
Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાના ચોથા દિવસે હજુપણ ઈરાનમાં ભારે તબાહી મચાવવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કરી લીધું છે,ટ્રમ્પે અમેરિકનોને મિડલ ઇસ્ટમાંથી તાત્કાલિક નીકળી જવા જણાવી ટ્રમ્પે કહ્યું છે કે ઇરાન પર હજુ સૌથી મોટો હુમલો બાકી છે,વ્હાઇટ હાઉસમાં આપેલા નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથેનું યુદ્ધ 4-5 અઠવાડિયા કે તેનાથી વધુ સમય સુધી પણ ચાલુ રહી શકે છે,વોશિંગ્ટન ડીસી સ્થિત જૂથે જણાવ્યું છે કે ઈરાનમાં કુલ નાગરિક મૃત્યુઆંક ઓછામાં ઓછો 742 થઈ ગયો છે.
જેમાં 176 બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે 750 નાગરિકો ઘાયલ થયા છે,ઈઝરાયેલ અને અમેરિકાએ સ્કૂલ ઉપર પણ બૉમ્બ વરસાવ્યા છે અને નિર્દોષ માસૂમ બાળકોના મોતથી ઈરાન ભડકયું છે અને હવે કોઈ સમાધાન નહિ જણાવી આખરી શ્વાસ સુધી લડી લેવા ચેલેન્જ કરતા સ્થિતિ વધુ ગંભીર બની છે,આ પહેલા ગઈકાલે ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીએ મૃતકોની સંખ્યા 555 જણાવી હતી જે વધીને 742 ઉપર પહોંચી છે.
દરમિયાન પાકિસ્તાનમાં શિયા મુસલમાનોએ ખામેનીના મોતનો બદલો લેવા અમેરિકી દૂતાવાસ ઉપર હુમલાનો પ્રયાસ કરતા સુરક્ષા કારણોસર તમામ વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી દીધા છે. પાકિસ્તાન સ્થિત અમેરિકી એમ્બેસીએ કહ્યું છે કે ઇસ્લામાબાદની સાથે-સાથે લાહોર અને કરાચીની ઓફિસો પણ બંધ રહેશે.
બીજી તરફ ઈરાને પણ વળતી ધમકી આપી છે અને કહ્યું છે કે હવે તે અમેરિકા સાથે કોઈપણ વાતચીત કરવા માંગતું નથી અને આરપારની લડાઈ લડવાની જાહેરાત કરી વિશ્વના સૌથી મહત્ત્વના મનાતા સાંકડા દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'(હોર્મુઝ સામુદ્રધુની) ઉપર કબ્જો કરી આખો માર્ગ બંધ કરી દઈ ચેતવણી આપી છે કે કોઈપણ જહાજ અહીંથી નીકળવાની ભૂલ ન કરે નહિતર જહાજ ફૂંકી મારીશું.
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ(IRGC) એ ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયત્ન કરશે, તો તેને ફૂંકી મારવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હવે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી,આ એવો માર્ગ છે જ્યાંથી વિશ્વના જહાજો પસાર થાય છે અને ક્રૂડ ઓઈલનો મોટો જથ્થો આ માર્ગ ઉપરથી આવે છે જો આ માર્ગ બંધ થાયતો વિશ્વભરમાં તેની વ્યાપક અસરો થશે અને વૈશ્વિક અર્થતંત્ર થંભી શકે છે,આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવતા મોંઘવારી વધી શકે છે.
ભારતને સૌથી વધુ અસર થઈ શકે તેમ છે કેમકે ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી હોર્મુઝના માર્ગે જ આવે છે. જો આ પુરવઠો ખોરવાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે.
ઈરાનના કમાન્ડર ઇબ્રાહિમ જબારીએ આ માર્ગ બંધ કરી અહીંથી પસાર થનારા જહાજોમાં આગ લગાવી દેવાની આપેલી આ ધમકી બાદ દરિયાઈ સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
ગુજરાતને પણ આ માર્ગ બંધ થવાથી નુકશાન થવાનું છે જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર નિર્ભર છે,આ માર્ગ બંધ થતા ઉત્પાદન ખોરવાશે. તેવી જ રીતે, ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધશે.
સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રોને અસર થવાની શકયતા છે,યુરોપ-અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવશે. ફાર્મા ક્ષેત્રે ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ’ (API)ની આયાત મોંઘી થતા દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે,આમ ભારતને કરોડોનું નુકશાન થશે.







