
- સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક-ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણ લોકોના મોત 4 ગંભીર
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ છે, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે એમ છે.
મળતી માહિતી મુજબ, ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ સ્થાનિક અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતાં. અકસ્માત વિશે તાત્કાલિક ધોરણે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણકારી આપવામાં આવી હતી.
અકસ્માતની જાણકારી મળતા જ 108 અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં છે. તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલું થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર હાઇવે પર ભારે ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં ફતેહવાડીમાં ડૂબેલા ત્રણ યુવકોમાંથી મળ્યા બેના મૃતદેહ; એકની શોધખોળ