
Meenakshi Natarajan: મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર અને કોંગ્રેસના તેલંગાણા પ્રભારી મીનાક્ષી નટરાજન માટે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. ચૂંટણી પંચે તેમના નામાંકનને ફગાવી દેતા કોંગ્રેસના ગલિયારાઓમાં સન્નાટો છવાઈ ગયો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હૈદરાબાદની એક કોર્ટમાં પેન્ડિંગ રહેલી ખાનગી ફરિયાદની વિગતો છુપાવવાનું માનવામાં આવે છે. મીનાક્ષી નટરાજને સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને રિટર્નિંગ ઓફિસરના આ નિર્ણયને પડકાર્યો છે. કોંગ્રેસ આને ભાજપનું રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યું છે, જ્યારે ભાજપ આને ‘સત્યનો વિજય’ અને કોંગ્રેસની આંતરિક ફૂટ ગણાવીને તીખા પ્રહાર કરી રહ્યું છે. એક સીટ માટેની આ લડાઈ હવે દેશની સૌથી મોટી અદાલત સુધી પહોંચી ગઈ છે.
શું છે આ વિવાદનું મૂળ?
આ સમગ્ર વિવાદની શરૂઆત ૨૦૨૦ માં તેલંગાણાના નારાયણપેટ નગરપાલિકા ચૂંટણી દરમિયાન થઈ હતી. કોંગ્રેસ નેતા કુંભમ શિવા કુમાર રેડ્ડી અને મહિલા કાર્યકર એ. શ્રીલતા વચ્ચેના અંગત વિવાદે જે વળાંક લીધો, તે આજે પક્ષના ટોચના નેતૃત્વ સુધી પહોંચ્યો છે. શ્રીલતાનો આરોપ છે કે રેડ્ડીએ તેમની સાથે ગંભીર છેડતી અને દુરાચાર કર્યો હતો. આ અંગે તેમણે અનેકવાર કોંગ્રેસના નેતાઓને ફરિયાદ કરી, પરંતુ મીનાક્ષી નટરાજન સહિતના નેતાઓએ કથિત રીતે રેડ્ડીને બચાવવાનું કામ કર્યું. ન્યાય ન મળતા શ્રીલતાએ પોલીસ અને કોર્ટના દરવાજા ખખડાવ્યા અને સપ્ટેમ્બર ૨૦૨૫ માં મીનાક્ષી નટરાજન સામે પણ ફરિયાદ દાખલ કરી. આ ફરિયાદ હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી મીનાક્ષી નટરાજનના નામાંકન પર તલવાર લટકી ગઈ હતી.
ચૂંટણી પંચનો આકરો નિર્ણય: લોકશાહીમાં પારદર્શિતાનો સવાલ
જન પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૬(૨)(બી) મુજબ, ઉમેદવારે પોતાના શપથપત્રમાં તમામ કાનૂની કેસોની સંપૂર્ણ માહિતી આપવી ફરજિયાત છે. રિટર્નિંગ ઓફિસરે એવું તારણ કાઢ્યું કે મીનાક્ષી નટરાજનને હૈદરાબાદ કોર્ટની નોટિસ મળી હતી અને આ અંગે તેમને જાણકારી હતી, છતાં તેમણે એફિડેવિટમાં આનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. વકીલોનું માનવું છે કે ચૂંટણીના એફિડેવિટ્સ એ માત્ર કાગળનો ટુકડો નથી, પણ પારદર્શિતાનું પ્રતીક છે. જો કોઈ નેતા કોર્ટમાં પેન્ડિંગ કેસની માહિતી છુપાવે, તો તેનું નામાંકન રદ થવું એ લોકશાહીની ગરિમા જાળવવા માટે આવશ્યક છે. મીનાક્ષી નટરાજનના સમર્થકો કહે છે કે આ માત્ર એક સામાન્ય નોટિસ હતી, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે પદ મોટું હોય, ત્યારે જવાબદારી પણ મોટી નથી હોતી?
કોંગ્રેસનો બચાવ અને ભાજપના આકરા પ્રહાર
મીનાક્ષી નટરાજન અને કોંગ્રેસના નેતાઓ એકસૂરે આને ભાજપની ‘ગંદી રાજનીતિ’ ગણાવી રહ્યા છે. અભિષેક મનુ સિંઘવીએ તો ત્યાં સુધી કહ્યું કે આ માત્ર એક ‘ગેરસમજ’ છે. બીજી તરફ, તેલંગાણાના મંત્રીઓએ ચૂંટણી પંચને પત્ર લખીને આ કાર્યવાહીને અનુચિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, ભાજપના બી.એલ. સંતોષે કરેલી ટિપ્પણીએ કોંગ્રેસને ભીંસમાં મૂકી દીધી છે. તેમણે સીધો સવાલ પૂછ્યો કે, “જો ભાજપનું ષડયંત્ર હતું, તો આ મામલો સૌથી પહેલા કોંગ્રેસના જ અંદરના કયા વ્યક્તિએ જાહેર કર્યો?” આ સવાલ કોંગ્રેસની આંતરિક ખેંચતાણ પરથી પડદો ઉઠાવે છે, જ્યાં પોતાના જ નેતાઓ એકબીજાની ખુરશી ખેંચવા માટે હદ સુધી જઈ શકે છે.
સત્તાના ગલિયારાઓમાં નૈતિકતાનું ધોવાણ?
આ આખી ઘટના માત્ર એક ઉમેદવારી રદ થવાની વાત નથી, પણ રાજકારણમાં નૈતિકતાના ધોવાણની સાક્ષી છે. જ્યારે પક્ષના પ્રભારી પોતે જ ગંભીર આરોપોમાં ઘેરાયેલા હોય, ત્યારે સામાન્ય કાર્યકરને ન્યાય કઈ રીતે મળશે? કોંગ્રેસની અંદર રહેલા જૂથવાદ અને નેતાઓને બચાવવાની વૃત્તિએ આજે પક્ષને રાજ્યસભાની એક કિંમતી સીટ ગુમાવવાના વાંકે મૂકી દીધા છે. અત્યારે તો સમગ્ર કોંગ્રેસ મીનાક્ષી નટરાજનના સમર્થનમાં રસ્તા પર ઉતરી છે, પરંતુ અંદરખાને તેઓ પણ જાણે છે કે ફરિયાદ કરનાર કાર્યકરની આટલી અવગણના પક્ષને ભારે પડી શકે છે. જો સુપ્રીમ કોર્ટ પણ આ નિર્ણયને માન્ય રાખશે, તો તે માત્ર મીનાક્ષી નટરાજનની હાર નહીં હોય, પરંતુ કોંગ્રેસની આંતરિક શિસ્ત અને તપાસ પ્રક્રિયાની પણ મોટી હાર ગણાશે. શું સત્તાના નશામાં નેતાઓ પોતાના જ કાર્યકરોનું સાંભળવાનું ભૂલી ગયા છે? આ સવાલ દરેક કાર્યકરના મનમાં આજે ઉઠી રહ્યો છે.
આ પણ વાંચો:







