
Khedbrahma Chikhla water crisis: એક તરફ રાજ્ય સરકાર ‘નળ સે જલ’ અને ‘હર ઘર જલ’ જેવી યોજનાઓ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે પીવાનું પાણી પહોંચાડવાના ગજગજાવતા દાવાઓ કરી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ ચીખલા ગામમાં વાસ્તવિકતા અત્યંત બિહામણી છે. ૨૧મી સદીના ડિજિટલ યુગમાં જ્યારે આપણે ટેકનોલોજીની હરણફાળ ભરી રહ્યા છીએ, ત્યારે ખેડબ્રહ્માથી માત્ર ૬ કિલોમીટર દૂર આવેલું આ ગામ આજે પણ પાયાની જરૂરિયાત એવા પાણી માટે વલખાં મારી રહ્યું છે. ૪૩ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં જ્યારે મનુષ્યને વધુ પાણીની જરૂર હોય છે, ત્યારે અહીંની જનતાને એક ટીપું પાણી મેળવવા માટે પણ કલાકો સુધી સંઘર્ષ કરવો પડે છે.
કાગળ પર ચાલતી યોજનાઓ અને સૂકાભઠ નળ
વર્ષ ૨૦૨૦-૨૧માં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના હેઠળ ચીખલા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી, સંપ અને ઘરે-ઘરે નળ જોડાણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. વહીવટી ચોપડે આ કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે પાંચ વર્ષ વીતવા છતાં ગ્રામજનોના નળ હજુ સુધી ‘જળ’ની રાહ જોઈ રહ્યા છે. શરૂઆતના ટેસ્ટિંગ વખતે નળમાં પાણી આવતા ગ્રામજનોમાં આશા જન્મી હતી, પરંતુ ત્યારબાદ આજદિન સુધી નળમાંથી પાણીનું એક ટીપું પણ ટપક્યું નથી. લાખોના ખર્ચે બનેલી આ માળખાકીય સુવિધાઓ આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે.
૪૩ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને વૃદ્ધોની વેદના
ભરઉનાળે જ્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય અને પારો ૪૩ ડિગ્રીએ પહોંચ્યો હોય, ત્યારે ચીખલા ગામની મહિલાઓ, વૃદ્ધો અને નાની યુવતીઓએ દરરોજ ૨ થી ૫ કિલોમીટર દૂર ખેતરોના બોર કે ડંકી પર પાણી ભરવા માટે ભટકવું પડે છે. પિનકાબેન કટારીયા જેવા અનેક સ્થાનિકોની વ્યથા છે કે તેમને ઘરના કામધંધા અને મજૂરી છોડીને દિવસભર માત્ર પાણીની રઝળપાટ કરવી પડે છે. ખેડૂતોના બોર પર પણ પાણી ભરવા માટે લાંબી લાઈનો લાગે છે, જેના કારણે માનવીઓ તો ઠીક પણ મૂંગા પશુઓ માટે પણ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. શું આ જ છે આપણો આધુનિક વિકાસ?
ભ્રષ્ટાચારના આક્ષેપો અને તંત્રનું મૌન
ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે ‘નળ સે જલ’ યોજના કેટલાક ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માટે માત્ર આર્થિક લાભનું સાધન બની ગઈ છે. સ્થાનિક આગેવાન અમીભાઇ કટારીયાના જણાવ્યા મુજબ, કરોડોના ખર્ચે બનેલા પાણીના સંપમાં પૂરતું પાણી પહોંચતું જ નથી. આ બાબતે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના બહેરા કાને આ આક્રંદ પહોંચતો નથી. જ્યારે મીડિયા દ્વારા આ મામલે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે મૌન ધારણ કરી લેવાનું મુનાસીબ માન્યું છે, જે તંત્રની બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા તરફ ઈશારો કરે છે.
આઝાદીના અમૃતકાળમાં પાયાની સુવિધાઓનો અભાવ
ચીખલા ગામ માત્ર પાણી જ નહીં, પણ અન્ય પાયાની સુવિધાઓ માટે પણ તરસી રહ્યું છે. ગામના રસ્તાઓ ખખડધજ હાલતમાં છે, રાત્રે અંધારપટ છવાયેલો રહે છે કારણ કે સ્ટ્રીટ લાઈટોનો અભાવ છે. ખેડવા ડેમની કેનાલો સુકીભઠ્ઠ પડી છે અને સ્થાનિક જળાશયોમાં પણ પાણીના તળ ઊંડા ગયા છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે જ્યારે આપણે મંગળ ગ્રહ પર પાણી શોધવાની વાતો કરીએ છીએ, ત્યારે પૃથ્વી પરના આપણા જ નાગરિકો તરસ્યા રહે તે વહીવટીતંત્ર માટે શરમજનક બાબત છે. એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને ક્યારેય આ ગરીબ પ્રજાની તરસ દેખાશે ખરી?
આ પણ વાંચો:







