
Mallikarjun Kharge: દેશમાં મોંઘવારીની માર ઝીલી રહેલી સામાન્ય જનતા પર ઈંધણના ભાવ વધારાનો વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા તાજેતરના વધારાને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર પોતાની નીતિગત નિષ્ફળતાઓને છુપાવવા માટે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સરેઆમ ડાકો નાખી રહી છે. રાજ્ય સંચાલિત તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. જોકે, સરકારી સ્તરે આ વધારા પાછળ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોનું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ વિપક્ષ તેને સરકારની નબળી આર્થિક નીતિ ગણાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ખડગેનો આક્રોશ: ચાર દિવસમાં જ બે વાર ભાવ વધારી સરકારે કમર તોડી
કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને જનતાની પીડાને વાચા આપી છે. ખડગેએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે અગાઉના ભાવ વધારાને માંડ ચાર દિવસનો સમય વીત્યો છે, ત્યાં તો ગરીબોની ચિંતા કરવાનો દાવો કરતી મોદી સરકારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના દામમાં મોટો વધારો ઝીંકી દીધો છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે વર્તમાન શાસકો પોતાની નાકામીઓ અને ખોટા આર્થિક નિર્ણયોનો આખો બોજ જનતાના માથે નાખવાની પ્રક્રિયામાં સંપૂર્ણપણે લાગેલા છે. સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાના કારણે બજારમાં શાકભાજીથી લઈને તમામ દૈનિક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચશે, જેની ચિંતા સરકારને બિલકુલ નથી.
दाम बढ़े चार ही दिन हुए कि मोदी सरकार ने पेट्रोल-डीज़ल के दाम फिर बढ़ा दिए।
पूरी भूमिका बनाकर, बचत का उपदेश देकर
अपनी नाकामियों का बोझ जनता पर डालने का कार्य प्रगति पर है।“आम जनता की लूट और अडानी को अमरीका से छूट” ये है मोदी जी का Compromised Model
विश्वगुरु का झूठा दंभ…
— Mallikarjun Kharge (@kharge) May 19, 2026
રશિયન તેલ આયાત અને વિદેશ નીતિ મુદ્દે સવાલો
ઈંધણના ભાવ વધારાના બહાને કોંગ્રેસ નેતાએ ભારતના તેલ આયાત અને વિદેશ નીતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું છે. ખડગેએ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની પરવાનગી મેળવવા માટે અમેરિકા સામે એક મહિનાની મુદત (એક્સટેન્શન) માંગવા માટે કરગરવું પડ્યું છે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની નબળી વિદેશ નીતિના કારણે ૧.૪ અબજ ભારતીયોના આત્મસન્માનને ઊંડી ઠેસ પહોંચી છે. ભારતના ઈતિહાસમાં અગાઉની કોઈ પણ સરકારે આવી લાચારી બતાવી નહોતી કે વિદેશી દબાણ સામે આ પ્રકારે ઝૂકવું પડ્યું હોય.
સસ્તા રશિયન તેલનો ફાયદો સામાન્ય ગ્રાહકોને કેમ નહીં? ખડગેનો તીખો સવાલ
મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના ઈંધણના ભાવ વધારા પાછળના તર્ક પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વહીવટીતંત્રને ઘેરતા પૂછ્યું કે જો સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે તેલ ખરીદવાની પરવાનગી મળેલી જ છે, તો પછી તેનો સીધો આર્થિક ફાયદો દેશના સામાન્ય લોકોને કેમ આપવામાં આવતો નથી? શા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારીને સામાન્ય ગ્રાહકોને જ સતત લૂંટવામાં આવી રહ્યા છે? કોંગ્રેસ અધ્યક્ષના મતે, આ નીતિ દર્શાવે છે કે ભાજપ સરકારમાં દેશની આર્થિક સ્થિતિને સંભાળવા માટે કોઈ ચોક્કસ દૂરંદેશી, પ્લાનિંગ કે સક્ષમ નેતૃત્વની ભારે ખામી વર્તાઈ રહી છે.
મોટા નિવેદનો અને કરકસરના ઉપદેશો વચ્ચે જનતાને હેરાન કરવાનું પાપ: કોંગ્રેસનો આરોપ
પોતાની ટિપ્પણીમાં કોંગ્રેસ અધ્યક્ષે સરકારની કથની અને કરની વચ્ચેના મોટા તફાવતને ખુલ્લો પાડ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણીઓ અને મોટા મંચો પરથી સરકારે પહેલા જનતા સમક્ષ આર્થિક સુધારાના મોટા-મોટા નિવેદનો આપ્યા અને સામાન્ય લોકોને કરકસર કરવાનો ઉપદેશ આપ્યો હતો. પરંતુ આજે જ્યારે વૈશ્વિક સ્તરે આર્થિક મોરચે સંકટ આવ્યું છે, ત્યારે પોતાની તમામ નીતિગત નિષ્ફળતાઓનો ટોપલો જનતાના માથે ઢોળવામાં આવી રહ્યો છે. આ પ્રક્રિયા સતત ચાલુ રાખીને સામાન્ય મધ્યમવર્ગીય નાગરિકોને આર્થિક રીતે પરેશાન અને કંગાળ કરવામાં આવી રહ્યા છે.
વિદેશી પ્રચારથી કોઈ ‘વિશ્વ ગુરુ’ નથી બની જતું: વડાપ્રધાનની પીઆર બ્રાન્ડિંગ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય છબી પર આકરા પ્રહારો કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, પીએમ મોદી ‘વિશ્વ ગુરુ’ હોવાનો જે ખોટો દાવો કરે છે તેની પાછળની વાસ્તવિકતા જનતા સમક્ષ આવી ગઈ છે. જે દેશને રશિયન તેલ ખરીદવા માટે અમેરિકા પાસે એક-એક મહિનાની મહોલત માંગવી પડતી હોય, તે વિશ્વ ગુરુ ન હોઈ શકે. તેમણે આક્ષેપ કર્યો કે માત્ર વિદેશી ધરતી પર કરોડો રૂપિયા ખર્ચીને પ્રાયોજિત (સ્પોન્સર્ડ) પ્રચાર અભિયાન ચલાવવાથી કે ભીડ એકઠી કરવાથી કોઈ સાચો વિશ્વ ગુરુ નથી બની જતું. વડાપ્રધાને ખોટી વાહવાહી લૂંટવાનું બંધ કરીને દેશની જનતા પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ.
વાસ્તવિક સવાલોથી ભાગતી સરકાર: કેરી ખાવા અને ટોનિક પીવાની વાતોમાં જનતાને રસ નથી
ખડગેએ ભાજપ સરકાર પર આર્થિક સંકટ સમયે ગંભીરતા દાખવવાને બદલે વાસ્તવિક સવાલોથી અંતર રાખવાનો મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે દેશ પર આર્થિક મુશ્કેલી આવી, ત્યારે સરકાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહી અને મીઠી-મીઠી વાતો કરીને પડદા પાછળ જનતાને લૂંટવાની યોજનાઓ બનાવતી રહી. ખડગેએ કટાક્ષ કરતા કહ્યું કે દેશની જનતાને વડાપ્રધાન તમે કેરી કેવી રીતે ખાઓ છો, કઈ રીતે કાપો છો કે કયું હેલ્થ ટોનિક પીઓ છો જેવી બિનજરૂરી વાતોમાં બિલકુલ રસ નથી. જનતાને મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ છે, તેથી વડાપ્રધાને વાસ્તવિક સવાલોથી ભાગ્યા વિના ઈંધણ સંકટનો સામનો કરવા માટે વ્યક્તિગત રીતે શું નક્કર પગલાં લીધા છે તેનો સીધો જવાબ દેશને આપવો જોઈએ.
આ પણ વાંચો:







