
●ભાજપના આગેવાન એટલે નિયમો થોડા લાગે? ન પોલીસ બંદોબસ્ત ન તો RTO કચેરીમાં વાહન ફિટનેશ કરાવ્યું!
Rajkot School: રાજકોટમાં ભાજપના આગેવાન એવા જયદીપ જલુની નવયુગ સ્કૂલે સોમનાથ-સાસણના પ્રવાસ ગોઠવ્યો અને તા. 19 ડિસેમ્બરના રોજ 150થી વધુ વિદ્યાર્થી અને 14 શિક્ષકને 3 બસમા સવાર થઈ નીકળી પણ પડ્યા અને સાસણના રિસોર્ટમાં પહોંચ્યા જ્યાં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી કરુણ મોત થઈ જતા મામલો વિવાદમાં આવી ગયો છે અને મૃતક બાળકના મોતથી પરિવાર ભાંગી પડ્યો છે અને તેઓનું રુદન ભલ ભલાના કાળજા કંપાવી ગયું.
હવે જે માતાપિતા પોતાના બાળકને પુરા વિશ્વાસ સાથે સ્કૂલ મેનેજમેન્ટને સોંપે છે ત્યારે આ બાળકની સુરક્ષાની જવાબદારી કોની? આ સવાલ સૌ સ્કૂલ મેનેજમેન્ટને પૂછી રહયા છે.પ્રવાસમાં બાળકોનું ધ્યાન રાખવા સાથે ગયેલા શિક્ષકો અને ભાજપ આગેવાન એવા સ્કૂલ સંચાલકની જવાબદારી સામે સવાલ ઉઠ્યા છે.
એક લીટીમાં કહી શકાય કે આ ગંભીર બેદરકારી છે.ઉછળકુદ કરતા બાળકોનું શિક્ષકોએ ધ્યાન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલ તરફ ગયા અને નહાવા પડ્યા ત્યાં સુધી ધ્યાન કેમ ન ગયું? આ બધા સવાલો વાલીઓમાં ઉઠી રહયા છે.
બીજી સૌથી મુદ્રાની વાત ભાજપ સરકાર દ્વારા જારી કરેલા નિયમોનું પાલન કરાયું નથી નિયમ મુજબ સ્કૂલ-સંચાલક દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માગવાનો હોય છે તેના બદલે માત્ર જાણ કરવામાં આવી હતી બીજું આરટીઓ કચેરીમાં પણ વાહનની ફિટનેસ ચેક કરાવવામાં ન આવી હોવાની વાત પણ સામે આવી છે.જો કોઇ અકસ્માત થયો હોત તો શું થાત એ પણ વિચારવામાં આવ્યું ન હતું.
બીજી તરફ સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા આ મામલે સ્કૂલની માન્યતા રદ કરવાની સાથે વિદ્યાર્થીનાં પરિવારજનોને રૂ.50 લાખની આર્થિક સહાય આપવાની માગ કરી છે.
વિગતો મુજબ રાજકોટ સ્થિત ભાજપના આગેવાન જયદીપ જલુની નવયુગ સ્કૂલ દ્વારા પ્રવાસનું આયોજન કરાયું હતું તે દરમિયાન સાસણ પાસે આવેલા ‘ધ ગીર ગેટ વે રિસોર્ટ’માં બાળકોને લઈ જવાયા હતા જ્યાં ભોજન કક્ષ માંથી બાળકો બહાર નીકળ્યા ત્યારે સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષીય હાર્દિક મુકેશભાઈ બારૈયા નામનો બાળક અચાનક ડૂબી જતા હોટલના સ્ટાફ અને શિક્ષકો દ્વારા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢીને તાલાલા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો,જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરતા ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.
આ કરુણ ઘટનાને પગલે પ્રવાસ માતમમાં ફેરવાઈ ગયો અને ગમગીની છવાઈ ગઈ બીજી તરફ ઘટનાની જાણ થતાં જ હાર્દિકનાં માતા-પિતા રાજકોટથી તાલાલા આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં જ્યારે માતા-પિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર હાર્દિકનો મૃતદેહ જોયો ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા અને તેમના હૈયાફાટ રુદનથી ત્યાં હાજર દરેકની આંખો રડતી હતી.આમ,સ્કૂલ ઉપર ભરોસો કરી પોતાના લાડકવાયાને પ્રવાસે મોકલતા પુત્ર ગુમાવનાર માતા પિતાની વેદના સૌને રડાવી ગઈ હતી.
ઘટના બાદ વિસાવદર ACP રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પીઆઈ સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો જ્યાં મૃતક સગીર વયનો હોવાથી મામલતદારની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યુ હતું, મૃતકના પિતાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે અને અન્ય શાળાના બાળકોના પ્રવાસમાં મોકલવા કે કેમ?તે અંગે વાલીઓ મુંઝવણમાં મુકાયા છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









