
New Delhi Stampede: દેશના પૂર્વ રેલ્વે મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદે કુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે, તેમમે કુંભ મેળાને નકામો પણ ગણાવ્યો છે. તેણે કહ્યું કુંભનો અર્થ શું થાય છે? કુંભ નકામો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીથી કુંભ મેળામાં જવા નીકળેલા 18 ભક્તોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બની છે.
રેલવે વિભાગની બેદરકારીને કારણે લોકોએ જીવ ગુમાવ્યા
લાલુ પ્રસાદ યાદવે ભાગદોડની ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે હું પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમણે આ અકસ્માત માટે સંપૂર્ણપણે રેલવેને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે રેલવે વિભાગની બેદરકારીને કારણે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએ. કુંભ વિશે તેમણે કહ્યું, ‘કુંભનો અર્થ શું છે? કુંભ નકામો છે.
ઉલ્લેખનીય છે કે કે શનિવારે મોડી રાત્રે દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 14 મહિલાઓ સહિત કુલ 18 લોકોના મોત થયા છે અને 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ નંબર 14અને 15 પર મુસાફરોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રેલ્વે) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર ઉભી હતી, ત્યારે ત્યાં પહેલાથી જ લોકોની ભારે ભીડ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ મોડી ચાલી રહી હતી અને આ ટ્રેનોના મુસાફરો પણ પ્લેટફોર્મ નંબર 12, 13 અને 14 પર હાજર હતા. “રેલ્વે દ્વારા દર કલાકે 1,500 જેટલી જનરલ ટિકિટ વેચાઈ રહી હતી, સ્ટેશન પર ભીડ વધી ગઈ અને પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી,” પ્લેટફોર્મ નંબર 14 પર અને પ્લેટફોર્મ નંબર 16 નજીક એસ્કેલેટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના રાત્રે લગભગ 9.55 વાગ્યે બની હતી, જેના પગલે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
વડાપ્રધાન મોદીએ નાસભાગ મામલે શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”
આ પણ વાંચોઃ કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના