
Lithium Dependency: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દેશને લિથિયમ-આયન બેટરી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની મોટી વાતો કરી રહી છે, પરંતુ હકીકત જમીન પર કઈંક અલગ જ છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ભારતની લિથિયમ-આયન બેટરીની આયાત ૨૦૨૫-૨૬માં ૫૭ ટકા વધીને ૪.૭ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ૨૦૧૮ની સરખામણીએ આ આયાત નવ ગણી વધી છે, જે દર્શાવે છે કે આપણે આત્મનિર્ભરતા તરફ જવાને બદલે ચીનના બજારમાં વધુ ઊંડા ઉતરી રહ્યા છીએ. સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના, જે આ ક્રાંતિનો આધારસ્તંભ હોવી જોઈતી હતી, તે પોતાના લક્ષ્યના ૩ ટકા પણ સિદ્ધ કરી શકી નથી. જ્યારે સરકાર આંતરરાષ્ટ્રીય કરારોના ફોટાઓ અને પ્રેસ રિલીઝમાં વ્યસ્ત છે, ત્યારે દેશની બેટરી ઉદ્યોગની સાંકળ ચીનના કબજામાં મજબૂત બની રહી છે.
નીતિઓની નિષ્ફળતા અને પસંદગીના ઉદ્યોગપતિઓનું સામ્રાજ્ય
PLI યોજનાની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ સરકારની શંકાસ્પદ નીતિઓ છે. સરકારે જે કંપનીઓને સબસિડી આપી, તેમાં ‘રાજેશ એક્સપોર્ટ્સ’ જેવી સોનાનો વેપાર કરતી કંપનીઓ સામેલ છે, જેની પાસે બેટરી ઉત્પાદનનો કોઈ અનુભવ નથી અને જેના પર કથિત રીતે ૧૫.૫ લાખ કરોડની છેતરપિંડીના આરોપો છે. બીજી તરફ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને અમરા રાજા જેવી દાયકાઓથી આ ક્ષેત્રમાં કામ કરી રહેલી અનુભવી ભારતીય કંપનીઓને સબસિડી આપવામાં સરકાર નિષ્ફળ રહી. સરકારની આ પસંદગી માત્ર નિષ્ફળતા જ નહીં, પણ નજીકના ઉદ્યોગપતિઓને આગળ કરવાની એક સાબિત થતી વ્યૂહરચના છે. આ નીતિગત ભૂલોને કારણે ઉત્પાદન ક્ષમતા શૂન્ય રહી છે, જ્યારે ચીની કંપનીઓ ભારતના માર્કેટ પર રાજ કરી રહી છે.
જમ્મુ-કાશ્મીરનો લિથિયમ ભંડાર: શું માત્ર એક રાજકીય જુમલો હતો?
સરકારે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ૫૯ લાખ ટન લિથિયમનો ભંડાર મળ્યો હોવાના મોટા બણગા ફૂંક્યા હતા. આ શોધને ભારતની મોટી સિદ્ધિ ગણાવીને જશ્ન મનાવવામાં આવ્યો, પરંતુ હકીકત એ છે કે બે વાર હરાજી કરવા છતાં એક પણ ખરીદદાર તૈયાર નથી થયો. આટલો મોટો ભંડાર હોવા છતાં, તે કઈ ગુણવત્તાનું છે અને તેનું ઉત્ખનન કેટલું વ્યવહારુ છે, તે અંગેની વૈજ્ઞાનિક સ્પષ્ટતાનો અભાવ છે. સૌથી મોટો અવરોધ એ છે કે ભારતમાં લિથિયમ રિફાઇન કરવાની ક્ષમતા જ નથી. જો આપણે કાચું લિથિયમ કાઢીએ પણ ખરા, તો પણ તેને પ્રોસેસિંગ માટે ચીન મોકલવું પડશે. જ્યાં સુધી આપણે રિફાઇનિંગમાં રોકાણ નહીં કરીએ ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરનું લિથિયમ પણ ચીનની પ્રોસેસિંગ મિલોને જ સમૃદ્ધ કરશે.
અર્બન માઇનિંગ: શું રિસાયકલિંગ છે આત્મનિર્ભરતાનો સાચો રસ્તો?
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઈ-વેસ્ટ પેદા કરનારો દેશ છે. જો સરકાર ખરેખર ઈચ્છતી હોય કે ચીન પર નિર્ભરતા ઘટે, તો ‘અર્બન માઇનિંગ’ એટલે કે રિસાઇકલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ૨૦૩૦ સુધી ભારતની ૩૦-૪૦ ટકા લિથિયમની જરૂરિયાત રિસાઇકલિંગ દ્વારા પૂરી થઈ શકે છે. લોહમ (Lohum) જેવી કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ રિસાઇકલિંગ પ્લાન્ટ સ્થાપવા અત્યંત ખર્ચાળ છે. સરકાર ૭૦૦ કરોડની પ્રોત્સાહન રકમની વાતો તો કરે છે, પરંતુ ચીનમાં વધારાના ઉત્પાદનને કારણે લિથિયમના ભાવ ગગડી ગયા છે, જે ભારતીય રોકાણકારો માટે આ ક્ષેત્રમાં આવવાનું મુશ્કેલ બનાવે છે. સરકારે પોતાની નીતિઓને અપડેટ કરવાની જરૂર છે, અન્યથા રિસાઇકલિંગનો પ્રોજેક્ટ પણ માત્ર કાગળ પર જ રહી જશે.
પ્રોસેસિંગ પર ચીનનું વર્ચસ્વ: કાચો માલ તો ચીનનો જ રહેશે!
દુનિયાના કુલ લિથિયમ પ્રોસેસિંગનો બે-તૃતીયાંશ હિસ્સો ચીન પાસે છે. ચીનની અસલી તાકાત તેની પાસે રહેલા કાચા ખનિજમાં નથી, પણ તેના રિફાઇનિંગ અને પ્રોસેસિંગના નિયંત્રણમાં છે. ભારત ગમે તેટલા આંતરરાષ્ટ્રીય કરારો (જેમ કે MSP કે ઇન્ડો-પેસિફિક ફ્રેમવર્ક) કરે, પરંતુ જ્યાં સુધી આપણે પોતાની લિથિયમ રિફાઇનરીઓ સ્થાપવામાં રોકાણ નહીં કરીએ, ત્યાં સુધી ચીનનો ઈજારો તૂટવાનો નથી. સરકાર કામ કરવા કરતા ફોટો-ઓપ અને પ્રચારમાં વધુ રસ દાખવી રહી છે. ૨૦૩૦ સુધી ૩૦ ટકા ઈલેક્ટ્રિક વાહનો અને ૫૦૦ ગીગાવોટ નવીનીકરણીય ઊર્જાનું લક્ષ્ય માત્ર સપનું બનીને રહી જશે જો ચીન પરની આ આંધળી નિર્ભરતા ચાલુ રહેશે. ભારત માટે આ એક વ્યૂહાત્મક સંકટ છે, જેનું સમાધાન માત્ર જાહેરાતોમાં નહીં, પણ ગંભીર ઔદ્યોગિક નીતિઓમાં છે.
આ પણ વાંચો:







