
- કોણ છે પ્રવેશ વર્મા જેમણે કેજરીવાલ અને AAPને આપીને કારમી હાર; જાણો
નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવીને ભારે એક રીતે અપસેટ સર્જિ દીધો છે. પ્રવેશ વર્માએ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર અરવિંદ કેજરીવાલને 3181 મતોના મોટા માર્જિનથી હરાવીને જીત મેળવી છે. તો દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર અને મેનેજમેન્ટ પણ પ્રવેશ વર્મા પાસે જ હતો. તેથી ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરવામાં પ્રવેશ વર્માએ સારી એવી ભૂમિકા ભજવી છે. ચાલો જાણીએ પ્રવેશ વર્મા, જેમને દિલ્હીના નવા મુખ્યમંત્રી પદના દાવેદાર કહેવામાં આવી રહ્યા છે, તેમની શિક્ષણથી લઈને રાજકારણ સુધીની સફર વિશે.
પ્રવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર
પ્રવેશ વર્માનો જન્મ 7 નવેમ્બર 1977ના રોજ દિલ્હીમાં થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ સાહિબ સિંહ વર્માના પુત્ર છે. તેમની માતાનું નામ રામપ્યારી વર્મા છે. પ્રવેશ વર્માના લગ્ન સ્વાતિ સિંહ સાથે થયા છે, અને તેઓ એક પુત્ર અને બે પુત્રીઓના પિતા છે.
પ્રવેશ વર્મા પાસે ઘણી બધી ડિગ્રીઓ
પ્રવેશ વર્માએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમમાંથી મેળવ્યું હતું. આ પછી તેમણે કિરોરી માલ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ઉચ્ચ શિક્ષણ માટે તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં MBA કર્યું, જેનાથી તેમને વ્યવસાય અને વ્યવસ્થાપન ક્ષેત્રમાં કુશળતા મેળવી હતી.
પ્રવેશ વર્માની રાજકીય સફર
પ્રવેશ વર્માએ 2013 માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેમણે ભાજપની ટિકિટ પર મહેરૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને હરાવ્યા હતા. આ પછી 2014 ની લોકસભા ચૂંટણીમાં તેમણે પશ્ચિમ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મહાબલ મિશ્રાને 5,78,486 મતોના માર્જિનથી હરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તો હવે આમ આદમી પાર્ટીના કર્તાહર્તા એવા અરવિંદ કેજરીવાલને હરાવીને એક મોટા રાજનેતા તરીકે સામે આવ્યા છે.
2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને નવી દિલ્હી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા, જ્યાં તેમનો મુકાબલો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે હતો. નવી દિલ્હી બેઠકને મુખ્યમંત્રીની બેઠક માનવામાં આવે છે, કારણ કે અહીંથી જીતનારાઓ ઘણીવાર મુખ્યમંત્રી પદ સુધી પહોંચે છે. તેમણે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે.
પ્રવેશ વર્માની મિલકત
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારી નોંધાવતી વખતે પ્રવેશ વર્માએ પોતાની સંપત્તિ વિશે માહિતી આપી હતી. દાખલ કરાયેલા નામાંકન મુજબ, તેમની કુલ સંપત્તિ 95 કરોડ રૂપિયા છે. તેમની સ્થાવર મિલકતો રૂ. 77 કરોડ 89 લાખની છે, જ્યારે તેમની પત્નીની સ્થાવર મિલકતો રૂ. 17 કરોડ 53 લાખની છે. જો આપણે સ્થાવર મિલકતની વાત કરીએ તો, પ્રવેશ વર્મા પાસે 11 કરોડ 25 લાખ રૂપિયાની સ્થાવર મિલકત છે અને તેમની પત્ની પાસે 6 કરોડ 91 લાખ રૂપિયાની સ્થાવર મિલકત છે.
જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેમના પર 62 કરોડ 60 લાખ રૂપિયાનું દેવું છે, જેમાં ભાઈ સિદ્ધાર્થ સાહિબ સિંહ પાસેથી લેવામાં આવેલી 22 કરોડ 59 લાખ રૂપિયાની વ્યક્તિગત લોનનો પણ સમાવેશ થાય છે. તેમની પત્ની પર 11 કરોડ 45 લાખ રૂપિયાનું દેવું બાકી છે.
પ્રવેશ વર્મા તેમના તીક્ષ્ણ નિવેદનો માટે જાણીતા
પ્રવેશ વર્મા તેમના તીક્ષ્ણ નિવેદનો માટે જાણીતા છે. 2019 માં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન, તેમણે આંદોલનકારીઓ વિરુદ્ધ કઠોર ટિપ્પણીઓ કરી હતી. 2022 માં તેમણે એક ચોક્કસ સમુદાયના વ્યવસાયનો બહિષ્કાર કરવાની અપીલ કરી, જેના કારણે વિવાદ થયો. 2023માં છઠ પૂજા પહેલા એક સરકારી અધિકારી સાથેના તેમના ઝઘડાનો વીડિયો વાયરલ થયો હતો.
પ્રવેશ વર્મા રાજકીય જીવનમાં જેટલા સક્રિય છે, તેટલા જ તેઓ પોતાના પરિવાર પ્રત્યે પણ એટલા જ સમર્પિત છે. તેમના પિતા સાહિબ સિંહ વર્માના આદર્શોને અનુસરીને, તેઓ રાજકારણમાં સક્રિય છે અને દિલ્હીના લોકોમાં પોતાની ઓળખ જાળવી રાખી છે. પ્રવેશ વર્માની રાજકીય સફર તેમને દિલ્હીના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે. તેમના નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતાએ તેમને ભાજપના અગ્રણી નેતાઓમાંના એક બનાવ્યા છે, અને આગામી ચૂંટણીઓમાં તેમની ભૂમિકા પર બધાની નજર છે.
આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: કાલકાજી બેઠક પર CM આતિશીની જીત