
Toxic Air:દિલ્હી-એનસીઆર સહિત આસપાસના દૂર દૂર સુધીના વિસ્તારમાં ફેલાયેલું ગંભીર વાયુ પ્રદૂષણ ધુમ્મસ કે ધુમાડો માની લેવાની જરૂર નથી પણ તે વાતાવરણમાં થઈ રહેલી ઝડપી રાસાયણિક પ્રતિક્રિયાઓનું પરિણામ છે,જે હવાને સામાન્ય પ્રદૂષણ કરતાં ઘણી વધુ ઘાતક બનાવી રહ્યું છે,જે માનવ જિંદગી માટે જીવલેણ બની શકે છે,વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલો આ ચોંકાવનારો દાવો છે.
જાણીતા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા આ ખતરનાક દાવા છતાં સરકાર દ્વારા કોઈ ઇમરજન્સી પગલાં ભરવામાં આવતા નથી અને બેફિકરની જેમ રહેતા જનતામાં હતાશા ફરી વળી છે.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે અહીં હવામાં હાજર સલ્ફર, એમોનિયા, નાઇટ્રોજન ઓક્સાઇડ અને અસ્થિર કાર્બનિક સંયોજનો (VOCs) ભેગા થઈને ઓઝોન, એમોનિયમ સલ્ફેટ અને એમોનિયમ નાઈટ્રેટ જેવા અત્યંત ઝેરી સંયોજનો બનાવે છે, જે બાળકો, વૃદ્ધો, અસ્થમાના દર્દીઓ અને હૃદયના દર્દીઓને સીધી અસર કરે છે આ એક ગંભીર મામલો છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની બનેલી એક પેનલ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, દિલ્હી NCR સહિત ભારત-ગંગાના મેદાનોના ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોની હવામાં ત્રણ મુખ્ય પ્રતિક્રિયાઓ સૌથી ખતરનાક રીતે સક્રિય છે. પ્રથમ, NOx અને VOCs ભૂમિ-સ્તરનું ઓઝોન (O3) બનાવી રહ્યા છે. સૂર્યપ્રકાશ હેઠળ, વાહનો અને ઉદ્યોગોમાંથી ઉત્સર્જિત નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને અસ્થિર કાર્બનિક સંયોજનો (VOCs) ભૂમિ-સ્તરનું ઓઝોન બનાવવા માટે પ્રતિક્રિયા આપે છે. આ એ જ ઓઝોન છે જે ફેફસાના કોષોને સીધું નુકસાન પહોંચાડે છે અને તેની અસરો બદલી ન શકાય તેવી છે.
બીજું, થર્મલ પ્લાન્ટ્સમાંથી સલ્ફર ડાયોક્સાઇડ (SO2) અને કૃષિ કચરામાંથી એમોનિયા (NH3) ભેગા થઈને એમોનિયમ સલ્ફેટ નેનોપાર્ટિકલ્સ બનાવે છે, જે લોહી, મગજ અને પ્લેસેન્ટા સુધી પહોંચે છે. ત્રીજું, NOx અને NH3 ભેગા થઈને એમોનિયમ નાઈટ્રેટ બનાવે છે. આ પ્રતિક્રિયા ધુમ્મસના આવરણને જાડું, ઘાટું અને વધુ ખતરનાક બનાવે છે, અને તેથી જ ઠંડી હવા અસ્થમાના હુમલા, હૃદયરોગના હુમલા અને શ્વસન નિષ્ફળતાના બનાવોમાં વધારો કરે છે.
■વૈજ્ઞાનિકોની ચેતવણી:-આ માત્ર પ્રદૂષણ નથી પણ રાસાયણિક કટોકટી છે
હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતે એર કેમિસ્ટ્રી અને અર્બન પોલ્યુશન રિસર્ચ પ્રોગ્રામના મુખ્ય વૈજ્ઞાનિક પ્રો. કેથરિન હેલેન કહે છે કે દિલ્હી-એનસીઆરમાં હવા માત્ર પ્રદૂષિત જ નથી પણ રાસાયણિક રીતે સક્રિય પણ છે. જે શાંત રાસાયણિક ઝેર ઉત્પન્ન કરે છે,અને સૌથી ખતરનાક વાત એ છે કે,આ નરી આંખે જોઈ શકાતું નથી.
પ્રો.કેથરિન જાણીતા વૈજ્ઞાનિક છે જેઓને રાસાયણિક રીતે સક્રિય વાયુ પ્રદૂષણ (CEP) અને ફેફસાં, હૃદય અને મગજ પર તેની અસરો પર લાંબા ગાળાના અભ્યાસો હાથ ધરતા વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) ખાતે એર ક્વોલિટી સાયન્સ ડિવિઝનના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. એન્ડ્રુ પાર્કના મતે, ભૂમિ-સ્તરનો ઓઝોન ઉત્તર ભારતની સૌથી ઓછી ચર્ચામાં આવેલી પણ સૌથી ખતરનાક સમસ્યા છે,તે ફેફસાના કોષોને બાળી નાખે છે, જેનાથી ખૂબજ નુકસાન થાય છે.
વૈજ્ઞાનિકો કહે છે કે દિલ્હી-NCR અને ભારત-ગંગાના મેદાનોમાં હવા માત્ર પ્રદૂષિત નથી પણ ઝડપી રાસાયણિક પરિવર્તનમાંથી બની રહેલું ઝેર પ્રસરી રહ્યું છે જે માટે તાત્કાલિક ઉકેલ લાવવો આવશ્યક છે.
■આ ઝેરી હવા માનવ શરીર માટે સૌથી હાનિકારક છે.
વૈજ્ઞાનિકોના મતે, દિલ્હી-એનસીઆર અને ગંગાના મેદાનોની હવા ઝેરી બની ચુકી છે અહીંની હવામાં હાજર ત્રણ રાસાયણિક સંયોજનો માનવ શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.
ભૂમિ સ્તરનું ઓઝોન ફેફસાના કોષોનો નાશ કરે છે અને તેની અસરો બાળકો અને અસ્થમાના દર્દીઓમાં સૌથી વધુ ગંભીર હોય છે. નેનો-કદના કણોના રૂપમાં એમોનિયમ સલ્ફેટ લોહી અને મગજ સુધી પહોંચે છે, અને તેનો સૌથી મોટો ભય વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે નોંધાય છે. બીજી તરફ, એમોનિયમ નાઈટ્રેટ હૃદય અને શ્વસનતંત્ર પર સીધો દબાણ લાવે છે, અને તેની ગંભીર અસરો સૌપ્રથમ હૃદય અને ફેફસાના દર્દીઓમાં જોવા મળે છે. નિષ્ણાતો કહે છે કે આ ત્રણ રસાયણો હવામાં અદ્રશ્ય છે, પરંતુ સ્વાસ્થ્ય પર તેની અસરો તાત્કાલિક અને અત્યંત ઘાતક છે.
નિષ્ણાતોના મતે, રાસાયણિક પ્રદૂષણની અસરો ફક્ત માનવો સુધી મર્યાદિત નથી, પરંતુ વનસ્પતિ અને ઇકોસિસ્ટમને પણ વ્યાપક નુકસાન પહોંચાડી રહી છે.
ઓઝોનની ઊંચી સાંદ્રતાને કારણે છોડના પાંદડા પર બળી જાય છે, અને શહેરી હરિયાળી ઝડપથી સુકાઈ રહી છે. એમોનિયા અને સલ્ફેટના સ્તરમાં વધારો થવાને કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે.આમ,માનવ જીવન,પર્યાવરણનું નખ્ખોદ વળી રહ્યું છે અને સરકાર તાબોટા પાડી રહી છે જેઓ આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકતા નથી.








