
Abhishek Banerjee West Bengal Election: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ મતદાનના દિવસે કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જે સૈન્ય શક્તિનો ઉપયોગ દુશ્મન દેશો સામે થવો જોઈએ, તેનો ઉપયોગ બંગાળની જનતાને ડરાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
સૈન્ય તૈનાતી પર આકરો કટાક્ષ
મતદાન મથકની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા અભિષેક બેનર્જીએ કેન્દ્રીય દળોની ભારે તૈનાતી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, “હજુ તો INS યુદ્ધ જહાજો અને રાફેલ વિમાનો તૈનાત કરવાના બાકી છે, તે પણ કરી દો. જે કાર્યવાહી તમારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે કરવી જોઈએ, તે તમે બંગાળ વિરુદ્ધ કરી રહ્યા છો.” બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે બંગાળને એક યુદ્ધ ક્ષેત્રમાં ફેરવી દેવામાં આવ્યું છે જેથી સામાન્ય મતદારોમાં ભયનો માહોલ ઉભો કરી શકાય.
૩૦ લાખ મતદારોને રોકવાનો દાવો
અભિષેક બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા એક મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અંદાજે ૩૦ લાખ જેટલા મતદારોને વિવિધ બહાના હેઠળ મતાધિકારનો ઉપયોગ કરતા રોકવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓ અને સુરક્ષા દળોનો દુરુપયોગ કરીને તૃણમૂલના સમર્થકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
૨૦૨૧ કરતા પણ મોટી જીતનો વિશ્વાસ
વિરોધ પક્ષોના પડકાર અને કેન્દ્રીય દળોની હાજરી છતાં, અભિષેક બેનર્જી પોતાની જૂની ભવિષ્યવાણી પર મક્કમ દેખાયા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, “મેં એક વર્ષ પહેલા જે કહ્યું હતું તે આજે પણ કહું છું — તૃણમૂલ કોંગ્રેસ ૨૦૨૧ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો અને મોટા બહુમતી સાથે સત્તામાં પરત ફરશે.” તેમણે ઉમેર્યું કે બંગાળની જનતા બહારથી આવેલા નેતાઓને સ્વીકારશે નહીં અને ‘બંગાળની દીકરી’ મમતા બેનર્જી પર જ ભરોસો રાખશે.
“૪ તારીખે મળીશું”
પોતાના નિવેદનના અંતે તેમણે વિરોધીઓને પડકાર ફેંકતા કહ્યું કે, “તૃણમૂલ કોંગ્રેસ સતત ચોથી વાર સરકાર બનાવવાની તૈયારીમાં છે. લોકશાહીનો જનાદેશ સ્પષ્ટ છે. હવે હું તમને સીધો ૪ તારીખે (મતગણતરીના દિવસે) મળીશ.”
આ નિવેદનો બાદ બંગાળનું રાજકારણ વધુ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનોને હતાશાનું પરિણામ ગણાવ્યું છે, જ્યારે TMC આને બંગાળના અસ્મિતાની લડાઈ ગણાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ૪ તારીખે જનતાનો ચુકાદો કોની તરફેણમાં આવે છે.







