
- મોદીની ડિગ્રી કોર્ટને બતાવી શકીએ પરંતુ અજાણ્યા લોકોને નહીં: સરકાર
દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવાર, 27 ફેબ્રુઆરીના રોજ કહ્યું કે તેમને દિલ્હી હાઈકોર્ટમાં વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની ડિગ્રી બતાવવામાં કોઈ વાંધો નથી. પરંતુ તે આ ડિગ્રી અજાણ્યાઓ કે જાહેર જનતા સમક્ષ જાહેર કરી શકતા નથી. આ નિવેદન ડીયુ એટલે કે સરકાર વતી ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આપ્યું હતું.
પીએમ ડિગ્રી વિવાદની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે. જસ્ટિસ સચિન દત્તાની બેન્ચ સમક્ષ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ વાત કહી હતી. આ સંબંધિત અરજીમાં 2017ના કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને પડકારવામાં આવ્યો છે. જેમાં દિલ્હી યુનિવર્સિટીને એક RTI અરજદારને મોદીની ડિગ્રી સંબંધિત માહિતી પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. મોદી ગુજરાતમાંથી કેન્દ્રમાં સત્તા પર આવ્યા ત્યારથી તેમની ડિગ્રીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, “એક વિદ્યાર્થીની ડિગ્રી માંગવામાં આવી રહી છે, જે દેશના વડા પ્રધાન છે. આમાં છુપાવવા જેવું કંઈ નથી. અમારી પાસે (ડીયુ) વર્ષવાર રજિસ્ટર છે જેમાં બધું જ નોંધાયેલું છે. ડીયુને પીએમ મોદીની 1978ની મૂળ બીએ ડિગ્રી કોર્ટને બતાવવામાં કોઈ વાંધો નથી. ડીયુને તે બતાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ હું અજાણ્યાઓ (અથવા સામાન્ય લોકો)ની ચકાસણી માટે યુનિવર્સિટીના રેકોર્ડનો ખુલાસો કરીશ નહીં જેઓ તેને પ્રચાર માટે અથવા અન્ય કોઈ રાજકીય હેતુ માટે જોવા માંગે છે.”
આ પણ વાંચો- ભારે હિમવર્ષા વચ્ચે ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું: 57 મજુરો દટાયા
ડીયુને તે બતાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ હું યુનિવર્સિટીના રેકોર્ડને અજાણ્યાઓ (અથવા સામાન્ય જનતા) ની તપાસ માટે ખુલ્લા પાડીશ નહીં. જે તેને પ્રચાર માટે અથવા અન્ય કોઈ રાજકીય હેતુ માટે જોવા માંગે છે. -તુષાર મહેતા, 27 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં ભારતના સોલિસિટર જનરલ સ્ત્રોત: બાર અને બેન્ચ
કોર્ટે ગુરુવારે, 27 ફેબ્રુઆરીના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. અગાઉની સુનાવણીમાં આ કેસમાં અન્ય પક્ષોને સાંભળવામાં આવ્યા છે.
આ મુદ્દો 2016 માં ઉભો થયો જ્યારે દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને તેમની શૈક્ષણિક ડિગ્રીઓ વિશે “સ્પષ્ટ” થવા અને “તેમને જાહેર” કરવા વિનંતી કરી. મોદીએ પોતાના ચૂંટણી સોગંદનામામાં કહ્યું હતું કે તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ પોલિટિકલ સાયન્સ પૂર્ણ કર્યું હતું.
આ પછી આમ આદમી પાર્ટીના સમર્થક નીરજ શર્માએ દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએમ મોદીની ડિગ્રીની વિગતો માંગતી RTI દાખલ કરી હતી. યુનિવર્સિટીએ ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તે “ખાનગી” છે અને તેને “જાહેર હિત સાથે કોઈ લેવાદેવા નથી”.
ડિસેમ્બર 2016માં નીરજ શર્માએ યુનિવર્સિટીના જવાબ સામે CIC નો સંપર્ક કર્યો. માહિતી કમિશનર પ્રો. એમ આચાર્યુલુએ એક આદેશ પસાર કરીને ડીયુને 1978માં બેચલર ઓફ આર્ટ્સ પ્રોગ્રામ પાસ કરનારા વિદ્યાર્થીઓની યાદી ધરાવતું રજિસ્ટર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
23 જાન્યુઆરી 2017ના રોજ દિલ્હી યુનિવર્સિટીએ CICના આદેશને પડકારતી હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જાન્યુઆરી 2017માં શર્માને નોટિસ જારી કરી હતી અને એસજી તુષાર મહેતાની દલીલોને ધ્યાનમાં લીધા પછી આદેશ પર સ્ટે આપ્યો હતો કે આ આદેશના દૂરગામી પ્રતિકૂળ પરિણામો આવશે. દેશની તમામ યુનિવર્સિટીઓ એક જવાબદાર સંસ્થા (fiduciary capacity)તરીકે કરોડો વિદ્યાર્થીઓની ડિગ્રીની વિગતો જાળવી રાખે છે.
આ પણ વાંચો- 60,000 કરોડ રૂપિયાની કરવેરાની વસૂલાત વર્ષોથી બાકી!