
દ્વારકાના ઓખા ખાતે આવેલી જેટી પર ક્રેન તૂટી પડવાના કારણે મોટી દુર્ઘટના બની છે. ક્રેન તૂટીને નીચે પડતા તેની નીચે દબાઈ જવાથી કુલ 3 લોકો મોતનો ભોગ બન્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108, ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી છે. 3 લોકોના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ શ્રમિકોના મોત થતાં પરિવારોમાં ભારે રોકકળ થઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડની જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડી હતી. જે તૂટવાને કારણે તેની નીચે શ્રમિકો દબાઈ ગયા હતા. ક્રેન નીચે દબાયેલા મૃત શ્રમિકોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા છે.
મૃતકોમાં એક ઈજનેર
મૃતકોની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે લઈ જવાયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાં વ્યક્તિમાં એક ઈજનેરનો સમાવેશ થાય છે. ઘટના બાદ તંત્રએ તાત્કાલિક ધોરણે અન્ય કોઈ લોકો દટાયા છે કે કેમ તે અંગે રેસ્ક્યૂ કામ હાથ ધર્યું છે. સાથે જ આ દુર્ગટના કેવી રીતે બની તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.








