
- ચાર મહિના અગાઉ પરિચિત યુવકે સગીરાને ઘરે બોલાવી હતી.
- યુવક સહિતના ચાર મિત્રોએ ભેગા મળી સગીરાને પીંખી નાંખી હતી.
- ગૂમસૂમ સગીરાની પરિવારે પુછપરછ કરતાં આખરે ભાંડો ફૂટ્યો.
Ahmedabad News । અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ચાર મહિના પહેલાં 15 વર્ષિય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનારા ચાર નરાધમોને પકડી પાડવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા સાઇકો કિલર વિપુલ સાથે ભૂતકાળમાં બાઈક ચોરીમાં સંડોવાયેલો અક્ષયનો પણ આ કેસના આરોપીઓમાં સમાવેશ થાય છે.
અમદાવાદમાં છાશવારે ગુનાખોરીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જોકે, પોલીસ તંત્ર સબ સલામતની ગુલબાંગ પોકારીને પોતાની જાતને જ શાબાશી આપવાનું ચુકતું નથી. રાજ્યભરમાં ગુંડાતત્વો બેફામ બન્યાં છે રોજબરોજ બનતી ઘટનાઓ પરથી કહેવું ખોટું ના ગણાય.
તાજેતરમાં જ ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પર બર્થ ડેનું સેલિબ્રેશન કરી રહેલાં યુગલ પર સાઇકો કિલર વિપુલ પરમારે હુમલો કર્યો હતો. જેમાં જીવલેણ હુમલાને કારણે યુવકનું મોત નિપજ્યું જ્યારે યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી. બાદમાં પોલીસે તાબડતોબ તપાસનો દૌર હાથ ધરી સિરીયલ કિલર વિપુલ પરમારને ઝડપી પાડ્યો હતો. અને બુધવારે સાંજે સાઈકો કિલર વિજય પરમારને ઘટનાસ્થળે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરવાનું હતું. ત્યારે જ વિપુલે ભાગવાનો પ્રયાસ કર્યો અને બાદમાં “બાહોશ” પોલીસ કર્મીઓએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરી વિપુલનું ઢીમ ઢાળી દીધું હતું.
સાઇકો કિલર વિપુલ પરમારના એન્કાઉન્ટરની ચર્ચા હજી ચાલી રહી છે ત્યારે જ તેની સાથે બાઈક ચોરીના ગુનામાં ઝડપાયેલા અને જામીન પર છૂટેલા અક્ષય ઉર્ફે સેંધો મહેરીયાની હવે 15 વર્ષિય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવાના ગુનામાં ધરપકડ થઈ છે.
પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી અને શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષિય સગીરાને તેની જ સોસાયટીમાં રહેતા એક જાણીતા યુવકે પોતાના ઘરે બોલાવી હતી. યુવકનાં કહેવા પર તેના ઘરે પહોંચેલી સગીરાને ખબર નહોતી કે ત્યાં કુલ ચાર હવસ ભૂખ્યાં વરૂઓ તેને પીંખી નાંખવાનો પ્લાન બનાવીને લાળ ટપકાવી રહ્યાં છે.
સગીરાને ઘરે બોલાવ્યા બાદ અક્ષય ઉર્ફે સેંધો મહેરીયા, પાર્થ ઉર્ફે ભોટિયો પરમાર, અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોરે ભેગા મળી સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. અને આ અંગે કોઈને વાત નહીં કરવાની ધાકધમકી આપવામાં આવી હતી. આ લખાય છે ત્યાં સુધી સગીરાનો પરિચિત યુવક કોણ છે તે અંગેની સ્પષ્ટ જાણકારી મળતી નથી. જોકે, સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ સગીરા ગૂમસૂમ થઈ ગઈ હતી.
છેલ્લાં ઘણાં મહિનાઓથી ગૂમસૂમ રહેતી અને નિયમિત શાળાએ જવાનું ટાળતી સગીરાના વર્તન પર પરિવારજનોનું ધ્યાન ગયું. અને બાદમાં પરિવાર દ્વારા તેની સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાદમાં પરિવારજનોએ ઘટના અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચારેય યુવકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, સામૂહિક દુષ્કર્મના બનાવ અંગે SC, ST સેલ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.










