
Amreli fertilizer shortage: રાજ્યમાં ચોમાસાની સીઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો ખાતરની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. ખેતી માટે જમીન તૈયાર કરવાના આ નિર્ણાયક સમયે યુરિયા અને DAP જેવા પાયાના ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અમરેલીના લાઠી સહિતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારના ૫ વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા માટે ડેપો બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા રહી જાય છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જ્યારે જથ્થો ખૂટી જાય છે ત્યારે ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે. આકરા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વૃદ્ધો અને મહિલા ખેડૂતોની હાલાકી જોઈને તંત્ર પ્રત્યે વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
ખાતરના ભાવમાં તોતિંગ વધારો અને ખેડૂતોની આર્થિક કમર તૂટી
માત્ર અછત જ નહીં, પરંતુ ખાતરના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. આંકડાકીય વિગતો મુજબ, ખાતરના ભાવમાં રૂ. ૪૫૦ થી ૬૦૦ સુધીનો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ASP ખાતર જે પહેલા રૂ. ૧૫૫૦માં મળતું હતું તેનો ભાવ હવે રૂ. ૨૨૫૦ થયો છે. તેવી જ રીતે NPKના ભાવ રૂ. ૧૭૫૦થી વધીને રૂ. ૨૨૫૦ અને SSPના ભાવ રૂ. ૬૫૦થી વધીને રૂ. ૮૦૦ સુધી પહોંચી ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ મોંઘું બિયારણ, મજૂરી અને હવે ખાતરનો ભાવ વધારો ખેતીને નુકસાનકારક બનાવી રહ્યા છે. જો સરકાર આ બાબતે ત્વરિત નિર્ણય નહીં લે તો ખેડૂતો માટે ખેતી કરવી અશક્ય બની જશે અને આર્થિક તંગીના કારણે આપઘાત જેવા અંતિમ પગલાં ભરવાની નોબત આવી શકે છે.
અપૂરતો જથ્થો અને વિતરણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ
જિલ્લામાં ખાતરની ઉપલબ્ધિ ઓછી હોવાને કારણે જે મર્યાદિત જથ્થો આવે છે તેનું વિતરણ પણ યોગ્ય રીતે થતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે અમુક ડેપોમાં તો માત્ર બે થેલી જ યુરિયા આપવામાં આવે છે, જે મોટા ખેતરો ધરાવતા ખેડૂતો માટે ઊંટના મોઢામાં જીરા સમાન છે. ઘણા સ્થળોએ ખાતરના ડેપોને તાળા મારેલી હાલતમાં જોવા મળતા દૂર-દૂરના ગામડાંઓમાંથી ભાડું ખર્ચીને આવેલા ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ, જ્યારે ખેડૂત પોતાનું ઉત્પાદન માર્કેટમાં વેચવા જાય છે ત્યારે તેને પૂરતા ભાવ મળતા નથી, પરંતુ ખેતી માટેની જરૂરી વસ્તુઓ લેતી વખતે તેને બમણા ભાવ ચૂકવવા પડે છે.
તંત્રની નિષ્ક્રિયતા અને પાકની ઉપજ પર જોખમ
ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જો સમયસર DAP અને યુરિયાનો જથ્થો પૂરો પાડવામાં નહીં આવે તો જમીનમાં પાયાનું ખાતર ન પડવાના કારણે આગામી પાકની ઉપજ પર તેની સીધી અને નકારાત્મક અસર પડશે. ખેડૂતોની માંગ છે કે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી અંગત રસ લઈને અમરેલી જિલ્લામાં તાત્કાલિક અસરથી ખાતરનો મોટો જથ્થો ફાળવે જેથી ખેતીની સીઝન નિષ્ફળ ન જાય. હાલની પરિસ્થિતિ જોતા ખેડૂત આલમમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી વ્યાપેલી છે.
રાજ્યમાં કૃષિ મહોત્સવો અને ખેડૂત કલ્યાણની મોટી મોટી જાહેરાતો વચ્ચે દર વર્ષે સીઝન સમયે જ ખાતરની અછત કેમ સર્જાય છે? શું તંત્ર પાસે અગાઉથી સ્ટોક મેનેજમેન્ટનું કોઈ આયોજન હોતું નથી? ખાતરના ભાવમાં અચાનક આટલો મોટો વધારો ઝીંકીને શું સરકાર ખેતીને નફાકારક બનાવવા માંગે છે કે પછી ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાવવા માંગે છે? શા માટે ખેડૂતને પોતાના હક્કનું ખાતર લેવા માટે સવારે ૫ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવું પડે છે? આ પ્રશ્નોના જવાબ અને ત્વરિત ઉકેલ એ જ અમરેલીના ખેડૂતોની અત્યારની સૌથી મોટી જરૂરિયાત છે.
આ પણ વાંચો:








