
Vadodara: વડોદરા જિલ્લાના પાદરા નગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક દર્દનાક ઘટના બની, જેમાં 11 વર્ષના બાળકે વીજ કરંટ લાગવાથી જીવ ગુમાવ્યો. આ ઘટના ગટરના ભરાયેલા પાણીમાં તૂટેલા જીવતા વીજ વાયરને કારણે બની, જેના માટે સ્થાનિકોએ નગરપાલિકા અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.
11 વર્ષના બાળકનું વીજ કરંટથી મોત
મળતી માહિતી મુજબ પાદરા નગરની ક્રિષ્ણા રેસિડેન્સીમાં રહેતો નક્ષ જૈમિનભાઈ સોની (ઉંમર 11 વર્ષ) ઝેન હાઈસ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. આજે તે ટ્યૂશનમાંથી સાયકલ પર ઘરે જઈ રહ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેના રસ્તા પર ગટરનું પાણી ભરાયેલું હતું, જેમાં એક વીજ થાંભલાનો જીવતો વાયર તૂટીને પડેલો હતો. નક્ષ આ પાણીમાંથી પસાર થતાં જ વીજ કરંટનો ભોગ બન્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
વડોદરાના પાદરા – ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રાધે કૃષ્ણ સોસાયટી પાસે પાણીના ખાડામાં વીજળીનો લાઈવ વાયર પડી જવાથી મંગળવારે સાંજે 11 વર્ષના નક્ષ સોની નામના છોકરાનું કરંટ લાગવાથી મોત.#Gujarat pic.twitter.com/fRiwUqNLSi
— Sagar Patoliya (@kathiyawadiii) July 23, 2025
સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તેમણે નગરપાલિકા અને MGVCLની બેદરકારીને આ દુર્ઘટના માટે જવાબદાર ગણાવી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં લાંબા સમયથી ગટરનું પાણી ભરાતું હતું, અને આ અંગે નગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા નહોતા. આ ઉપરાંત, તૂટેલા વીજ વાયરની બાબતે પણ MGVCLને ત્રણ-ચાર દિવસ પહેલાં જાણ કરવામાં આવી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી.
સ્થાનિકોએ કરી તપાસની માંગ
આ ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બાળકને હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. રોષે ભરાયેલા લોકોએ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહીની માંગણી કરી.
તંત્ર મોત બાદ જ કેમ જાગે છે ?
પાદરા પોલીસે આ ઘટનાને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને વીજ કંપનીની બેદરકારીને ઉજાગર કરી છે, જેના કારણે એક નાનકડા બાળકનો જીવ ગયો. એવું લાગી રહ્યું છે કે, તંત્રને ટેવ પડી ગઈ છે કે, જ્યાં સુધી કોઈનો જીવ ન જાય ત્યાં સુધી રજૂઆત નહીં સાંભળવાની અને જ્યારે કોઈ ઘટના બને ત્યારે દેખડા માટે કામ કરવાનું.ત્યારે સવાલ તે થાય છે કે, ક્યાં સુધી તંત્રના કારણે નિર્દોષ લોકો મરતા રહેશે ? તંત્ર કેમ સમસ્યાની સામે આંખ આડા કાન કરે છે ? શું તંત્ર માટે લોકોના જીવની કોઈ કિંમત નથી ? હવે આ ઘટના બાદ વડોદરાનું તંત્ર કેટલું જાગે છે અને શું કાર્યવાહી થાય છે તે તો સમય જ બતાવશે…
આ પણ વાંચોઃ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી







