
Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલાં રાજકીય પક્ષોમાં હલચલ શરૂ થઈ ગઈ છે અને ભાજપની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રણ દિવસ માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ભાજપના નેતાઓને ખખડાવ્યા હતા નીતિન નબીને કમલમ ખાતે પ્રદેશ નેતા, શહેર પ્રમુખો ઉપરાંત અન્ય પદાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી જેમાં પ્રભારીઓની કામગીરીને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેઓએ કહ્યું કે પ્રભારી જિલ્લામાં જઈને ન્યાયની વાતતો કરે છે પણ એ જ જિલ્લામાં પોતાના માણસો સેટ કરી પોતે જ જાણે પક્ષના સર્વેસર્વા હોય તેવો વર્તાવ અને નીતિ યોગ્ય નથી દરેક સમાજ ઉપર પક્કડ મજબૂત બનાવો જે પણ પદ મળ્યું છે તેની યોગ્ય જવાબદારી નિભાવવા સૂચના આપી હતી.
આ સિવાય ધારાસભ્ય-સાંસદોને પણ નીતિન નબીને ઘેર બેઠાં કાર્યાલય ચલાવવા કરતા લોક પ્રતિનિધિ તરીકે લોકો વચ્ચેનો સંપર્ક જાળવી રાખવા પોત પોતાના મત ક્ષેત્રમાં જઈ લોકોને સાંભળવા સલાહ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં મોટો બદલાવ આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતની વાત કરવામાં આવેતો વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકને હટાવી સચિન પાયલોટને પ્રભારી બનાવાય તેવી અટકળો ચાલી રહી છે. જે અંગે દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી ચર્ચા છે. હાઇકમાન્ડે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખને છૂટો દોર અપાશે,જ્યારે નિષ્ફળ રહેલા પ્રદેશ નેતાઓને હઠાવવા સૂચના આપી છે. આ ઉપરાંત જિલ્લા-શહેર પ્રમુખોને ટિકિટ માટે સંપૂર્ણ જવાબદારી અપાશે. દરેક જિલ્લામાં પ્રભારી નીમવા પણ નક્કી કરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરી હાલ દિલ્હીમાં છે. જ્યાં છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવા નક્કી કરાયુ હોવાની વિગતો જાણવા મળી રહી છે.
જ્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ખેડૂતો અને જનતાના પાયાના પ્રશ્નો ઉઠાવી સતત વિપક્ષની ભૂમિકામાં રહી છે ત્યારે હવે આગામી ચૂંટણીઓ દરમિયાન જનતામાં પોતાનું મજબૂત પ્રદર્શન બતાવવા રાજકીય છાવણીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.








