
જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જૂનાગઢ જિલ્લાની અન્ય છ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર અને પ્રદેશ ટીમ દ્વારા ચૂંટણી બાબતે, ચૂંટણીના મેન્યુફેસ્ટો અને એજન્ડા બાબતે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પરેશભાઈ ગોસ્વામી, રાજુભાઈ બોરખતરીયા, રેશમાબેન પટેલ, હરેશભાઈ સાવલિયા, અશોકભાઈ ઘોશિયા સયુંકત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગરવા ગઢ ગિરનારના ખોળામાં વસેલી સંત, શૂરા અને સાવજની નગરી જૂનાગઢ શહેર ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બન્યુ છે. બેફામ, બેરોકટોક ગેરકાયદેસર બાંઘકામના લીધે જૂનાગઢ શહેર વારંવાર પુરના પાણીમાં ડુબી રહ્યું છે. જેના કારણે શહેરવાસીઓને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે.
‘ભાજપ છેલ્લા 30 વર્ષથી સત્તામાં છતા સુવિધાઓનો અભાવ’
ભાજપ છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે, છતા જૂનાગઢના રોડ, ગટર અને પાણીના ઠેકાણા નથી. સમગ્ર જૂનાગઢ શહેરમાં રખડતા ઢોર અને ગંદકીથી લોકો ત્રાહિમામ છે. ભાજપના નેતાઓ પાસે અંદરો અંદર ઝઘડો કરવા અને બજેટના પૈસા ઘર ભેગા કરવા સિવાય કોઈ કામ નથી. જેના કારણે સૌથી વધારે નુકસાન જૂનાગઢની જનતાને થઈ રહ્યું છે. પવિત્ર ગરવો ગિરનાર હિન્દુ, મુસ્લિમ અને જૈન ધર્મનું વિશ્વ વિખ્યાત યાત્રાધામ જૂનાગઢ ભાજપના કુશાસનને લીધે વિકાસથી વંચીત છે. એક તરફ લોકો પાસે બેફામ વેરો વસૂલવામાં આવે છે અને તમામ પ્રકારના ટેક્સ લેવામાં આવે છે અને સામે સુવિધાઓના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ધારાસભ્ય, સાંસદસભ્ય અને મેયર ભાજપના જ હોવા છતાંય જુનાગઢનો વિકાસ ભાજપ કરી શકે તેમ નથી.
AAP પહેલીવાર જૂનાગઢમાં ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટી પહેલીવાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મજબૂતીથી લડી રહી છે. અમે મીડિયાના માધ્યમથી જુનાગઢની જનતાને સંદેશ આપવા માંગીએ છીયે કે આ વખતે આમ આદમી પાર્ટીને એક તક આપો. આમ આદમી પાર્ટી જુનાગઢની વ્યવસ્થા બદલી નાખશે, સાથે જુનાગઢના પ્રબુધ્ધ નાગરિકોને, યુવાનોને, બહેનોને તથા જૂનાગઢનું હિત ઈચ્છતા સૌ સજજનોને આમ આદમી પાર્ટીની રાજનૈતિક ક્રાંતિમાં જોડાવા માટે અમે વિનંતી કરીએ છીએ.
AAP-કોંગ્રેસ ગઠબંધન કરશે?
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા પિયુષ પરમારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી છે. પરમારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી ભાજપની અણઆવડતના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુલતવી રહી હતી. હવે જ્યારે જુનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભ્રષ્ટાચારી ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે તેઓ કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર છે.
ક્યારે યોજાશે ચૂંટણી
ગુજરાત લાંબા સમયથી પ્રતિક્ષારત સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીનુ એલાન થઈ ગયુ છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે ચૂંટણીની જાહેરાત કરી હતી. પંચે જૂનગઢ નગર નિગમ અને 66 નગર પાલિકાઓની ચૂંટણીનુ એલાન કર્યુ હતુ. પંચ મુજબ આ માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન કરવામાં આવશે. પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ આવશે.