
Banni Cheetah Project Gujarat: ગુજરાતના કચ્છમાં આવેલા એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ‘બન્ની’માં ટૂંક સમયમાં ચિત્તાઓનો અવાજ સંભળાશે તેવા અહેવાલો મળી રહ્યા છે. વન વિભાગ દ્વારા ચોમાસા બાદ ચિત્તાઓને લાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નિષ્ણાતોએ મુલાકાત લીધી છે અને અંદાજે ₹20 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યું છે. પરંતુ, મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના થયેલા મૃત્યુ બાદ આ પ્રોજેક્ટ સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે.
તૈયારીઓ પર એક નજર
વન વિભાગના જણાવ્યા અનુસાર, ચિત્તાઓના વસવાટ માટે નીચે મુજબની વ્યવસ્થાઓ કરવામાં આવી છે:
વિસ્તાર: 600 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ અને પાંજરાની વ્યવસ્થા.
બજેટ: પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ₹20 કરોડ મંજૂર.
સુવિધા: 10 સ્પેશિયલ પાંજરા, ક્વોરન્ટાઈન બોમા (Boma), સોલર ફેન્સિંગ અને આધુનિક વેટરનરી સાધનો.
રેસ્ક્યૂ: ખાસ એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ વાહનોની ખરીદીની પ્રક્રિયા ચાલુ..
1. કુનોના કડવા અનુભવમાંથી શું શીખ્યા?
મધ્યપ્રદેશના કુનો પ્રોજેક્ટમાં અનેક વિદેશી ચિત્તાઓના મોત થયા છે. શું બન્નીના વાતાવરણ અને ત્યાંના સંક્રમણો (Infections) સામે લડવા માટે આપણી પાસે કોઈ નક્કર પ્લાન છે?
2. શું 600 હેક્ટરનો વિસ્તાર પૂરતો છે?
ચિત્તો એ ખૂબ જ ઝડપથી દોડતું અને વિશાળ વિસ્તારમાં વિહરતું પ્રાણી છે. શું 600 હેક્ટરમાં તેને કેદ રાખવો એ કુદરતી ન્યાય છે? શું આ વિસ્તાર તેની શિકાર કરવાની ક્ષમતાને પ્રભાવિત નહીં કરે?
3. સ્થાનિક માલધારીઓ અને પશુધનનું શું?
બન્ની વિસ્તાર હજારો માલધારીઓના પશુધનના ચરિયાણ માટે જાણીતો છે. ચિત્તાના આગમનથી સ્થાનિક લોકોની આજીવિકા પર શું અસર પડશે? જો ચિત્તો રહેણાંક વિસ્તારમાં શિકાર કરશે, તો તેના માટે જવાબદાર કોણ?
4. 20 કરોડના ખર્ચનું વળતર શું?
કરદાતાઓના ₹20 કરોડ ખર્ચાયા બાદ પણ જો ચિત્તાઓ કુનોની જેમ સર્વાઈવ ન કરી શકે, તો આ આર્થિક નુકસાનની જવાબદારી કોની રહેશે? શું આ માત્ર ટુરિઝમ વધારવાનો પ્રયાસ છે કે પર્યાવરણ બચાવવાનો?
5. જિનેટિક અનુકૂળતાની ચકાસણી થઈ છે?
આફ્રિકાના ચિત્તાઓને ભારતના વાતાવરણમાં સેટ થતા વર્ષો લાગે છે. શું બન્નીની ગરમી અને પવનની ગતિ આ પ્રજાતિ માટે ખરેખર અનુકૂળ છે કે આ માત્ર એક પ્રયોગાત્મક જોખમ છે?
વન વિભાગ ભલે ‘ઓલ ઈઝ વેલ’નો દાવો કરતું હોય, પરંતુ કુનોની ઘટનાઓ આપણને સતર્ક રહેવા સૂચવે છે. વન્યજીવ પ્રેમીઓ અને જનતા ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ માત્ર હેડલાઈન્સ બનાવવા માટે નહીં, પણ ચિત્તાઓના સંરક્ષણ માટે સાચો સાબિત થાય.
આ પણ વાંચો:







