
અજબ ગજબ! પ્રેમને માટે લોકો સાત દરિયા પાર ઊતરી જતા હોય છે. પ્રેમ માટે પર્વતો તોડી નાખતા હોય છે પણ આ કિસ્સામાં પ્રેમી જેલના સળિયા ગણતો થઈ ગયો છે. ઘટના જ એવી છે કે આપણે કોઈ ફિલ્મનો સીન જોતાં હોઈએ એવું લાગે. ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનું ગંગેશ્વરી ગામના હરિઓમ સૈનીને કોઈ ઉઠાવી ગયું હતું. એનું અપહરણ થઈ ગયું છે એવો હરિઓમના મોટા ભાઈ અરવિંદને કૉલ આવ્યો ત્યારે ખબર પડી. અપહરણ કર્યું હોય તો ખંડણી માટે જ કર્યું હોય, એટલે હરિઓમ જીવતોજાગતો પાછો જોઈતો હોય તો 5 લાખ રૂપિયાની ખંડણી આપવી પડશે, એવી ધમકી પણ મળી. મોટા ભાઈ ટેન્શનમાં આવી ગયા. સીધા પોલીસ સ્ટેશન દોડ્યા અને પોલીસને જાણ કરી કે નાના ભાઈનું અપહરણ થયું છે. કિડનેપિંગની વાત સાંભળીને પોલીસ પણ ક્રાઇમ પેટ્રોલની જેમ સતર્ક થઈ ગઈ. તપાસના ઘોડા દોડાવ્યા અને અંતે ગુરુગ્રામથી અપહરણકાર પકડાઈ ગયો. આરોપી પકડીને ખુશ થવાને બદલે પોલીસ ચોંકી ગઈ! કારણ કે અપહૃત હરિઓમ સૈની જ અપહરણકાર નીકળ્યો. હરિઓમે પોતે જ પોતાના અપહરણનો કારસો રચ્યો હતો.
પ્રેમિકા સાથે લગ્ન નહોતાં કરવા એટલે યુવાને પોતાનું જ અપહરણ કર્યું
પોલીસે હરિઓમને આમ કરવા પાળનું કારણ પૂછ્યું અને કારણ સાંભળીને વધારે ચોંકી ગઈ. હરિઓમે કહ્યું કે એ એક યુવતીને બહુ પ્રેમ કરે છે. એ યુવતી પણ હરિઓમને પ્રેમ કરે છે. બંને એકબીજાને પ્રેમ કરે ત્યાં સુધી બધું બરાબર હતું પણ યુવતી લગ્નનું દબાણ કરવા લાગી અને એનું દબાણ એટલીહદે વધી ગયું કે હરિઓમ ત્રસ્ત થઈ ગયો. એને પ્રેમિકા સાથે લગ્ન નહોતાં કરવા પણ પ્રેમિકા હાથ ધોઈને પાછળ પડી ગઈ હતી. એટલે કંટાળીને હરિઓમ ગુરુગ્રામ ભાગી ગયો અને ત્યાં અપહરણની યોજના ઘડી. એ પ્રેમિકાનું પછી શું થયું એ તો ખબર નથી પણ હરિઓમ જેલના સળિયા ગણતો થઈ ગયો છે. પ્રેમિકાના લગ્નથી છૂટવા અપહરણની યોજના ઘડી, એમાં એ આરોપી બની ગયો. પોલીસે હરિઓમ સૈનીની ધરપકડ કરી છે અને અદાલતમાં રજૂ કર્યો છે.
ચાર સંતાનના પિતા ચાર સંતાનની માતા સાથે પ્રેમ
આ તો પ્રેમિકા સાથે લગ્ન ન કરવાની વાત થઈ પણ સોનભદ્રમાં આનાથી ઊલટી ઘટના બની છે. વિંઢમગંજમાં ધરતી ડોલવા ગામ છે. ત્યાં ચાર સંતાનનો પિતા સંજય પાસવાન અને ચાર સંતાનની માતા લલિતા પ્રેમમાં ગળાડૂબ હતાં અને બંનેએ લગ્ન પણ કરી લીધાં. સંજયનાં તો આ ત્રીજાં લગ્ન છે, બોલો! આ પ્રેમલગ્નથી બંનેના પરિવારમાં તો ઠીક આખા ગામમાં ભૂકંપ આવી ગયો. મહેન્દ્ર પાસવાન સાથે 20 વર્ષ પહેલાં લલિતાનાં લગ્ન થયાં હતાં. લલિતા સંજય સાથે પરણીને ગઈ ત્યારે ચારમાંથી એક દીકરી મા સાથે ગઈ અને ત્રણ બાળક મહેન્દ્ર પાસે રહ્યાં છે. મહાપંચાયતમાં ઝારખંડ, બનારસી અને ડઝન જેટલાં ગામના લોકો એકઠા થયા હતા. ત્યાં સંજયનાં ચાર સંતાનની માતા અને બીજી પત્ની મનીષા મહાપંચાયત સામે ચોધાર આંસુએ રડી પડી અને મારાં છોકરાંનું શું? એ સવાલ ઉઠાવ્યો. એટલે મહાપંચાયતે સંજય પાસવાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પંચાયતે કહ્યું કે સંજય પોતાનું ઘર તો તોડ્યું જ છે પણ બીજા લોકોનાંય ઘર તોડ્યાં છે. આવા લોકોની સમાજમાં કોઈ જ જગ્યા નથી. જોકે પોલીસ અને પરિવારજનોની સમજાવટ છતાં સંજય અને લલિતા પોતાના નિર્ણય પર અડગ રહ્યાં છે અને નવેસરથી સંસાર માંડ્યો છે.









