
Abhishek Manu Singhvi: રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ભારતના પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) પર આકરા પ્રહાર કરતા તેને ‘મજાક’ ગણાવ્યો છે. એક ખાસ ઈન્ટરવ્યુમાં સિંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ૧૯૮૫માં દસમી અનુસૂચિ દ્વારા જે કાયદો લાવવામાં આવ્યો હતો, તે આજે પોતાની ઉપયોગિતા ગુમાવી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, “એક જૂની કહેવત છે કે કાયદો ગધેડો છે, પણ આપણા દેશમાં પક્ષપલટાના કાયદાએ તેને ખરેખર મજાક બનાવી દીધો છે.” સિંઘવીના આ નિવેદન બાદ રાજકીય ગલિયારાઓમાં ચર્ચા જાગી છે કે શું ખરેખર આ કાયદો સત્તાધારી પક્ષોના હાથનું રમકડું બની ગયો છે?
સ્પીકરની નિષ્પક્ષતા પર સવાલો
સિંઘવીએ પક્ષપલટાના મામલામાં નિર્ણય લેવાની સત્તા વિધાનસભા કે લોકસભાના સ્પીકર પાસે હોવા સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. તેમણે તર્ક આપ્યો કે સ્પીકર પોતે પણ કોઈ રાજકીય પક્ષના ટિકિટ પર ચૂંટાઈને આવે છે અને તેમનું ભવિષ્ય તેમના પક્ષ પર નિર્ભર હોય છે, તેથી તેમની પાસે ‘નિષ્પક્ષ’ હોવાની અપેક્ષા રાખવી એ આકાશ-કુસુમવત્ છે. સિંઘવી માને છે કે જ્યાં સુધી સ્પીકર પાસે નિર્ણય લેવાની સત્તા રહેશે, ત્યાં સુધી પક્ષપલટાના કેસમાં ન્યાય મળવો મુશ્કેલ છે. આ વ્યવસ્થા જ મૂળભૂત રીતે ખામીયુક્ત છે, જેનો ઉપયોગ કરીને રાજકીય સમીકરણો રાતોરાત બદલી નાખવામાં આવે છે.
કાયદાનું સરળ સ્વરૂપ: ‘રાજીનામું આપો અને જનાદેશ મેળવો’
પક્ષપલટાની સમસ્યાના કાયમી ઉકેલ માટે સિંઘવીએ એક અત્યંત સરળ પણ કડક પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે વર્તમાન જટિલ કાયદાને નાબૂદ કરીને માત્ર બે-ત્રણ લાઇનનો નવો નિયમ લાવવાની માંગ કરી છે. તેમના મતે, “જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ પક્ષનું ચૂંટણી ચિહ્ન લઈને જીતીને આવે અને પછી બીજા પક્ષમાં જાય, તેણે પહેલા રાજીનામું આપવું જોઈએ અને ફરીથી જનતા વચ્ચે જઈને નવો જનાદેશ લેવો જોઈએ.” આ પ્રક્રિયાથી રાજકારણમાંથી ‘પાવર ગેમ’ ઓછી થશે અને નેતાઓ પોતાની મરજી મુજબ પક્ષ બદલી શકશે નહીં. સિંઘવીના મતે, વર્તમાન કાયદાકીય પ્રક્રિયા એટલી લાંબી છે કે કેસનો ચુકાદો આવે ત્યાં સુધી તો ધારાસભ્યનો કાર્યકાળ જ પૂરો થઈ જાય છે, જેનો રાજકીય પક્ષો પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે.
