
- ખ્યાતિકાંડ-PMJAY યોજના અંગે વિધાનસભામાં ઋષિકેશ પટેલે આપ્યો વિસ્તારપૂર્વક જવાબ
ખ્યાતિ હોસ્પિટલ ઘટના સંદર્ભે વિવિધ ધારાસભ્યઓ દ્વારા વિધાનસભા ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નોના મંત્રીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, ‘આ ઘટના ધ્યાને આવતાં આરોગ્ય વિભાગ દ્વારા વિગતે તપાસ માટે યુ.એન.મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલની નિષ્ણાત ટીમ તથા સ્ટેટ એન્ટી-ફ્રોડ યુનિટની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી’
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ટીમ દ્વારા તમામ 19 કેસના રેકર્ડની તપાસ કરાઇ છે. દાખલ દર્દીઓના કેસપેપર્સ તપાસવામાં આવ્યા. એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટીના ડીજીટલ રેકર્ડ તપાસવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના કેસમાં સર્જરી માટે દર્દીઓ/સંબંધીઓની સંમતિ લેવામાં આવી ન હોવાનું,દર્દીઓના તબીબી રેકોર્ડની સમીક્ષામાં મોટાભાગના દર્દીઓમાં એન્જીયોગ્રાફી/એન્જિયોપ્લાસ્ટીની જરૂરિયાત ન હોવાનું, મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ રેકોર્ડ પર જણાવેલ ન હોવાનું તેમજ પ્રાથમિક દૃષ્ટિએ દર્દીઓને હૃદયની કોઈ ગંભીર બીમારી હોવાનું જણાયેલ ન હતું.
તેઓને એન્જિયોગ્રાફી/એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે તેવી કોઈપણ પ્રકારની સમજ કે માહિતી આપવામાં આવી ન હોવાનું જણાયું હતુ. ટીમના પ્રાથમિક તારણોને ધ્યાનમાં લીધા બાદ ખ્યાતી હોસ્પિટલના દાવાની રૂ. 3.17 કરોડની ચુકવણી અટકાવી દેવાઇ, યોજના અંતર્ગત ખ્યાતી હોસ્પિટલને યોજનામાંથી કાયમી ધોરણે ડી-એમ્પેનલ કરવામાં આવી તેમજ ડૉ. પ્રશાંત વજીરાણીને યોજનામાંથી કાયમી ધોરણે બરતરફ કર્યા. ગુજરાત મેડ઼િકલ કાઉન્સીલ(GMC) એ ડૉ. પ્રશાંત વજીરાણી અને ડૉ. સંજય પટોલીયાના લાયસન્સ ત્રણ વર્ષની સમયમર્યાદા માટે રદ્દ કર્યા છે’
આ પણ વાંચો-વિદેશ મંત્રાલય અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ
ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘યોજના સંલગ્ન તમામ હોસ્પિટલોને મેડિકલ કેમ્પનું આયોજન કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પરવાનગી અને કેમ્પમાં સરકારી પ્રતિનિધિની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરીને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી જુદી-જુદી – 43 ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના CDHO/MOH અધિકારીઓ દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહે તે જોગવાઇ કરવામાં આવી છે. વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવી. ભવિષ્યમાં આવા કિસ્સા ન બને તે માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, નિઓનેટલ કેર અને TKR/THR (ની અને હીપ રીપલેસમેન્ટ) માટે નવીન SOP બહાર પાડવામાં આવી છે.
મંત્રીએ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે, ‘ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ રાજ્યમાં PMJAY યોજના હેઠળ ગેરરીતિ બદલ અત્યાર સુધીમાં કુલ-74 હોસ્પિટલ સસ્પેન્ડ કરીને અંદાજીત રૂ.19.9 કરોડની પેનલ્ટી લગાવામાં આવી હતી. ખ્યાતિ ઘટના પહેલા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ ત્રણ તબીબો અને ઘટના બાદ 6 મળીને કુલ 9 તબીબોને યોજનામાંથી સસ્પેન્ડ/બરતરફ કરાયા હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.
આ પણ વાંચો-વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત