
Ahmedabad Murder Mystery: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ કુતુબ નગરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને હચમચાવી દીધા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે જેસીબી મશીન અને આધુનિક સાધનોની મદદથી એક મકાનમાં ખોદકામ શરૂ કર્યું છે, જ્યાં ૩૫ વર્ષ પહેલા એક યુવતીની હત્યા કરીને તેને દાટી દેવામાં આવી હોવાની આશંકા છે. આ મામલો એટલો જૂનો છે કે તેના પુરાવાઓ શોધવા પોલીસ માટે એક મોટો પડકાર છે, પરંતુ જો અહીંથી માનવ કંકાલ કે કોઈ અવશેષો મળી આવશે, તો વર્ષ ૧૯૯૨માં થયેલા એક રહસ્યમયી હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ જશે. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં પણ ભારે કુતૂહલ અને ડરનો માહોલ પેદા કર્યો છે.
ઘરના કૂવામાં લાશ છુપાવી વર્ષો સુધી ગુનો દબાવી રાખ્યો
આ કેસની વિગતવાર વાત કરીએ તો, ૧૯૯૨માં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને કોઈ બહાર ફેંકવાને બદલે આરોપીના પોતાના જ નિવાસસ્થાનમાં આવેલા ઘરેલુ કૂવામાં ગુપ્ત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. ગુનેગારે આ કૂવાને પૂરી દઈને ઉપર બાંધકામ કરી દીધું હતું, જેથી વર્ષો સુધી કોઈને પણ આ વાતની ગંધ આવી નહોતી. જે-તે સમયે ગુમ થયેલી મહિલા વિશે કોઈ જાણકારી ન મળતા કેસ વણઉકેલાયેલો રહ્યો હતો. આટલા દાયકાઓ સુધી ગુનો છુપાયેલો રહ્યો, પરંતુ કુદરતની લાઠીનો અવાજ નથી હોતો એ કહેવત અહીં સાર્થક સાબિત થઈ છે.
પરિવારને થતા અજીબ ભ્રમ અને આત્માનો ભય
આ મર્ડર મિસ્ટ્રી ખુલવા પાછળનું કારણ કોઈ સીસીટીવી કે સાક્ષી નહીં, પરંતુ આરોપીના પરિવારમાં બનેલી કેટલીક અસામાન્ય ઘટનાઓ છે. પરિવારના સભ્યોને છેલ્લા કેટલાક સમયથી એવું લાગવા માંડ્યું હતું કે ઘરમાં કોઈ અદ્રશ્ય શક્તિનો વાસ છે. તેમને મૃતક મહિલાના વારંવાર ભ્રમ થવા લાગ્યા હતા અને ઘરમાં સતત ભયનું વાતાવરણ રહેતું હતું. આ માનસિક તકલીફ અને ડરથી રાહત મેળવવા પરિવારે અનેક વિધિઓ અને ઉપાયો કર્યા, પરંતુ આખરે પરિવારના જ કોઈ સભ્યએ આ પાપનો ખુલાસો પોલીસ સમળે કર્યો. આ જ માહિતને આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો છે.
પ્રેમ સંબંધ અને હત્યાનો કરુણ અંજામ
પરિવાર અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવતીનું નામ શબનમ હતું અને તે મુંબઈથી અમદાવાદ આવી હતી. જે શખ્સ પર તેની હત્યાનો આરોપ છે તેનું નામ શમસુદીન હતું. શમસુદીન પરિણીત હોવા છતાં શબનમ સાથે તેને સંબંધો હતા અને તે શબનમને ગર્લફ્રેન્ડ તરીકે પોતાની સાથે રાખવા માંગતો હતો. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં શમસુદીને આવેશમાં આવીને શબનમની હત્યા કરી નાખી હોવાનું મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે મુખ્ય આરોપી શમસુદીનનું પણ કુદરતી રીતે મોત થઈ ચૂક્યું છે, પરંતુ પાપનો ઘડો હવે ભરાયો છે.
સાત વર્ષથી બંધ મકાન અને બદલાયેલા માલિકો
જે મકાનમાં આ હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો, તે મકાન અગાઉ ફિરોઝ નામના વ્યક્તિનું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, શમસુદીનના પરિવારના સભ્યો અહીં રહેતા હતા પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં આ મકાન ચાર અલગ-અલગ લોકોને વેચવામાં આવ્યું છે. હાલમાં આ મકાન છેલ્લા સાત વર્ષથી બંધ હાલતમાં છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અચાનક જેસીબી લઈને પહોંચી ત્યારે પાડોશમાં રહેતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. પોલીસ હવે કૂવાની જગ્યા શોધીને ઊંડું ખોદકામ કરી રહી છે જેથી શબનમના અવશેષો મળી શકે અને આ પ્રકરણનો કાયદેસર અંત આવે.






