
Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે રાજકીય ડ્રામા અને હોબાળા સાથે યોજાઈ. આ સભા દરમિયાન શાસક પક્ષના સભ્યોએ વિપક્ષના પ્રશ્નોને રોકવા સામાન્ય પ્રશ્નો પૂછી સમય બગાડ્યો. આનાથી કંટાળેલા વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો, જેના પરિણામે શાસક પક્ષના સભ્યો સભામાંથી બહાર નીકળી ગયા. શાસક પક્ષના બહિષ્કાર બાદ વિપક્ષના પાંચ સભ્યોએ બોર્ડની કાર્યવાહી ચલાવી અને સામાન્ય સભાના 19 એજન્ડાને સર્વસંમતિથી મંજૂર કર્યા. સભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિપક્ષે મેયરને બુકે આપી વિરોધ નોંધાવ્યો, જોકે મેયર તેમની ચેમ્બરમાં જતા રહ્યા.
કરચલીયાપરાનો મુદ્દો
સભા દરમિયાન કરચલીયાપરા વિસ્તારના મુદ્દે ગરમાગરમ ચર્ચા થઈ. વિપક્ષે આક્ષેપ કર્યો કે આ વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે, જેની અનેક વખત રજૂઆત કરવા છતાં શાસક પક્ષે કોઈ પગલાં લીધા નથી. આ મુદ્દે શાસક પક્ષના નગરસેવકોએ મીડિયા સામે ખુલ્લેઆમ આ પ્રવૃત્તિઓની વાત સ્વીકારી હતી. આ ઘટનાને પગલે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ શાસક પક્ષના નગરસેવકોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું, પરંતુ સત્તાના ડરથી તેઓ ત્યાંથી ઝડપથી નીકળી ગયા. શાસક પક્ષે બહુમતીના જોરે તમામ બિલો પાસ કરી દીધા, જેનો વિપક્ષે તીવ્ર વિરોધ કર્યો.
વિપક્ષનો આક્ષેપ
વિપક્ષે શાસક પક્ષ પર નગરજનોના મુદ્દાઓને અવગણવાનો અને જાહેર સમસ્યાઓનું નિરાકરણ ન લાવવાનો આરોપ લગાવ્યો. સભાનો હોબાળો અને શાસક પક્ષનું બહિષ્કાર ભાવનગરની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના બાદ શહેરના રાજકીય વર્તુળોમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો તણાવ વધુ ગાઢ બન્યો છે.
અહેવાલ : નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Rajkot: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના સ્ટાફનું ગેરવર્તન, સિંગર મીરા આહિરે લગાવ્યા ગંભીર આક્ષેપ
Gujarat Rain Forecast: ગુજરાતના 11 જિલ્લામાં રેડ એલર્ટ, IMD દ્વારા ભારે વરસાદની આગાહી









