
Gujarat News | ગુજરાત રાજ્યની તમામ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો તેમની પડતર માંગણીઓ પૂર્ણ નહિ થવા બદલ આજે તા.1 નવેમ્બર, 2025થી આંદોલન ઉપર ઉતરી જતા મફત સરકારી અનાજ મેળવવતા મધ્યમ અને ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશન તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશન (GSFPSA)ના સંયુક્ત ઉપક્રમે આ આંદોલનની જાહેરાત કરાઈ છે.
એસોસીએશનોએ ચીમકી આપી છે કે જો તેમની 20 જેટલી માંગણીઓ તાત્કાલિક પુરી કરવામાં નહિ આવેતો તેઓ આંદોલન આગળ પણ ચાલુ રાખશે જેથી રાજ્યમાં થતી અસુવિધાઓ માટે સરકાર અને પુરવઠા વિભાગ જવાબદાર ગણાશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને રેશનિંગ અસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી પણ મેદાનમાં આવ્યા છે અને ગુજરાતમાં ભાજપની સરકાર સામે બાંયો ચડાવી છે અને સસ્તા અનાજ ના દુકાનદારોને આહવાન કરી આંદોલન ચાલુ રાખી અડીખમ રહેવા હાકલ કરી દીધી છે.
સસ્તા અનાજ ના દુકાનદારો આજથી હડતાલ પર ઉતર્યા છે. આજથી સસ્તા અનાજના દુકાનદારોનું સરકાર સામે અસહકાર લડત આંદોલન શરૂ થતાં અનાજ વિતરણની દુકાનો બંધ થઈ જતા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની પરેશાની વધી ગઈ છે. રાજ્યની 17000 થી વધુ સસ્તા અનાજની દુકાનના સંચાલકો આંદોલનમાં જોડાયા છે.
સર્વરમાં વારંવાર થતી ટેલિનીકલ સમસ્યા, કમિશનમાં વધારાની માંગ,અનિયમિત મળતો પુરવઠો, ગ્રાહકો સાથે થતી તકરાર, સરકાર દ્વારા અપાઈ રહેલા વિવિધ પરિપત્રોના વિરોધમાં અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ થયું છે ત્યારે જાણીએ કે રેશન સંચાલકોની શુ છે માંગણીઓ.
રેશન ડીલરની 20 માગણી નીચે મુજબની છે
- દુકાન પર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા-સ્ટોક બાબતે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેનો ઠરાવ રદ કરવો.
- કમિશનમાં રૂ. 3 પ્રતિ કિલો અને મિનિમમ ગેરેન્ટેડ કમિશનની રકમમાં વધારો કરી રૂ. 30,000 કરવા.
- કમિશન બેન્ક એકાઉન્ટમાં સમયસર મળે. ઈ-પાસબુકમાં નિયત નમૂનામાં અપડેટ મળે તે પ્રકારે સોફ્ટવેરમાં સુધારો કરાવવો.
- 94% વિતરણ બાયોમેટ્રિકથી થયું હોય તેમને રૂ. 20,000 કમિશન આપવું તે બાબતનો સુધારા પરિપત્ર કરવો.
- ડીલરના ઈ પ્રોફાઈલમાં પરિવારના સભ્યને દાખલ કરવા અને તેમના બાયોમેટ્રિકથી લોગીન થઈ શકે તેવી વ્યવસ્થા કરીને સર્વરમાં સુધારો કરવો.
- ડીલરોની હયાતીમાં વારસાઈ કરવાની જોગવાઈને પુનઃ ચાલુ કરવી.
- ડીલરને દુકાન સુધી વિતરણ માટે મળતા જથ્થામાં માલ ઘટ આવે છે તેનો વ્યવહારીક ઉકેલ લાવવો.
- ડી.એસ.ડી.કોન્ટ્રાક્ટરો દ્વારા નિર્ધારિત તારીખ સુધીમાં જથ્થો પહોંચાડવાની વ્યવસ્થાનો વાસ્તવિક અમલ કરવો.
- ગુણવત્તાસભર જથ્થો આપવા માટેની યોગ્ય નીતિ વિષયક નિર્ણય કરાવીને વાસ્તવિક અમલવારી કરવી.
- મેન્યુઅલ રેકર્ડ રજિસ્ટર ફરજિયાત રાખવાના ઠરાવમાં સુધારો કરીને મરજીયાત કરવું.
- ડીલરો સામે ફરિયાદ કે રજૂઆત થાય ત્યારે અને જરૂરિયાત જણાય તો જ કેસ કરવાની નીતિ બનાવવી.
- ડીલરોની યોગ્ય રજૂઆતોને ન્યાય મળે તે માટે તકેદારી સમિતિની બેઠકો તાલુકા/જિલ્લા અને રાજ્યકક્ષાએ દર માસે નિયમિત મળે.
- જથ્થા વિતરણની પરમિટ ઓનલાઈન બતાવે છે તેની સાઈકલ 45 દિવસની જગ્યાએ 30 દિવસની કરવી.
- ખાતાકીય કેસમાં નાણાકીય દંડને ભરપાઈ કર્યા બાદ ઓનલાઈન પર સ્ટોકની અસર આપવાની જોગવાઈનો વાસ્તવિક અમલ કરવો.
- ઓનલાઈન સર્વર ટેકનિકલ કારણોસર ડાઉન થાય ત્યારે તેનો ટેક્સ મેસેજ ગ્રાહકોને પણ મળે જેથી દુકાનદારોને સંઘર્ષના પ્રશ્નો બને નહીં.
- ડીલર પરવાનામાં ડીલરની વિગતની સાથે નોમિનેશન પ્રથાનો અમલ કરવો.
- પેડ ચલન મુજબનો જથ્થો ગોડાઉનથી ડી.સી. બનાવી એક સાથે મળવોજોઈએ,જે માટે સર્વરમાં સુધારો કરવો.
- કોરોનાથી મૃતક થયેલને રૂ. 25 લાખની સહાયના પેન્ડિંગ કેસો સત્વરે નિકાલ કરો.
- રાશનકાર્ડ ધારકોના સિંગલ ફિંગર પ્રિન્ટથી કેન્દ્ર અને રાજ્ય સરકારના બિલ બને.
- પોર્ટેબિલિટી માટે જથ્થાની જરૂરીયાત હોય તેવા દુકાનદારોને 5%થી વધારીને 25% સુધી જથ્થો ફાળવવો.
રાજ્યમાં આંદોલન અંગે એસોસીએશનોના અગ્રણીઓએ જણાવ્યું છે કે સરકારને અનેક વખત રજૂઆતો કરી હોવાછતાં માંગણીઓ સંતોષાઈ નથી પરિણામે, ડીલરો નવેમ્બર-2025 માટે જથ્થાનો ચલન નહીં ભરે અને 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખશે. આ અંગેની જાણ પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓને લેખિતમાં આપવામાં આવી હોવાનું ઉમેર્યુ હતું.
આ પણ વાંચો:
Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Andhra Pradesh: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ,10 લોકોના મોત, અનેક ઘાયલ
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ









