
■ભાજપનું નામ બગાડનારા અધિકારીઓ સામે એક્શન લેવા ભાજપના પાંચ MLAએ CMને લેટર લખ્યો!
Gujarat BJP: રાજ્યમાં ભાજપની છબી બગડી રહી છે,પ્રજાના કામો થતાં નહિ હોવાથી લોકો ભાજપને જવાબદાર ગણી રહયા છે અને ભાજપના નેતાઓ સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખરેખર આ માટે ભાજપના નેતાઓ નહિ પણ વહીવટી તંત્રના અધિકારીઓ જવાબદાર હોવાની પાંચ જેટલા ધારાસભ્યો દ્વારા CMને રજુઆત કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ અંગે ધ્યાન દોરી હકીકતની સત્યતા શુ છે?તે જણાવી આ માટે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.આ ધારાસભ્યોમાં કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે જેઓએ પત્ર દ્વારા લેખિતમાં મુખ્યમંત્રીને આ મામલે અવગત કર્યા છે.
પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં વહીવટી તંત્ર ખાડે ગયું છે અને જનતાના સામન્ય કામો પણ થતા નથી.વહીવટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામ ન કરવાની માનસિકતાને કારણે સરકારી કચેરીઓમાં પ્રજાના કામો થતા નથી.
કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધીક્ષક, પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાની મનગમતી કચેરીઓ તૈયાર કરીને સરકારી સચિવો સાથે થતી વીડિયો કોન્ફ્રરન્સ દરમિયાન સરકારને સબ સલામત જણાવી વાસ્તવિક પરિસ્થિતિથી અંધારામાં રાખી રહયા છે આવા અધિકારીઓ પ્રજા તેમજ જનપ્રતિનિધિઓને ગણતા નથી અને આડેધડ વહીવટ ચલાવી રહયા છે, જેનાથી ખરેખર ભાજપ સરકારની છબિને મોટાપાયે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને જનતાના કામોને પ્રાથમિકતા આપવા અંગે પગલાં ભરવા માંગ કરી ભાજપના પાંચ ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારીઓ બંને ઉપર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








