
Ahmedabad Mayor Race: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સતત પાંચમી ટર્મ માટે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. કુલ ૧૯૨ બેઠકોમાંથી ભાજપે ૧૬૦ બેઠકો જીતીને વિરોધ પક્ષ કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. જોકે, ખાડિયા વોર્ડમાં ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપે પોતાની આખી પેનલ ગુમાવવી પડી છે, જે પક્ષ માટે ચિંતનનો વિષય છે. હવે જ્યારે પરિણામો જાહેર થઈ ગયા છે, ત્યારે રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી આ એશિયાની સૌથી મોટી મહાનગરપાલિકાના સર્વોચ્ચ પદો મેળવવા માટે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોમાં લોબિંગ તેજ બન્યું છે.
મેયર પદ માટે ઓબીસી જ્ઞાતિના સમીકરણો અને દાવેદારો
ચાલુ ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે અમદાવાદના મેયરનું પદ ઓબીસી (OBC) પુરુષ વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે. આ અનામતના કારણે મેયર બનવાની રેસમાં અનેક મજબૂત નામો ચર્ચાઈ રહ્યા છે. જેમાં થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ અને બોડકદેવ વોર્ડના ધરમશી દેસાઈના નામ મોખરે છે. જોકે, આ બંને નેતાઓ અગાઉ મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા હોવાથી પક્ષ કોઈ નવા ચહેરાને તક આપી શકે છે. આવી સ્થિતિમાં શાહીબાગ વોર્ડના કોર્પોરેટર અને શહેર ભાજપના મહામંત્રી જશુ ઠાકોરનું નામ ‘ડાર્ક હોર્સ’ તરીકે ઉભરી રહ્યું છે. જો ઠાકોર સમાજને મેયર પદ મળે તો ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી માટે મોટો રાજકીય સંદેશ આપી શકે છે.
સ્ટેન્ડિંગ કમિટી અને શાસક પક્ષ નેતા પદની રેસ
મહાનગરપાલિકામાં મેયર પછી સૌથી શક્તિશાળી ગણાતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ રસાકસી જામી છે. અગાઉ આ પદ સંભાળી ચૂકેલા દેવાંગ દાણીનું નામ ફરી ચર્ચામાં છે, પરંતુ જો તેમને રિપીટ કરવામાં ન આવે તો સિનિયોરિટીના આધારે તેમને શાસક પક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. બીજી તરફ, પાલડી વોર્ડના કોર્પોરેટર જૈનિક વકીલનું નામ આ પદ માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. જૈનિક વકીલ અગાઉ રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે, તેથી પક્ષ તેમને આ મહત્વની જવાબદારી સોંપી શકે છે. આ પદ માટે અન્ય સિનિયર કોર્પોરેટરો પણ પોતપોતાના રાજકીય ગોડફાધરો દ્વારા પ્રયાસો કરી રહ્યા છે.
ડેપ્યુટી મેયર અને અન્ય સમીકરણો પર નજર
ડેપ્યુટી મેયરનું પદ આ વખતે સામાન્ય વર્ગની મહિલા માટે અનામત રહેવાની શક્યતા છે. આ પદ માટે લાંભા વોર્ડના બીજી વારના કોર્પોરેટર ડો. ચાંદની પટેલ અને ખોખરા વોર્ડના જયમીન દવેના નામની ચર્ચાઓ વહેતી થઈ છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી સમયમાં તમામ મહાનગરપાલિકાઓ અને પંચાયતોના હોદ્દેદારો નક્કી કરવા માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવશે. જ્ઞાતિગત સમીકરણો, પ્રાદેશિક સંતુલન અને આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિને ધ્યાનમાં રાખીને જ આખરી નામો જાહેર કરવામાં આવશે. અત્યારે તો દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમદાવાદના ‘મલાઈદાર’ પદો મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.






