
ED PMLA Cases: પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નોંધાતા કેસોમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન PMLA હેઠળ કુલ 1,080 કેસ નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષમાં આ સૌથી ઊંચો આંકડો માનવામાં આવે છે. સાથે જ સરકારે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 4,622 કેસ નોંધાયા હોવા છતાં અત્યાર સુધી માત્ર 43 કેસોમાં જ દોષસિદ્ધિ થઈ છે.
રાજ્યસભામાં લેખિત જવાબમાં સરકારની માહિતી
આ માહિતી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના રાજ્યસભા સભ્ય વી. શિવદાસન દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આપી હતી. તેમણે જણાવ્યું કે 30 જૂન, 2026 સુધી EDએ PMLA હેઠળ વિશેષ અદાલતોમાં કુલ 2,444 પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ્સ દાખલ કરી છે. આ તમામ કેસો હાલમાં સુનાવણીના અલગ-અલગ તબક્કામાં ચાલી રહ્યા છે.
1,243 આરોપીઓની ધરપકડ, પરંતુ કેન્દ્ર પાસે વિચારાધીન કેદીઓનો અલગ ડેટા નથી
સરકારે જણાવ્યું કે PMLAની જોગવાઈઓ હેઠળ અત્યાર સુધી કુલ 1,243 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હાલમાં જેલમાં રહેલા કેટલા લોકો માત્ર PMLA કેસોમાં વિચારાધીન કેદી તરીકે છે તેની અલગથી કોઈ કેન્દ્રિય માહિતી ઉપલબ્ધ નથી. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેટલાક આરોપીઓને મૂળ ગુનાની તપાસ કરતી અન્ય એજન્સીઓ દ્વારા પણ ધરપકડ કરવામાં આવી હોવાથી આવો સંયુક્ત ડેટા કેન્દ્રિય સ્તરે જાળવવામાં આવતો નથી.
છેલ્લા પાંચ વર્ષના કેસોમાં ચઢાવ-ઉતાર
સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ વર્ષ 2021-22માં PMLA હેઠળ 1,116 કેસ નોંધાયા હતા, જે તે સમયે સૌથી વધુ હતા. ત્યારબાદ 2022-23માં કેસોની સંખ્યા ઘટીને 953 થઈ અને 2023-24માં વધુ ઘટાડા સાથે 698 રહી. જોકે 2024-25માં ફરી વધારો નોંધાયો અને 775 કેસ નોંધાયા. હવે 2025-26માં આ સંખ્યા વધીને 1,080 પર પહોંચી છે, જે છેલ્લા ચાર વર્ષમાં સર્વોચ્ચ સ્તર છે.
દોષસિદ્ધિનો દર હજુ પણ ખૂબ ઓછો
સરકારના આંકડાઓ દર્શાવે છે કે નોંધાયેલા કેસોની સરખામણીએ દોષસિદ્ધિના કેસોની સંખ્યા ઘણી ઓછી રહી છે. વર્ષ 2021-22માં ત્રણ કેસોમાં દોષસિદ્ધિ થઈ હતી. 2022-23માં આ સંખ્યા વધીને 9 થઈ, જ્યારે 2023-24માં 13 કેસોમાં આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2024-25 અને 2025-26 દરમિયાન ફરી 9-9કેસોમાં જ દોષસિદ્ધિ થઈ.
આ ચાર વર્ષ દરમિયાન કુલ 43 કેસોમાં 104 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 2024-25માં સૌથી વધુ 38 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 2022-23માં 24 આરોપીઓ, તેમજ 2023-24 અને 2025-26માં 19-19 આરોપીઓને સજા સંભળાવવામાં આવી હતી.
આવકવેરા વિભાગના પ્રોસિક્યુશન કેસોની સ્થિતિ
નાણાં રાજ્યમંત્રીએ આવકવેરા વિભાગ સંબંધિત આંકડાઓ પણ રજૂ કર્યા હતા. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન આવકવેરા વિભાગે કુલ 2,127 પ્રોસિક્યુશન કેસ નોંધ્યા હતા. તેમાં વર્ષ 2025-26 દરમિયાન 432 કેસ નોંધાયા, જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઓછા રહ્યા. તે પહેલાં 2024-25માં 611, 2023-24માં 502 અને 2022-23માં 387 કેસ નોંધાયા હતા.
મંત્રીએ જણાવ્યું કે આવકવેરા અધિનિયમની કલમ 279(1) હેઠળ તપાસ પૂર્ણ થયા બાદ અને તમામ સંબંધિત હકીકતોની સમીક્ષા કર્યા પછી જ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવી પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવે છે.
આવકવેરાના કેસોમાં દોષસિદ્ધિ અને નિર્દોષ જાહેર થયેલા આરોપીઓ
સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2025-26 દરમિયાન આવકવેરા વિભાગના કેસોમાં 47 દોષસિદ્ધિઓ નોંધાઈ હતી. બીજી તરફ 293 કેસોમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ સંખ્યા હોવાનું સરકારે જણાવ્યું.
મંત્રીએ સ્પષ્ટતા કરી કે કોઈ એક વર્ષમાં નોંધાયેલા પ્રોસિક્યુશન કેસો અને તે જ વર્ષમાં થયેલી દોષસિદ્ધિ અથવા નિર્દોષ જાહેર થયેલા કેસોની સીધી સરખામણી કરવી યોગ્ય નથી. કારણ કે અદાલતોમાં આવતા ચુકાદા અગાઉના વર્ષોમાં નોંધાયેલા કેસો સાથે પણ સંબંધિત હોઈ શકે છે.
તાજેતરના વર્ષોમાં ચર્ચામાં રહેલા PMLA સંબંધિત કેસો
તાજેતરના વર્ષોમાં PMLA હેઠળ અનેક હાઈ-પ્રોફાઇલ તપાસો ચર્ચામાં રહી છે. તેમાં મીડિયા સંસ્થા NewsClick સામેની મની લોન્ડરિંગ તપાસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંબંધિત બેંક ખાતાઓના કેસો તેમજ રાજકીય પરામર્શ કંપની I-PAC સાથે જોડાયેલા મામલાઓનો સમાવેશ થાય છે. આવા કેસોને કારણે PMLA હેઠળની કાર્યવાહી અને તપાસ પ્રક્રિયા સતત ચર્ચાના કેન્દ્રમાં રહી છે.
સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે PMLA હેઠળની કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે PMLA જેવા વિશેષ કાયદા હેઠળ ચાલતા કેસોમાં પણ કોઈ મની લોન્ડરિંગ કેસમાં ગુનાનો સંજ્ઞાન લેતા પહેલાં આરોપીનો પક્ષ સાંભળવો જરૂરી છે.
આ ટિપ્પણી ED દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી. EDનું કહેવું હતું કે PMLAની વિશેષ અદાલતોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળની સામાન્ય ફોજદારી પ્રક્રિયાનું પાલન ફરજિયાત ન બનાવવું જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે આરોપીનો પક્ષ સાંભળ્યા વિના જ ગુનાનો સંજ્ઞાન લેતા PMLA વિશેષ અદાલતના આદેશને રદ કરીને સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયિક પ્રક્રિયામાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન અનિવાર્ય છે.







