
-અર્કેશ જોશી
Health Treatment: તમે કોઈ એલોપેથિક ડોક્ટર પાસે જશો તો મોટાભાગે તે આયુર્વેદિક દવાને લેવાની ના પાડશે. આયુર્વેદમાં નિષ્ણાત વૈદ્ય એલોપથી કે હોમીઓપેથીની દવા ચાલતી હશે તો બંધ કરાવશે. હોમિયોપેથીક ડોક્ટરમાં પણ ઘણા એવા છે જે બીજી પથીની દવા સાથે લેવાની ના પાડે છે. ઘણા વૈદ્યો તો એમ જ કહે કે બીજી કોઈ દવા ચાલતી હોય તે બંધ કરો તો જ હું દવા કરૂં.
આ બધા જ જુદી જુદી પથીના ચિકિત્સકોનો એક જ તર્ક હોય છે કે દરેક પછીના સિધ્ધાંત અલગ છે તેથી ભેગી દવા ન કરાય. તેનાથી અમારી દવાની અસર ન થાય.
પણ દર્દી હોશિયાર હોય તો તે કહેતો જ નથી કે બીજી કોઈ પથીની સારવાર મારી ચાલે છે. અને તે સાજો પણ થઈ જાય છે. તેથી વિપરીત જો ચિકિત્સકની સલાહ માની પોતાની ચાલું દવા બંધ કરી દે તો ઘણી વખત ઉપાધિમાં મુકાઈ જાય છે.
હવે કેટલીક એલોપેથિક દવાઓ એકાએક છોડી શકાય તેવી હોતી જ નથી. તેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સાઈકીઆટ્રીક દવા વગેરે છોડવી હોય તો નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ તબક્કાવાર બંધ કરવી પડે અને તબક્કાવાર બીજી પથી પર સ્વિચઓવર કરવું પડે. પણ ચિકિત્સકો માને તો ને? ભયંકર પથી-જડતા હોય છે.
એક આંખના ડોક્ટરે હોસ્પિટલમાં પાટિયું લગાવ્યું છે કે આંખમાં કાજળ ન નાખવું કે પાણી ન છાંટવું. તેનાથી નુકસાન થાય છે. પણ આયુર્વેદ અને આપણી પરંપરામાં આ બંનેના લાભ આપણે જોયા છે. હવે એ ડોક્ટર સાથે શું દલીલ કરવી?
કોઈની સાઈકીઆટ્રીક દવા ચાલું હોય અને પેટની તકલીફો માટે વૈદ્ય પાસે જાય તો વૈદ્ય કહેશે કે સાઈકીઆટ્રીક દવા બંધ કરી દો. એ તો ઉંઘની જ દવા આપે છે. પણ તેને ખબર નથી હોતી કે એકાએક એ દવા બંધ કરવાના શું પરિણામ આવે છે.
પેટની તકલીફોમાં આયુર્વેદ ઉત્તમ પરિણામ આપે છે. માનસિક રોગોમાં કાઉન્સેલિગ અને હોમિયોપથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. આવું મારૂં નિરીક્ષણ છે.
તો દર્દી પેટની તકલીફો માટે આયુર્વેદ અજમાવે અને માનસિક તકલિફ માટે હોમિયોપેથીક દવા કરે તો વાંધો શું? વૈદ્ય કે હોમિયોપેથને કહ્યા વગર એ કરો તો બંને દુર થઈ જાય. પણ જો તે કહી દો તો ચિકિત્સક હાથ જ ન મુકવા દે.
એ મને તો બહુ મોટી ભ્રમણા લાગે છે કે દરેક પછીના સિધ્ધાંત અલગ હોવાથી તેની સાથે દવા ન થઈ શકે. મેં તો જોયું છેઃ કે કેટલાક રોગો માટે એલોપેથિક દવા અનિવાર્ય અનિષ્ટ બની જવાથી લેતા હોય તેની સાથે આયુર્વેદિક કે બીજી કોઈ દવા કરે તો તેનું પણ પરિણામ મળે છે. સમયાંતરે એલોપથિક દવા છુટી પણ જાય છે એ ઘણાની બાબતમાં જોયું છે. દર્દીઓનો ઈલાજ થઈ શકે પણ ચિકિત્સકનો ઈલાજ કોણ કરે?
આ પણ વાંચોઃ Cricket: ક્રિકેટ અને હું; બોલવાનોય વહેવાર નહીં
આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?