
- ગુજરાત પોલીસ ઉપર હાર્ટ એટેકનો પ્રકોપ; સપ્તાહમાં ત્રીજા પોલીસ કર્મચારીનું મોત
ગુજરાતમાં હાર્ટ એટેક અને આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યુ છે. કોવિડ પછી હાર્ટ એટેકમાં વધારો થયો હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યમાં નાના બાળકોથી લઈને યુવાન લોકો તેના ભોગ બની ચૂક્યા છે. તો આ વચ્ચે પોલીસ વિભાગમાં પણ હાર્ટ-એટેકના કારણે એક અઠવાડિયામાં ત્રણ પોલીસ કર્મચારીઓના મોતના કારણે હડકંપ મચી ગયો છે.
અમદાવાદમાં હાર્ટ એટેકેના કારણે વધુ એક પોલીસ કર્મચારીના મોત થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સોમવાર (10) માર્ચે હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. કોન્સ્ટેબલ નરેશ ભાઈ બચુભાઈને પોતાની ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા. પોતાના સહકર્મચારીઓ દ્વારા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઉલ્લેખનિય, અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે, જેમાં પોલીસનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ પહેલાં શુક્રવારે (7 માર્ચ) અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો હતો. પીઆઈ ખરાડી DG ઓફિસમાં કાર્યરત હતાં તે દરમિયાન અચાનક હાર્ટ અટેક આવ્યો હતો.
તે પહેલા ગત સોમવારે (3 માર્ચ) પણ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. તે પછી તેઓ ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.









