની આયોજનહીનતાની પોલ – thegujaratreport.com








