
Talaja Couple Murder Mystery: ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલી રામ ટેકરી વિસ્તારની એક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. શરૂઆતમાં જે ઘટના અકસ્માતે સળગી જવાની અથવા આત્મહત્યાની લાગતી હતી, તે હવે પૂર્વ આયોજિત ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું છે. 64 વર્ષીય કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમના 60 વર્ષીય પત્ની રેખાબેન વૈઠાના મૃતદેહ તેમના જ ઘરમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની ઊંડી તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એવો ખુલાસો થયો છે કે આ વૃદ્ધ દંપતીની હત્યા બીજા કોઈએ નહીં પણ તેમના જ સગા દીકરા અને વહુએ મિલકત અને પૈસાની લાલચમાં કરી હતી.
19 એપ્રિલની એ રહસ્યમય રાત અને શંકાસ્પદ આત્મહત્યા
આ ભયાનક ઘટનાની શરૂઆત 19 એપ્રિલના રોજ થઈ હતી જ્યારે પોલીસને ખબર મળી કે સોની દંપતીએ પોતાના રૂમમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને જીવન ટૂંકાવ્યું છે. ઘટના સ્થળની પ્રાથમિક સ્થિતિ જોતા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કદાચ શોર્ટ સર્કિટના કારણે અથવા કોઈ અગમ્ય કારણોસર દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે, તળાજા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને સત્ય જાણવા માટે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું કે કિશોરભાઈનું ગળું દબાવીને પહેલા તેમની હત્યા કરવામાં આવી હતી, જ્યારે રેખાબેનના શરીર પર ઈજાના ગંભીર નિશાન મળી આવ્યા હતા. વિજ્ઞાનના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ જીવતી સળગે તો તેની શ્વાસનળીમાં કાળી મેષ (રાખ) જોવા મળતી હોય છે, પરંતુ આ કેસમાં તેની ગેરહાજરી હતી. આ પુરાવાએ સાબિત કર્યું કે દંપતીને પહેલા મારી નાખવામાં આવ્યા હતા અને પુરાવાનો નાશ કરવા માટે બાદમાં તેમના મૃતદેહોને સળગાવી દેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતક કિશોરભાઈનો એકનો એક પુત્ર વિમલ તેના પિતા પાસે અવારનવાર મોટી રકમની માંગણી કરતો હતો. વિમલ સોનીકામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને છેલ્લા ચાર વર્ષથી પત્ની હેતલ સાથે રાજકોટ રહેતો હતો, પરંતુ તેના પર દેવું વધી ગયું હતું. વિમલ અને તેની પત્ની હેતલ સતત માતા-પિતા પર દબાણ કરતા હતા કે તેઓ પોતાનું મકાન અને દુકાન વેચી દે તેમજ માતા રેખાબેનના દાગીના પણ આપી દે જેથી તે દેવું ભરી શકે. માતા-પિતાએ ઇનકાર કરતા વિમલે પત્ની સાથે મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
પાણીપુરી ખાવાની એક ભૂલ અને પોલીસની ચાંપતી નજર
હત્યાના પ્લાનને અંજામ આપવા વિમલ રાજકોટથી આવ્યો હતો. માતા-પિતાની ઠંડા કલેજે હત્યા કર્યા પછી તે એ જ રાત્રે મિત્રો સાથે ચા પીવા નીકળી ગયો હતો જેથી તેના પર કોઈને શંકા ન જાય. જ્યારે તેને આગની ખબર પડી ત્યારે તે ઘરે આવ્યો અને અંદર જોવાની હિંમત ન હોવાનો ઢોંગ કરવા લાગ્યો, જ્યારે તેની પત્ની હેતલ વારંવાર બેભાન થવાના નાટકો કરતી રહી. જોકે, માતા-પિતાના મોતના ત્રીજા દિવસે વિમલ ગામમાં આરામથી પાણીપુરી ખાતો જોવા મળ્યો હતો. જે વ્યક્તિના માતા-પિતાનું કરુણ મોત થયું હોય તે આટલી જલ્દી શોક ભૂલી પાણીપુરી કેવી રીતે ખાઈ શકે? આ શંકાએ પોલીસને વિમલની કડક પૂછપરછ કરવા મજબૂર કરી અને આખરે સમગ્ર સત્ય બહાર આવ્યું.
આ પણ વાંચો:








