
India SIR Controversy: ભારતના લોકતંત્રમાં મતદાર યાદી એ માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ નાગરિકના અસ્તિત્વ અને તેના મતાધિકારનું પ્રમાણપત્ર છે. હાલમાં જ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ના નામે ચૂંટણી પંચે જે પ્રક્રિયા હાથ ધરી છે, તે લોકશાહીના મૂળિયાં હચમચાવી રહી છે. પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર એસ. વાય. કુરેશી અને અશોક લવાસા જેવા નિષ્ણાતોની ચિંતા વ્યર્થ નથી; જ્યારે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક ન રહે ત્યારે તે સત્તાના દુરુપયોગનું સાધન બની જાય છે. કોઈ પણ નક્કર ડેટા કે સાબિતી વગર, દેશના લાખો સાચા મતદારોને ‘શંકાસ્પદ’ જાહેર કરી યાદીમાંથી બાકાત કરી દેવા એ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોમાં આ પ્રક્રિયાએ જે રીતે આંતક મચાવ્યો છે, તે દર્શાવે છે કે ‘એક પણ મતદાર છૂટી ન જાય’ તેવો જૂનો મંત્ર હવે ઈતિહાસ બની ગયો છે.
ડેટા વિનાની સર્જિકલ સ્ટ્રાઈક: પારદર્શિતાનો અભાવ
કોઈપણ મોટી નીતિગત ફેરફાર પાછળ નક્કર આંકડા હોવા જોઈએ, પરંતુ ચૂંટણી પંચ પાસે આ એસઆઈઆર માટે કોઈ સત્તાવાર ડેટા જ નહોતો. શરૂઆતમાં ‘ઘૂસણખોરો’ કાઢવાનું બહાનું કાઢવામાં આવ્યું, પણ અંતે શું મળ્યું? કરોડો લોકો પરેશાન થયા, સરકારી તંત્ર દોડાવવામાં આવ્યું, અને પરિણામ માત્ર 500 લોકો! જેમાંના મોટાભાગના તો લગ્ન કરીને આવેલા સામાન્ય નાગરિકો હતા. માત્ર 150 લોકોને શોધવા માટે 8 કરોડની વસ્તીને કતારમાં ઊભી રાખવી એ કઈ પ્રકારની તર્કબદ્ધતા છે? ચૂંટણી પંચે કોઈ જ સાર્વજનિક આંકડા આપ્યા નથી કે કેટલા સાચા મતદારોના નામ કપાયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 8% થી 10% સાચા મતદારો યાદીમાંથી ગાયબ થઈ ગયા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક પૂર્વાગ્રહયુક્ત અને ગેરવાજબી પગલું હતું.
સમરી રિવિઝનનું ડિજિટલ મરણ અને બ્લેન્ક પેજની રમત
2003 સુધી ડિજિટાઇઝેશન અને ફૂલ-પ્રૂફ ‘સમરી રિવિઝન’થી મતદાર યાદીઓ લગભગ 99% સચોટ બની હતી. બીએલઓ ઘરે-ઘરે જઈને ખરાઈ કરતા અને ઓન-ધ-સ્પોટ સુધારા થતા. પરંતુ આ નવી એસઆઈઆર પદ્ધતિમાં જૂની યાદીને કચરાપેટીમાં ફેંકીને ફરીથી શૂન્યથી શરૂઆત કરવામાં આવી. 30 વર્ષની મહેનતને 30 દિવસમાં ‘બ્લેન્ક પેજ’ પર નવી યાદી બનાવવાની ઉતાવળે કરોડો બ્લન્ડર્સ ઊભા કર્યા. જો હેતુ ઘૂસણખોરોને શોધવાનો જ હતો, તો બીએલઓ પાસે પડોશીઓની પૂછપરછ કરાવીને શંકાસ્પદ લોકોની ઓળખ કેમ ન કરાઈ? આ ઉતાવળિયા પગલા પાછળનો હેતુ નાગરિકોને યાદીમાંથી બહાર રાખવાનો હતો કે સચોટ યાદી બનાવવાનો, તે હવે કોઈ પણ સમજી શકે તેમ છે.
ગરીબો પર માર: રેશનકાર્ડ પણ છીનવાયા અને ઓળખ પર સંકટ
મતદાર યાદીમાંથી નામ રદ થવાની સૌથી ભયાનક અસર ગરીબ અને મજૂર વર્ગ પર પડી છે. મધ્યમ વર્ગ માટે મત ગુમાવવો એ કદાચ નાની વાત હોય, પણ ગરીબ માટે આ સરકારી સુવિધાઓનું લાઈફલાઈન છે. પશ્ચિમ બંગાળમાં જેના નામ કપાયા, તેમના રેશનકાર્ડ રદ કરી દેવાયા. આધાર કાર્ડ અને ઈપીઆઈસી (EPIC) જેવી સત્તાવાર ઓળખ હોવા છતાં, તેમને માન્ય રાખવામાં આવ્યા નહીં. શું સરકાર પોતાના જ દસ્તાવેજો પર ભરોસો નથી કરતી? વસ્તી વધે છે તો મતદારો વધવા જોઈએ, પરંતુ બિહારમાં 8 કરોડથી ઘટાડીને 7.62 કરોડ મતદારો કરી દેવાયા. આ લોકો ક્યાં ગયા? સ્થળાંતરનો કોઈ ડેટા નથી, તો શું આ કરોડો લોકો રાતોરાત દેશ છોડી ગયા?
સુપ્રીમ કોર્ટ અને સંસ્થાકીય નિષ્ફળતા
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની સત્તાને સર્વોપરી ગણીને આ પ્રક્રિયાને મંજૂરી આપી દીધી. પરંતુ કોર્ટ કદાચ એ ભૂલી ગઈ કે ‘માઈટ ઈઝ નોટ ઓલવેઝ રાઈટ’. જ્યારે જમીની હકીકત અને ગ્રાઉન્ડ લેવલના અહેવાલો કહે છે કે કરોડો લોકો અન્યાયનો ભોગ બન્યા છે, ત્યારે માત્ર કાનૂની વ્યાખ્યાઓને આધારે ચુકાદો આપવો કેટલો ન્યાયી છે? કોર્ટે કહ્યું કે તમે ‘એપેલેટ ટ્રાઇબ્યુનલ’માં જાવ, પણ કરોડો ગરીબ લોકો કોર્ટના ધક્કા ખાવા સક્ષમ છે? ન્યાયતંત્રમાં પહેલેથી જ કરોડો કેસો પેન્ડિંગ છે. આ ડિજિટલ અને મનસ્વી ડિલીશન દ્વારા એક એવી જટિલ પ્રક્રિયા ઊભી કરી દેવાઈ છે, જેમાં સામાન્ય માણસ કાયમ માટે યાદીમાંથી બહાર થઈ જાય.
લોકશાહીનું ભવિષ્ય: શું ચૂંટણી માત્ર એક નાટક છે?
આજે સ્થિતિ એવી છે કે ‘ડી-વોટર’ (D-Voter) ના લેબલ સાથે લાખો લોકોના મતાધિકાર છીનવી લેવાયા છે. જો અમ્પાયર જ પક્ષપાતી બની જાય, તો વિજેતાની જીતને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. બ્લોક્સ અને બૂથ લેવલ પરથી એવા પુરાવા મળ્યા છે કે લઘુમતી વિસ્તારોના મતો એકતરફી રીતે કાપવામાં આવ્યા છે. લોકશાહીમાં ‘ચેક્સ એન્ડ બેલેન્સ’ હોવા જરૂરી છે, પરંતુ આજે બંધારણીય સંસ્થાઓ એકતરફી બની ગઈ છે. ચૂંટણી પંચે એસઆઈઆરના આંકડા સાર્વજનિક કરવા જોઈએ. પણ જો આ પ્રક્રિયાનો હેતુ જ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાનો હોય, તો પારદર્શિતાની અપેક્ષા રાખવી વ્યર્થ છે.
સંસ્થાઓનું પતન અને લોકતંત્રનો સંઘર્ષ
આ કોઈ રાજકીય લડાઈ નથી, આ દેશના લોકતંત્રને બચાવવાની લડાઈ છે. જ્યારે સરકારી મશીનરી લોકોના નામ યાદીમાંથી કાપીને ચૂંટણી જીતવાની વ્યૂહરચના બનાવે, ત્યારે સમજવું કે લોકતંત્રના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. મતદાર યાદીમાં થયેલી આ છેડછાડ (Manipulation) એ લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે. જો સાચા મતદારોનો હક જ જળવાઈ ન રહે, તો આવી ચૂંટણીઓ અને પરિણામોનું કોઈ મૂલ્ય રહેતું નથી. આજે દેશ જે સ્થિતિમાં છે, તેમાં જનતાએ જ જાગૃત થવું પડશે, કારણ કે જ્યારે ન્યાયતંત્ર અને સંસ્થાઓ મૌન બની જાય ત્યારે જનતાનો અવાજ જ એકમાત્ર આશાનું કિરણ રહે છે.
આ પણ વાંચો:







