
Afghanistan-Pakistan Conflict: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે જે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે સમાધાન કરાવ્યાનો કતર દ્વારા દાવો કરાતા પાકિસ્તાનમાં ખુશી ફેલાઈ ગઈ હતી પણ આ ખુશી બીજા જ દિવસે મોટા ઝટકામાં ફેરવાઈ ગઈ કે જ્યારે કતરે પોતાનું નિવેદનજ બદલી નાખ્યું છે.
કતરે નિવેદન આપ્યું હતું કે વિવાદાસ્પદ સરહદ બ્રિટિશ વખતની છે, જેને અફઘાનિસ્તાને માન્યતા આપી નથી તે કાલ્પનિક છે.
અફઘાન સંરક્ષણ પ્રધાને ચોખવટ કરી કે દોહા મંત્રણામાં ડ્યુરન્ડ લાઇન પર ચર્ચા જ નથી થઈ અને તે માટે ચર્ચાનો પહેલેથી જ ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મુદ્દો બંને દેશો વચ્ચેનો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કોઈપણ હુમલાનો અફઘાનિસ્તાન જવાબ આપશે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના હિંસક અથડામણો બાદ રવિવાર (19 ઓક્ટોબર) ના રોજ કતાર અને તુર્કીની મધ્યસ્થી વચ્ચે બંને દેશોના સંરક્ષણ પ્રધાનો દોહામાં મળ્યા જ્યાં કતારે એક નિવેદન બહાર પાડી બંને પક્ષો યુધ્ધ વિરામ માટે સંમત થયાની જાહેરાત કરી હતી. સાથે જ ઝઘડાનું મૂળ એવી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ડ્યુરન્ડ લાઇનનો કતારે ઉલ્લેખ કરી ડ્યુરન્ડ લાઇન બ્રિટિશ વસાહતી યુગ દરમિયાન બનાવવામાં આવેલી એક કાલ્પનિક સરહદ હોવાનું અને અફઘાનિસ્તાન દ્વારા તેને ક્યારેય માન્યતા આપવામાં આવી નહી હોવાનું નિવેદન આપ્યું હતું.
જે દુનિયાભરના મીડિયાએ કવરેજ આપતા અફઘાનિસ્તાનમાં સરહદ અંગેના કતારના નિવેદનનો વિરોધ શરૂ થયો અને વિવાદ અને પ્રતિક્રિયાઓ વચ્ચે વિરોધનો વંટોળ ઉઠતા આખરે કતારે પાછળથી પોતાના નિવેદનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વિવાદાસ્પદ ડ્યુરન્ડ લાઇન સરહદનો ઉલ્લેખ દૂર કરી દેતા પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.
કતારના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરાયેલા સુધારેલા નિવેદનમાં હવે ડ્યુરન્ડ લાઇન સરહદનો ઉલ્લેખ નથી. અફઘાનિસ્તાનમાં અમેરિકાના ભૂતપૂર્વ ખાસ દૂત ઝાલ્મય ખલીલઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે કતારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના અગાઉના નિવેદનમાં ફેરફાર કર્યો છે.
દરમિયાન, અફઘાન સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબ મુજાહિદે દોહાથી એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ડ્યુરંડ લાઇન પર ચર્ચા થઈ જ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કરારમાં ડ્યુરંડ લાઇનનો ઉલ્લેખ નથી અને તે ફક્ત બંને દેશો વચ્ચેનો આંતરિક મામલો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન હુમલો કરશે, તો અફઘાનિસ્તાન વળતો હુમલો કરી બદલો લેવામાં અચકાશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ડ્યુરંડ લાઇન પર વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાને ક્યારેય તેને સ્વીકાર્યું નથી, જ્યારે આ સરહદને પાકિસ્તાન વાસ્તવિક આંતરરાષ્ટ્રીય સરહદ માને છે. આ મતભેદને કારણે બંને દેશો વચ્ચેની સરહદો પર અનેક હિંસક અથડામણો થઈ રહી છે અને મામલે કતરમાં બન્ને વચ્ચે સમાધાન થતાં પાકિસ્તાનને લાગ્યું કે સમસ્યાનો અંત આવી ગયો છે પણ હવે કતારે હાથ ખંખેરી લેતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને ફરી આ મુદ્દે જંગ છેડાય તેવા સંજોગો ઉભા થયા છે.
આ પણ વાંચો:
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?










