
CUG National Security Seminar: કેન્દ્રીય યુનિવર્સિટી ગુજરાત (CUG)ની સ્કૂલ ઑફ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ દ્વારા 3 અને 4 સપ્ટેમ્બરે ‘યુથ, નેશન બિલ્ડિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી અવેરનેસ: રોલ ઑફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ઇન્ડિયા’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ સેમિનારમાં RSSના પૂર્વ સરકાર્યવાહ સુરેશ ‘ભૈયાજી’ જોશીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવતા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ તેમની પસંદગીના શૈક્ષણિક આધાર અંગે સવાલો ઉઠાવ્યા છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા જેવા શૈક્ષણિક વિષય પર આયોજિત રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં સંરક્ષણ નિષ્ણાતો, સૈન્ય અધિકારીઓ, નીતિ-નિર્માતાઓ અને શિક્ષણવિદો સહિત અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં RSSના વરિષ્ઠ પદાધિકારીને મુખ્ય અતિથિ તરીકે પસંદ કરવાનો નિર્ણય કયા શૈક્ષણિક તર્ક પર આધારિત છે તે સ્પષ્ટ થવું જોઈએ.
વિદ્યાર્થીઓનો મુખ્ય સવાલ શું છે?
CUGના ગાંધીયન થૉટ એન્ડ પીસ સ્ટડીઝ વિભાગમાં PhD કરી રહેલા સચિન યાદવે સવાલ ઉઠાવ્યો છે કે RSS સાથે જોડાયેલા વ્યક્તિને જાહેર શૈક્ષણિક સંસ્થાના આ પ્રકારના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કઈ શૈક્ષણિક અથવા વ્યાવસાયિક યોગ્યતાના આધારે આમંત્રિત કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓનો સવાલ એ પણ છે કે ભૈયાજી જોશીને રાષ્ટ્રીય સુરક્ષાના વિદ્વાન, સુરક્ષા નિષ્ણાત અથવા જાહેર બૌદ્ધિક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે કે RSSના સંગઠનાત્મક અને વૈચારિક પ્રતિનિધિ તરીકે. તેમનું કહેવું છે કે આ વિરોધ કોઈ વ્યક્તિને યુનિવર્સિટીમાં બોલાવવા સામે નથી, પરંતુ કાર્યક્રમના વિષય અને મુખ્ય અતિથિની પસંદગી વચ્ચેના સંબંધને લઈને છે.
જોશીએ કલા વિષયમાં સ્નાતક કર્યું છે અને 1975માં RSSના પૂર્ણકાલીન પ્રચારક બન્યા હતા. તેઓ 2009થી 2021 સુધી RSSના સરકાર્યવાહ રહ્યા હતા.
CUGના વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર આપ્યું
CUGમાં NSUIની અધ્યક્ષ હેફ્સિબા સ્કારિયાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓનો વાંધો સુરેશ ભૈયાજી જોશીના RSS સાથે જોડાણને લઈને નથી. તેમનો મૂળ પ્રશ્ન એ છે કે સ્કૂલ ઑફ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તેમની યોગ્યતા શું છે.
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટીતંત્ર પાસેથી આ આમંત્રણ પાછળના શૈક્ષણિક આધાર અને નિર્ણય પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માગી છે. આ મુદ્દે વિદ્યાર્થી પ્રતિનિધિમંડળે કુલપતિ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર પણ સોંપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સેમિનારમાં સૈન્ય અને પોલીસ અધિકારીઓ સહિત અનેક નિષ્ણાતો
યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભૈયાજી જોશી ઉપરાંત કાર્યકારી કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્ય, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના કુલપતિ પ્રો. ભાલચંદ્ર મહાદેવ ભનગે, પૂર્વ ISRO વૈજ્ઞાનિક ડૉ. ઓમ પ્રકાશ પાંડે, ADG બિમલ મોંગા, વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી અને IDSAના વરિષ્ઠ ફેલો ડૉ. ઉત્તમ સિન્હા સહિતના લોકો પણ કાર્યક્રમમાં જોડાશે.
ABVPએ નિર્ણયનો કર્યો બચાવ
બીજી તરફ CUGની ABVP એકમે ભૈયાજી જોશીને મુખ્ય અતિથિ બનાવવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. ABVPના CUG એકમના મંત્રી સત્યમ કુમાર રાયે જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચાનો વિરોધ કરવો NSUIની ‘દેશ-વિરોધી માનસિકતા’ દર્શાવે છે.
ABVPના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સુરક્ષા માત્ર સેનાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. સંગઠને એમ પણ કહ્યું કે જોશી 19 આમંત્રિત મહેમાનોમાંથી એક છે અને કાર્યક્રમમાં લેફ્ટનન્ટ જનરલ, કુલપતિ તથા ADG સ્તરના અધિકારીઓ પણ સામેલ છે.
યુનિવર્સિટીનો જવાબ: જોશી મુખ્ય વિષય પર અલગથી સંબોધન નહીં કરે
સેમિનારના સહ-સંયોજક ડૉ. સૌરભ કુમારે વિદ્યાર્થીઓના સવાલ સામે સવાલ કર્યો કે ‘ભૈયાજી જોશી કેમ ન હોય?’ બીજી તરફ CUGના PRO સુનીલ કુમારે જણાવ્યું કે જોશી ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે અને યુવાનો તથા રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરશે.
PROએ સ્પષ્ટતા કરી કે જોશી રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય વિષય પર અલગથી સંબોધન કરશે નહીં. તેમના જણાવ્યા મુજબ ઉદ્ઘાટન સત્ર બાદ રાષ્ટ્રીય સુરક્ષા અને તેના વિવિધ પાસાઓ પર નિષ્ણાતોના અલગ-અલગ સત્રો યોજાશે. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનર, ADG, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને એર માર્શલ સહિત લગભગ 15થી 20 નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
જોકે, જ્યારે ભૈયાજી જોશીને જ મુખ્ય અતિથિ તરીકે પસંદ કરવાનો નિર્ણય કોણે લીધો અને તેની પાછળનો શૈક્ષણિક આધાર શું હતો તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે PROએ માત્ર એટલું કહ્યું કે નિર્ણય યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટીની અંદર કયા અધિકારી, વિભાગ અથવા સમિતિએ આ પસંદગી કરી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
આ સમગ્ર વિવાદમાં વિદ્યાર્થીઓનો મુખ્ય સવાલ હવે એ બન્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષા અભ્યાસ સાથે જોડાયેલા આ શૈક્ષણિક સેમિનારમાં મુખ્ય અતિથિની પસંદગી માટે યુનિવર્સિટી કયા માપદંડોને આધારે નિર્ણય લે છે અને તે માપદંડ જાહેર કરવામાં આવશે કે નહીં.