બે-તૃતીયાંશ બહુમતીનો ગેરઉપયોગ
પક્ષપલટાના કાયદામાં રહેલી ‘બે-તૃતીયાંશ’ બહુમતીની છૂટને સિંઘવીએ સૌથી મોટી છટકબારી ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દસમી અનુસૂચિની કલમ ૪ હેઠળ બે શરતો પૂરી થવી અનિવાર્ય છે: એક તો મૂળ પક્ષનો બીજા પક્ષમાં વિલય થાય અને બીજી શરત, તે પક્ષના બે-તૃતીયાંશ સભ્યો આ વિલયને મંજૂરી આપે. પરંતુ રાજકારણીઓ માત્ર બીજી શરતનો ઉપયોગ કરીને કાયદાની આડમાં પક્ષપલટો કરી રહ્યા છે. સિંઘવીએ મહારાષ્ટ્રની રાજનીતિનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે કેવી રીતે કાયદાકીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી સત્તા ટકાવી રાખવામાં આવે છે, જ્યારે અદાલતોમાં કેસ વર્ષો સુધી લટકતા રહે છે.
‘Vitamin M’ અને એજન્સીઓનો ડર: લોકશાહી સામે મોટું સંકટ
પક્ષપલટા પાછળના કારણો વિશે વાત કરતા સિંઘવીએ ભાજપ પર સીધા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે અગાઉ નેતાઓની નારાજગી કારણભૂત રહેતી હતી, પરંતુ હવે તો ‘Vitamin M’ એટલે કે પૈસા અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના ડર દ્વારા પક્ષપલટો કરાવવામાં આવી રહ્યો છે. સિંઘવીનો આરોપ છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં કોઈ પણ સરકારે સત્તા પલટાવવા માટે આટલા નિમ્ન સ્તરે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કર્યો નથી. ભાજપની રણનીતિ સ્પષ્ટ છે: પહેલા નેતાઓને તોડો, તેમને પક્ષમાં સામેલ કરો અને પછી તેમને સાઈડલાઈન કરીને પોતાના જૂના કાર્યકરોને સત્તામાં ગોઠવો. આ રીતે લોકશાહીનું માળખું નબળું પાડવામાં આવી રહ્યું છે.
INDIA ગઠબંધન અને ભવિષ્યની વ્યૂહરચના
૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદ વિપક્ષના પ્રદર્શન પર ચિંતિત સિંઘવીએ સ્વીકાર્યું કે જે ગતિ અને એકતા લોકસભા ચૂંટણીમાં જોવા મળી હતી, તે પછીની રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં જળવાઈ રહી નથી. તેમણે કહ્યું કે વિપક્ષી દળો વચ્ચે જોશ અને એકતાની કમી રહી છે. સિંઘવીએ એક વ્યવહારુ ફોર્મ્યુલા સૂચવતા કહ્યું કે, રાજ્યની ચૂંટણીઓમાં સહયોગી દળો એકબીજા સામે લડે તે સ્વાભાવિક છે, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણી (લોકસભા)માં તેમણે મતોનું વિભાજન અટકાવવા માટે સાથે આવવું જ પડશે. મોદી સરકારને ૪૦ ટકાથી વધુ મત મળતા નથી, એટલે કે ૬૦ ટકા મત વિપક્ષની તરફેણમાં હોય છે, જે માત્ર વિભાજનને કારણે વહેંચાઈ જાય છે.
DMK અને AAP સાથે સંબંધો: શું ગેરસમજ દૂર થશે?
તમિલનાડુમાં TVK સાથેના ગઠબંધનને કારણે DMK સાથેના તણાવ પર સિંઘવીએ આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે DMK કોંગ્રેસની મંશાને સમજી શકી નથી. તમિલનાડુમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે અને પોતાના કાર્યકરોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે ગઠબંધન જરૂરી હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે DMK અને આમ આદમી પાર્ટી (AAP) સાથેના બગડેલા સંબંધો ૨૦૨૯ પહેલા જરૂર સુધારી શકાશે. સિંઘવીના મતે રાજનીતિમાં વ્યવહારુ વિચારસરણી ખૂબ જરૂરી છે અને આ તમામ ગેરસમજો સમય જતાં દૂર થઈ શકે છે.
આ પણ વાંચો:







