
Jagdish Vishwakarma Controversy: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પણ રાજકીય વાતાવરણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં બનાસકાંઠામાં આયોજિત ભાજપના ‘વિજય વિશ્વાસ સંમેલન’ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પર કરેલી એક ટિપ્પણીએ વિવાદ છંછેડ્યો છે. તેમણે ગેનીબેન અને જીગ્નેશ મેવાણીનું નામ લીધા વિના તેમના પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા, પરંતુ ખાસ કરીને ગેનીબેન માટે વપરાયેલા શબ્દોને કારણે કોંગ્રેસ પક્ષની સાથે હવે સાધુ-સંતો પણ મેદાને આવ્યા છે.
“સાડીના પાલવમાંથી બેઠકો આચકી લીધી” – જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન
બનાસકાંઠામાં કાર્યકર્તાઓને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ લોકસભા ચૂંટણીમાં ભાજપની એક બેઠકના નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આખા ગુજરાતને રંજ હતો કે 26માંથી એક બેઠક કોંગ્રેસ પાસે ગઈ, પરંતુ વર્તમાન પેટાચૂંટણીમાં જનતાએ તેનો બદલો લઈ લીધો છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે તેમણે ગેનીબેન ઠાકોરને ઉદ્દેશીને કહ્યું કે, “તમે અમારી સૌની બહેન છો, પણ તમે લોકસભામાં જઈ નારી વંદના અધિનિયમ અંગે ગુજરાતની બહેનોનું જે અપમાન કર્યું હતું, તેનો બદલો જનતાએ તમારી સાડીના પાલવમાંથી આ બે બેઠકો આચકીને લીધો છે.” આ ‘સાડીના પાલવ’ શબ્દના પ્રયોગને મહિલાઓની મર્યાદા પરના હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
ગેનીબેનનો વળતો પ્રહાર: “જીતના નશામાં સંસ્કારો ભૂલ્યા, 2027માં પાણી મપાઈ જશે”
આ નિવેદન સામે આવતા જ ગેનીબેન ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા જીતના નશામાં છે અને પલ્લુ (પાલવ) એ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની મર્યાદાની ઓળખ છે, જેના પર ટિપ્પણી કરવી એ તમામ સ્ત્રીઓનું અપમાન છે. તેમણે ભાજપના નેતાને પડકાર ફેંકતા કહ્યું કે, “જો જગદીશભાઈને આટલું જ અભિમાન હોય તો તેઓ 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠાથી લડી બતાવે, હું પણ તેમની સામે મેદાને ઉતરીશ અને તેમનું પાણી મપાઈ જશે.” વધુમાં તેમણે આ ઘટનાની સરખામણી મહાભારતના દ્રૌપદી ચીરહરણ સાથે કરીને ભાજપના મોવડીમંડળને આવા નેતાઓ પર અંકુશ રાખવા સૂચન કર્યું હતું.
સંતો અને કોંગ્રેસ નેતાઓનો આક્રોશ: નારી શક્તિના અપમાનનો મુદ્દો
જગદીશ વિશ્વકર્માના આ નિવેદન બાદ સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ એક સામાજિક પ્રસંગે આ નિવેદનને અયોગ્ય ગણાવતા કહ્યું કે, “કોઈ પાર્ટીના પ્રમુખ એવું કહે કે ‘પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા’, તો તે નારી શક્તિ માટે અપમાનજનક છે. સ્ત્રીના પાલવ સુધી હાથ નાખવાની વાત કરવી એ અસંસ્કારી વર્તન છે.” બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ઠાકરશી રબારીએ પણ વિશ્વકર્માને સત્તાના ઘમંડમાં ચૂર ગણાવીને સમગ્ર ગુજરાતની બહેન-દીકરીઓની માફી માંગવા માંગ કરી છે.
બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો: વિરોધનો વંટોળ વકર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય બાદ ભાજપ જ્યાં ઉત્સાહમાં છે, ત્યાં પ્રદેશ પ્રમુખના આ એક નિવેદને પક્ષને રક્ષણાત્મક સ્થિતિમાં મૂકી દીધો છે. બનાસકાંઠામાં આ મામલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને સોશિયલ મીડિયાથી લઈને જાહેર મંચો સુધી જગદીશ વિશ્વકર્માની ટીકા થઈ રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે મહિલા મર્યાદા સાથે જોડાયેલા આ સંવેદનશીલ શબ્દો આવનારી ચૂંટણીઓમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે આ વિવાદમાં હવે ધાર્મિક અગ્રણીઓ અને મહિલા શક્તિ પણ જોડાઈ ગઈ છે.
આ પણ વાંચો:







