
Ethanol Scam MP: હાલના સમયમાં દેશમાં પેટ્રોલ સાથે એથેનોલ ભેળવવાની (બ્લેન્ડિંગ) પ્રક્રિયા પર મોટી ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ ગ્રાહકો પોતાની ગાડીઓની માઈલેજ અને એન્જિનની સ્થિતિને લઈને ચિંતિત છે, તો બીજી બાજુ સરકાર આત્મનિર્ભર ભારત માટે એથેનોલ બ્લેન્ડિંગને અનિવાર્ય ગણાવે છે. એથેનોલ એક એવો આલ્કોહોલ છે જે શેરડીના રસ, મોલાસેસ, તૂટેલા ચોખા, મકાઈ કે સડેલા અનાજ જેવા કાર્બોહાઈડ્રેટ સ્ત્રોતોમાંથી ફર્મેન્ટેશન દ્વારા તૈયાર થાય છે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે: પેટ્રોલની આયાત ઘટાડવી, વિદેશી મુદ્રાની બચત કરવી, પર્યાવરણને પ્રદૂષણથી બચાવવું અને ખેડૂતોને તેમની ઉપજ માટે વધારાનું બજાર પૂરું પાડવું. જોકે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વચ્ચે મધ્ય પ્રદેશમાંથી સામે આવેલા ‘એથેનોલ ચોખા કૌભાંડ’ એ આખી વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરી દીધા છે.
શું છે મધ્ય પ્રદેશનું આ ચોખા કૌભાંડ?
મધ્ય પ્રદેશમાં જે કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, તે સાંભળીને કોઈપણ ચોંકી જાય. સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા ખેડૂતો પાસેથી ચોખા ખરીદે છે. જ્યારે ગોડાઉનમાં વધારાનો સ્ટોક થઈ જાય અથવા અનાજ બગડવાની ભીતિ હોય, ત્યારે સરકાર તે ચોખાને એથેનોલ ઉત્પાદન માટે સસ્તા ભાવે એટલે કે કન્સેશનલ રેટ પર ડિસ્ટિલરીઝ (એથેનોલ પ્લાન્ટ) ને આપે છે. પરંતુ, મધ્ય પ્રદેશના નાવેગામ FCI ડેપોમાંથી ૨૪૨ ક્વિન્ટલ ચોખા જ્યારે એથેનોલ પ્લાન્ટ માટે નીકળ્યા, ત્યારે તે નિર્ધારિત સ્થળે પહોંચવાને બદલે એક પ્રાઈવેટ રાઈસ મિલમાં પહોંચી ગયા. તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોખાને પ્લાન્ટમાં મોકલીને તેમાંથી એથેનોલ બનાવવાને બદલે, પ્રાઈવેટ મિલના માલિકોએ તેમાં ભેળસેળ કરી કે ફર્ધર પ્રોસેસિંગ કરી અને ફરીથી સરકારને જ મોંઘા ભાવે વેચી દીધા. સરકાર જે ચોખા સસ્તા ભાવે એથેનોલ માટે આપતી હતી, તે જ ચોખા સરકારને પાછા મોંઘા ભાવે ખરીદવા પડ્યા.
સરકારી સબસિડીનો દુરુપયોગ અને નુકસાન
આ કૌભાંડ માત્ર ગેરરીતિ નથી, પણ સરકારી તિજોરીને સીધો ચૂનો લગાવવાનો પ્રયાસ છે. સરકાર જે ચોખા પર સબસિડી આપીને એથેનોલને પ્રોત્સાહન આપવા માંગતી હતી, તે સબસિડીનો લાભ ખિસ્સા ભરનારા વચેટિયાઓ અને મિલ માલિકો લઈ ગયા. તપાસકર્તાઓનું માનવું છે કે આ કૌભાંડમાં ટ્રાન્સપોર્ટર્સ, મિલ ઓપરેટર્સ, કેટલાક બેજવાબદાર અધિકારીઓ અને વચેટિયાઓનું એક મોટું નેટવર્ક સામેલ છે. જ્યારે સરકારી અનાજ એથેનોલ પ્લાન્ટ સુધી ન પહોંચે, ત્યારે ઉત્પાદન ઘટે છે, જેના કારણે સરકારના બ્લન્ડિંગના ટાર્ગેટ્સ ખોરવાય છે. સૌથી મોટી વાત એ છે કે આ તો માત્ર ‘ટીપ ઓફ ધ આઈસબર્ગ’ છે, એટલે કે આ હિમશિલાનો માત્ર ઉપરનો ભાગ હોઈ શકે છે. શક્ય છે કે આવું કૌભાંડ અન્ય રાજ્યોમાં પણ ચાલતું હોય, જ્યાં સરકારી ચોખાના નામે ખેલ થઈ રહ્યો હોય.
સપ્લાય ચેઈન અને મોનિટરિંગનો અભાવ
આ સમગ્ર કૌભાંડે સરકારી તંત્રની નબળી કડીઓ ઉજાગર કરી છે. પ્રથમ સમસ્યા ‘સપ્લાય ચેઈન મોનિટરિંગ’નો અભાવ છે. FCI ના ગોડાઉનમાંથી નીકળેલું અનાજ ક્યાં ગયું, કયા રસ્તે ગયું અને ક્યાં પહોંચ્યું તેનું કોઈ યોગ્ય ડિજિટલ ટ્રેકિંગ ન હોવાથી આ ગેરરીતિ શક્ય બની. ‘ટ્રેસેબિલિટી’નો અભાવ એ આ સમસ્યાનું મુખ્ય મૂળ છે. જો ગોડાઉનમાંથી નીકળેલા ટ્રકનું એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ થતું હોત, તો તે વચ્ચેથી પ્રાઈવેટ મિલમાં ન ગયા હોત. નબળું ડોક્યુમેન્ટેશન અને વહીવટી લાપરવાહીને કારણે અધિકારીઓએ આ બાબતે આંખ આડા કાન કર્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. સરકારી વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે આવા કૌભાંડો સાબિત કરે છે કે કાગળ પરની નીતિઓ અને જમીની અમલીકરણ વચ્ચે મોટો તફાવત છે.
FCI અને સરકારની કડક કાર્યવાહીની તૈયારી
હવે આ મામલો પકડાયા બાદ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) હરકતમાં આવ્યું છે. તેમણે એથેનોલ પ્લાન્ટ્સને સીધા જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું છે. નવા નિયમ મુજબ, જો FCI માંથી ચોખા નીકળે, તો પ્લાન્ટે એ વાતની ખાતરી આપવી પડશે કે તેમણે તેમાંથી કેટલું એથેનોલ ઉત્પન્ન કર્યું. હવે દરેક કિલો ચોખાના બદલામાં કેટલું એથેનોલ મળ્યું તેનું ઓડિટ થશે. જો ઉત્પાદનમાં તફાવત જણાશે, તો પ્લાન્ટના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે, જે આ આખા નેટવર્કને પકડવાનો પ્રયાસ કરશે. જોકે, પ્રશ્ન એ છે કે શું અનાજ બગાડ અટકાવવા માટેની આ નીતિઓ પર કડક દેખરેખ રાખવામાં આવશે કે પછી ફરીથી કૌભાંડીઓ નવા રસ્તા શોધી કાઢશે?
સંતુલિત ફૂડ સિક્યુરિટી અને એથેનોલનું ભવિષ્ય
ભારત માટે ફૂડ સિક્યુરિટી અને એનર્જી સિક્યુરિટી બંને મહત્વની છે. સરકારનો વિચાર સારો હતો કે વધારાના અનાજનો ઉપયોગ એથેનોલ માટે કરીને ખેડૂતોને મદદ કરવી. પરંતુ જ્યાં સુધી સિસ્ટમમાં રહેલા છીદ્રો બંધ નહીં થાય, ત્યાં સુધી આવા કૌભાંડો થતા રહેશે. જ્યારે કોઈ પણ સબસિડી મળેલી વસ્તુનું ડાયવર્ઝન થાય છે, ત્યારે તેનું નુકસાન આખરે સામાન્ય જનતા અને કરદાતાઓએ ભોગવવું પડે છે. સરકારનું કામ માત્ર નીતિઓ બનાવવાનું નથી, પરંતુ ટેક્નોલોજીના માધ્યમથી સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનું પણ છે. જો ભારતને E20 બ્લેન્ડિંગના લક્ષ્યાંક સુધી પહોંચવું હશે, તો ગવર્નન્સના સ્તર પર અત્યંત કડક અને પારદર્શક વ્યવસ્થા કરવી પડશે. આ કૌભાંડ એક ચેતવણી છે કે નીતિઓ ગમે તેટલી સારી હોય, પણ જો અમલીકરણમાં પ્રામાણિકતાનો અભાવ હોય, તો તે આર્થિક ભારણ બની જાય છે.
આ પણ વાંચો:







