
વડોદરામાં આવેલા વાસણા બ્રિજને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. સીએમના આગમન પૂર્વે જ વડોદરા શહેરમાં ક્રાંતિકારી સેનાના નામે ભાજપ વિરોધી બેનર લાગતા દોડધામ મચી હતી.
શહેર ભાજપ દ્વારા કારેલીબાગમાં નિર્માણાધીન નમો કમલમ કાર્યાલયના તક્તી અનાવરણનો આજે (22 ડિસેમ્બર) સાંજે 5 કલાકે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તક્તી અનાવરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે.
આ વચ્ચે વાસણા જંક્શન બનનારા બ્રિજના વિરોધમાં આંદોલન કરી રહેલા ક્રાંતિકારી સેના દ્વારા વડોદરાના નારાજ લોકોની વેદના વ્યક્ત કરતાં બેનરો લગાડવામાં આવ્યા છે. આ બેનરો વડે કામ વગર બનાવી દેવામાં આવેલા ફ્લાયઓવરનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, શહેરની કલેક્ટર ઓફિસ સામે અને વાસણા રોડ પર બેનરો લગાડવામાં આવ્યાં છે. ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવેલા એક બેનરમાં લખેલું છે કે, ‘મોદી સાહેબ તમારા બનાવેલા નેતા લોકોને ઉલ્લુ બનાવે છે’, ‘જનતા વોટ આપે, જનતા વિરોધ કરે, તો નેતાઓ શું કરશે?’ લખાણ સાથેનાં બેનરો લગાડવામાં આવતા તંત્રમાં દોડધામ મચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા, વૃંદાવન ચાર રસ્તા, ખોડિયાર નગર, સોમા તળાવ અને વાસણા રોડ જંક્શન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વાસણા રોડ જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ તેમજ ભાયલીમાં કેનાલ ઉપર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

લોકમતે ફ્લાયઓવર બિનજરૂરી
તાજેતરમાં પણ સ્થાનિક લોકો દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરોધમાં બેનરો લગાડવામાં આવ્યાં હતાં. બેનરોમાં જણાવ્યું છે કે, અમે ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરીએ છીએ. જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઇ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં. સ્થાનિક લોકોએ વાસણા જંક્શન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ દર્શાવ્યો હતો.
જોકે, વિરોધને નજરઅંદાજ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ભાજપ સરકારમાં વિરોધ પ્રદર્શનને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતું નથી. લોકો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને સરકારને રજૂઆતો કરતી રહે છે પરતુ ભાજપ સરકારમાં સામાન્ય લોકોની અવાજ સાંભળવામાં આવી હોય તેવા કિસ્સાઓ ઘણા ઓછા છે.

આ મામલે સ્થાનિક મનિષાબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભાયલી કેનાલ ઉપર બ્રિજની જરૂર જ નથી. આ નાણાંનો વેડફાટ છે અને અનેક મુશ્કેલીમાં વધારો થશે. અમે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છીએ. જો બ્રિજનું કામ બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતાં ખચકાશું નહીં.
ભાયલીના સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા 12 ફૂટની કેનાલ ઉપર 72 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા જઇ રહ્યો છે, જેની કોઇ જરૂરિયાત નથી. નાળું બનાવી શકાય તેમ છે. નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે, નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પાછલા ઘણા વર્ષોથી સત્તાધારી પક્ષનો વિરોધ કરનારાઓને કોંગ્રેસી જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. તેથી હવે સામાન્ય લોકો પણ પોસ્ટર વડે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. રાજ્યમાં જનતા પોતે પણ ખુલીને સરકારનો વિરોધ કરી શકી નથી. શું આને લોકશાહી કહીશું?







